તવાફ

Chapter : બહેનોની હજ્જ

(Page : 66 to 79)

તવાફ

                ”તવાફ”નો અર્થ છે કોઈ વસ્તુની ચારેવ બાજુ ચકકર લગાવવો અને હજ્જના બયાનમાં તવાફનો શબ્દ આવે એનો અર્થ આ છે, કે ”કઅબતુલ્લાહ”ની ફરતે સાત વખતે એક ખાસ રીતે ચકકર મારવા.

                સન હિજરી ૮, ફત્હે મકકહથી લઈને, આજ સુધી એક સેકન્ડ પણ એવી નથી ગઈ, કે ”મતાફ” (તવાફ કરવાની જગા, ફર્ઝ નમાઝોના સિવાય) ખાલી રહયો હોય.

                તમે જોશો, કે હાજીઓની ભીડ છે, અને ”બયતુલ્લાહ”ની ચારેવ બાજુ તવાફ કરવાવાળાઓના ચકકરો ચાલુ છે, કાળા ગિલાફની ચારેવ બાજુ સફેદ કપડાવાળા માણસોના ચકકર લગાવવાનો મંઝર, એવો દેખાય છે, કે જાણે ”કઅ્‌બતુલ્લાહ”ની ચારેવ બાજુ, દૂધની એક નહેર વહી રહી હોય! તમારે પણ માણસોના આ વહેતા દરિયામાં વહેતું થવાનું છે, પણ ગમે ત્યાંથી જોડાવવાનું નથી, એના માટે એક ખાસ રીત છે, અને જોડાવવા માટે એક જગા પણ નકકી છે.

                ”તવાફ” શરૂ કરવાની જગા તો ”હજરે અસ્વદ” છે, એટલે કે આપના ”તવાફ”ની શરૂઆત ”હજરે અસ્વદ”થી થશે. માટે ”કઅ્‌બતુલ્લાહ”માં જયાં ”હજરે અસ્વદ” લાગેલો છે, પહેલાં તે ખુણા તરફ પહોચવાની કોશિશ કરો. ” સઊદી હુકૂમતે”, હાજી સાહેબોની સહૂલત માટે, જે જે ફેસીલીટીઓ કરી છે (અલ્લાહ તઆલા એમની ખિદમતોને કબૂલ ફરમાવે, અને તમામ હાજીઓ તરફથી પોતાની શાયાને શા’ન બદલો ઈનાયત ફરમાવે. આમીન)તેમાંની એક ફેસીલીટી આ પણ છે કે, જે તરફ ”હજરે અસ્વદ” લાગેલો, છે ,તે ખૂણામાં થી પથ્થરની એક કાળી પટ્ટી બહાર કાઢેલી છે, જે ઘણા જ દૂર સુધી બનાવેલી છે, એટલે તવાફ કરવા વાળી, ”હજરે અસ્વદ”થી ગમે તેટલી દૂર હોય, અને ગમે તેટલી ભીડ હોય, છતાં તેને ખબર પડી જ જાય છે કે હું ”હજરે અસ્વદ”ની સામે આવી ગઈ છું, જેથી એ ”હજરે અસ્વદ”ને ”ઈસ્તિલામ” કરી શકે અને પોતાનો આગલો ચકકર શરૂ કરી શકે. તો તમે પણ ત્યાં આવી જાઓ, જયારે તમે કાળી પટટી પાસે આવી જાઓ, તો પટ્ટીથી થોડેક દૂર (લગભગ અર્ધો ફૂટ) ડાબી બાજુ બયતુલ્લાહ તરફ મોઢું કરીને ઉભી થઈ જાઓ, તમે જયારે આવું કરશો, ત્યારે ”હજરે અસ્વદ” તમારા જમણા ખભા તરફ, ખભાથી બહાર હશે, અને તમો પેલી લગાવેલી પટ્ટીથી ડાબી બાજુ પૂરી બહાર હશો હવે તવાફ કરવાની જે રીત છે, તેની તૈયારી કરી લો, સૌ પહેલા તો તમો છેલવેલ્લા ”તલ્‌બિયહ” પઢીલો. (જે તમે એહરામ બાંધ્યું છે ત્યારથી પઢતી આવી છો, અને હવે પછી આપને ”તલ્‌બિયહ” પઢવાની નથી, કારણકે, ઉમરહમાં તવાફ શરૂ કરતાંની સાથેજ, એનો ટાઈમ પૂરો થઈ જાય છે.) હવે ”તવાફ”ની નિય્યત કરો, નિય્યત ઘણીજ જરૂરી છે, વગર નિય્યતે તવાફ થશે જ નહિ.

اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ طَوَافَ بَیْتِکَ الْحَرَامِ، سَبْعَۃَ اَشْوَاطٍ لِلّٰہِ تَعَالٰی، فَیَسِّرْہٗ لِی، وَ تَقَبَّلْہٗ مِنِّی۔

                                (અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુ તવાફ બય્તિકલ હરામિ, સબ્અત અશ્વાતિન લિલ્લાહિ તઆલા, ફ યસ્સિરહુ લી, વ તકબ્બલહુ મિન્ની.)

                ” અય અલ્લાહ હું તમારા બયતુલ હરામના, સાત ચકકરોના તવાફની નિય્યત કરું છું, ફકત તમારી ખૂશ્નૂદી અને રઝામંદીના ખાતર. તમો એને મારા માટે આસાન કરી દો અને કબૂલ ફરમાવો.”

                હવે જમણી બાજુ એટલું હટો કે તમારા પગ પેલી પટટી ઉપર આવી જાય, અને ”હજરે અસ્વદ” તમારી સામે થઈ જાય, અને આ દુઆ પઢો :

بِسْمِ اللّٰہِ، اللّٰہُ اکْبَرْ، وَ لِلّٰہِ الْحَمْد

” બિસ્મિલ્લાહિ અલ્લાહુઅકબર વ લિલ્લાહિલ્હમ્દ”

                (શરૂ કરું છું અલ્લાહના નામથી, અલ્લાહ સૌથી મોટો છે, અને બધા વખાણ અલ્લાહના માટે જ છે.)

                ઉપરોકત દુઆની સાથે સાથે તમો પોતાના બંને હાથ કાનો સુધી ઉઠાવો. (યાદ રાખો આ એક જ વખતે તમારે હાથ કાનો સુધી ઉઠાવવાના છે, જેવી રીતે કે નમાઝમાં ફકત ”તકબીરે તહરીમહ” વખતે જ હાથ ઉઠાવવામાં આવે છે.પછીના કોઈ પણ ચકકરમાં, તમારે હાથ કાનો સુધી ઉઠાવવાના નથી, ઘણા માણસોને તમે જોશો, કે તેઓ દરેક ચકકર વખતે કાનો સુધી હાથ ઉઠાવે છે, તો તમે પણ દેખાદેખી એવું ના કરતી.)પછી હાથ છોડી દેવાના છે, એટલે કે નીચા કરી લો અને હજરે અસ્વદને બોસો (ચુંબન) આપો, જેની રીત આ છે કે, બંને હાથ હજરે અસ્વદ ઉપર એ પ્રમાણે મુકો, જેવી રીતે સિજદહની હાલતમાં ઝમીન ઉપર મુકવામાં આવે છે, અને બંને હથેળીઓની વચમાં મોઢું રાખીને હજરેઅસ્વદને અદબના સાથે બોસો આપો, આને જ ઇસ્તિલામ કહે છે.

                હજરે અસ્વદ પર ખુશ્બૂ લગાડેલી હોય છે, માટે જો તવાફ કરનાર હાલતે એહરામમાં હોય તો હાલતે એહરામમાં ખુશ્બૂ મના હોવાથી હજરે અસ્વદને ઈસ્તિલામ કરવું નહિ, બલ્કે હાથોથી ઈશારો કરીને હાથોને બોસો આપો.

                હજરે અસ્વદ જન્નતી યાકૂતનો એક પથ્થર છે, તેના નૂરને અલ્લાહ તઆલાએ ખત્મ કરીને દુનિયામાં ઉતાર્યો હતો, જો તેના નૂરને ખતમ કરવામાં ના આવ્યું હોત તો પૂર્વ –પશ્ચિમ તેની રોશ્નીથી રોશન થઈ જાત.(ઈજાહ) જે વખતે તેને ઉતારવામાં આવ્યો હતો, તે દૂધથી વધારે સુફેદ હતો, પરંતુ આદમની અવલાદના ગુનાહઓએ તેને કાળો કરી નાખ્યો. (મિશ્કાત)

                હજરે અસ્વદના ઈસ્તિલામની આ ખૂબી છે કે, તે કુદરતી તૌર પર ઈસ્તિલામ કરવાવાળાનાં ગુનાહને ચૂસી લે છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ છે કે, ”રૂકને યમાની” અને હજરે અસ્વદને ટચ (હાથ લગાવવો) કરવું ગુનાહોને મુઆફ કરી દે છે. (તિરમિઝી શરીફ વગેરે)

                કયામતના દિવસે આ બંને પથ્થરો એવી હાલતમાં ઉઠાવવામાં આવશે કે, એમને બે ઝુબાનો, બે આંખો, બે હોઠ હશે, અને તેઓ ઈસ્તિલામ કરવાવાળાનાં હકમાં ગવાહી આપશે અને શિફારિશ કરશે.

                એક હદીસમાં આ પણ છે કે હજરે અસ્વદને ઈસ્તિલામ કરવાવાળો / વાળી અલ્લાહ રબ્બુલ ઈઝઝતથી મુસાફહો કરી રહયો / રહી છે. (ઈબ્નેમાજહ)

                અમુક હદીસોમાં આવ્યું છે કે, દુનિયામાં હજરે અસ્વદ અલ્લાહ તઆલાનો હાથ છે, એટલે જે માણસ એને બોસો આપશે અથવા પકડશે, તો એ માલિકે હકીકી જલ્લ મજ્‌દુહુથી મુસાફહો અને મુલાકાત કરવા સમાન છે.(અત્તરગીબ વત્તરહીબ ૧૯૪)

                (આ વાત ખાસ ધ્યાનમાં રાખો, કે હજરે અસ્વદને બોસો આપવો સુન્નત છે, અને કોઈ મુસલમાનને તકલીફ પહોંચાડવી હરામ છે, માટે ધકકા મુકકી કરી, કમઝોરોને હટાવી, સુન્નતને અદા કરવા જતાં, હરામ કૃત્ય કરવાથી બચશો! એનો ગુનોહ ઘણો મોટો છે, આ પ્રમાણેના કામો કરીને લોકોમાં ફખ્ર સાથે વર્ણન કરવામાં આવે છે કે અમને હજરે અસ્વદને બોસો આપવાનો મોકો મળ્યો, પરંતુ, ખરેખર તો સવાબની જગાએ ગુનાહ વહોરીને આવ્યા છે, તેનું ઘણા પુરૂષો અને સ્ત્રીઓને ભાન નથી હોતું, સાથે સાથે મસ્જિદે હરામના અદબમાં પણ ખલલ પડે છે.

                રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝરત ઉમર (રદિ.)ને ખાસ તાકીદ ફરમાવી હતી, કે જુઓ તમો તાકતવર માણસ છો, હજરે અસ્વદને ઇસ્તિલામ આપવામાં લોકોથી ધકકા મુકકી ના કરતા, જગા હોય તો બોસો આપશો, નહિ તો દૂરથી ઇસ્તિલામ કરી લેશો.

                જો ભીડના કારણે ”હજરે અસ્વદ” સુધી પહોંચવું અને બોસો આપવો શકય ના હોય તો પોતાની જગાએ જ ઉભા રહી બંને હથેળીઓ હજરે અસ્વદ તરફ ઉંચી કરો અને એવો ખ્યાલ જમાવો, કે જાણે તમે ”હજરે અસ્વદ” ઉપરજ બંને હથેળીઓ મુકી છે.(આપના ખભાની ઉંચાઈના સામે જ હજરે અસ્વદ છે, માટે તમારે પણ હાથ એટલા જ ઉંચા કરવાના છે, કાનો સુધી ઉઠાવવા નહિ.) પછી બંને હથેળીઓને ચૂંમી લો, જે ”હજરે અસ્વદ”ને ચુંબવા બરાબર છે. અત્યાર સુધી તમો ”હજરે અસ્વદ” તરફ મોઢું કરીને ઉભી હતી, હવે જમણી બાજુ ફરી જાઓ જે તરફ ”કઅ્‌બતુલ્લાહ”નો દરવાજો છે અને તવાફ કરવાનું (ચાલવાનું) શરૂ કરી આપો.”કઅ્‌બતુલ્લાહ” થી તમો ગમે તેટલી દૂર હોય, ”ઝમઝમનો કુવો” વગેરે પણ વચમાં આવી જતો હોય, તો પણ કોઈ હરજ નથી, આપનો તવાફ થઈ જશે.

                ”હતીમ”ને તો તવાફમાં શામિલ કરવું જરૂરી જ છે. ”બયતુલ્લાહ”ની ઉત્તર દિશાએ, ”બયતુલ્લાહ”થી અડીને જ, ઝમીનનો અમુક ભાગ છે, જેને અંગે્રજીના યુ, શકલમાં બનાવેલો છે. હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની નબુવ્વત પહેલાં, કુરૈશે ખાનએ કઅબહના બાંધકામનો ઈરાદો કર્યો અને બધા એ વાત ઉપર મુત્તફિક થયા કે, હલાલ માલથી જ એનું બાંધકામ કરવામાં આવે. માલ ઓછો હોવાના કારણે, ઉત્તર દિશાએ, બયતુલ્લાહમાંથી લગભગ છ શરઈ ગઝનો ભાગ છોડી દેવામાં આવ્યો હતો, આ છોડેલા ભાગને જ હતીમ કહેવામાં આવે છે, આ ભાગને તવાફમાં શામિલ કરવું જરૂરી છે. જો આ ભાગમાં નમાઝ પઢવાનો મૌકો મળે તો જરૂરથી પઢી લેશો, એ એમ જ ગણાશે કે આપે બયતુલ્લાહની અંદર નમાઝ પઢી.

                જો મરદોની ભીડ વધારે હોય તો ઔરતોએ ખાનએ કઅબહથી દૂર રહીને તવાફ કરવો જોઈએ, ભીડમાં મરદોની સાથે મળી જઈને તવાફ કરવું ગુનોહ છે, કારણ કે ઔરતોનું જિસ્મ, બીજા મરદોને અડી જશે જે હરામ છે.

                મતાફમાં સુફેદ કિમ્યાવી પથ્થરો લગાવવામાં આવ્યા છે, એવી જ રીતે બીજા માળના ધાબા ઉપર(છેલ્લા ધાબા ઉપર પણ) એવા જ પથ્થરો લગાવવામાં આવ્યા છે.એ પથ્થરોની ખાસિયત એ છે કે ગમે તેટલી ગરમી અને તડકો હોય એ પથ્થરો ગરમ થતા નથી અને ઠંડા રહે છે, પરિણામે સખત ગરમી અને તાપમાં પણ લોકો ઇત્મીનાનના સાથે તવાફ કરે છે અને નમાઝો પણ પઢે છે. અલ્લાહ તઆલા ”સઉદી હુકૂમત”ને આવો અનોખો ઈન્તિઝામ કરવા બદલ બેહતરીન બદલો ઈનાયત કરે. આમીન

                હવે આપનો ”તવાફ” શરૂ થઈ ગયો, આપે આ પ્રમાણે ”બયતુલ્લાહ”ની ચારેવ બાજુ ફરીને સાત ચકકરો પૂરા કરવાના છે. મરદોની જેમ તમારે તવાફમાં રમલ કરવાનો નથી એટલે કે બહાદૂરીનો દેખાવ કરીને, ખભા હલાવતા હલાવતા, ઝડપથી નજીક નજીક પગ મુકવાના નથી પણ તમારી સામાન્ય ચાલ પ્રમાણે જ તમારે ચાલવાનું છે. દરેક ચકકર ”હજરે અસ્વદવાળા” ખૂણાથી શરૂ થશે, અને ત્યાં જ આવીનેે પૂરો થશે, અને ચકકર પૂરો થાય એટલે આપે :

بِسْمِ اللّٰہِ، اللّٰہُ اکْبَرْ، وَ لِلّٰہِ الْحَمْد

” બિસ્મિલ્લાહિ અલ્લાહુઅકબર વ લિલ્લાહિલ હમ્દ”

                પઢીને દર વખતે ”હજરે અસ્વદ”ને બોસો આપવાનો છે, બોસા માટે જયારે (હજરે અસ્વદના દૂર હોવાના કારણે) હાથ ઉઠાવો, ત્યારે એટલો ખ્યાલ રાખવો કે હથેળીઓ હજરે અસ્વદ તરફ હોય, અને હાથ ખભા સુધી ઉઠાવવાના છે, પછી બંને હથેળીઓને ચૂંબવાની છે, અને પછી જમણી તરફ ચાલી પડવાનું છે . આ રીતે તમે જયારે સાતમો ચકકર પૂરો કરશો, અને ”હજરે અસ્વદ”ને બોસો આપશો એ તમારો આઠમો બોસો હશે, કારણ કે એક બોસો ”તવાફ” શરૂ કરતાં પહેલાં આપ્યો હતો અને સાત બોસા સાત ચકકર પછીના થયા, એમ કુલ આઠ બોસા થયા.

                આ પણ યાદ રાખવું જોઈએ ,કે ”કા’બા શરીફ”ના દીદાર પણ એક ઈબાદત છે,પરંતુ તવાફ કરવા દરમિયાન ”કા’બા શરીફ”ને જોવાની મનાઈ છે, માટે ”તવાફ” કરતાં કરતાં ”કા’બા શરીફ”ને જોવાથી બચવું જોઈએ, હા જયારે જયારે તમારો ચકકર પુરો થાય, અને ”હજરે અસ્વદ”ને બોસો દેવાનો વારો આવેે, ત્યારે ”હજરે અસ્વદ” તરફ મોઢું કરવું જાઈઝ છે.

                એવી જ રીતે ”તવાફ” દરમિયાન, ”કા’બા શરીફ” તરફ પીઠ કરવી અથવા ”કા’બા શરીફ” તરફ છાતી કરવી પણ મકરૂહે તહરીમી છે, તવાફ દરમિયાન ”કા’બા શરીફ”નાં ગિલાફને વળગવા અને ”મકામે ઈબ્રાહીમ”ને જોવાથી તવાફમાં વિક્ષેપ પડવાની સાથે સાથે, છાતી અને પીઠ ”કા’બા શરીફ” તરફ થઈ જાઈ છે, માટે એનાથી બચવું જોઈએ, અને ”તવાફ” દરમિયાન પોતાની નઝર ચાલવાની જગાએ રાખવી જોઈએ, ગમે તેમ જોવું મુનાસિબ નથી. જેવી રીતે નમાઝની હાલતમાં પોતાની નઝર સિજદહની જગાથી આગળ ના જવી જોઈએ.

                અને જો આપે ઘણા એહતિયાતથીકામ લીધું, તે છતાં કોઈ સંજોગ એવો ઉભો થયો કે ”કા’બા શરીફ” તરફ પીઠ કે છાતી થઈ ગઈ, તો તવાફના તેટલા ભાગને દોહરાવવો વાજિબ છે, અને બેહતર એ છે કે આખો ચકકર જ દોહરાવી લો.

                બીજી વાત આ કે તવાફ દરમિયાન, ”હજરે અસ્વદ” સિવાય, ”કા’બા શરીફ”ના કોઈ પણ ખુણા કે દિવાલને બોસો દેવાની મનાઈ છે, ફકત તમે ચકકર લગાવતા લગાવતા જયારે ”રૂકને યમાની” પર પહોંચો, તો ”રૂકને યમાની”ને બંને હાથ અથવા જમણો હાથ લગાડવો સુન્નત છે, તે પણ એ રીતે કે તમારા બંને પગો પોતાની જગાએ તે જ પોઝીશનમાં જમીન પર જમેલા રહે, અને છાતી કે પગના પંજા કા’બા શરીફ તરફ ના થાય તેનો ખ્યાલ રાખવાનો છે, તમે જોશો, કે ઘણા લોકો રૂકને યમાનીને પણ ”હજરે અસ્વદ”ની જેમ જ (બોસો) ઇશારો કે તકબીર કહી રહયા છે, તો એ દેખા દેખી તમે આવું હરગીઝ ના કરશો. જો ”રૂકને યમાની”ને હાથ લગાડવાનો મોકો ના મળે, તો એમજ પસાર થઈ જશો.

                એક ખાસ વાત એ પણ યાદ રાખવી, કે કિતાબોમાં તવાફની ખાસ દુઆઓ લખવામાં આવી છે, પણ જે હજીયાણીઓને તે દુઆઓ યાદ ના હોય અથવા હવે યાદ નથી કરી શકતી, તો એમાં ગભરાવાની કોઈ જરૂરત નથી, કારણ કે તવાફ દરમિયાન કોઈ મખસૂસ દુઆ બિલકુલ જરૂરી નથી,

                પરંતુ જે હજીયાણીઓના હાથમાં હજ્જમાં જતા પહેલાં ”ઈકબાલ ફલાહી”ની આ કિતાબ આવે, તેણીઓને ”ફલાહી”ની નમ્ર વિનંતી અને મુખ્લસાનહ મશ્વરો છે, કે તેઓ નીચેની બે દુઆઓ જરૂરથી યાદ કરીને જાય :

(۱)        سُبْحَانَ اللّٰہِ، وَ الْحَمْدُ لِلّٰہِ، وَ لا اِلٰہَ اِلاّ اللّٰہُ، وَ اللّٰہُ اَکْبَرْ، وَ لا حَوْلَ وَ لا قُوَّۃَ اِلاّ بِاللّٰہِ الْعَلِیِّ الْعَظِیمِ۔

                (સુબ્હાનલ્લાહિ, વલ્હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્લલ્લાહુ, વ અલ્લાહુ અકબર વ લાહવ્લ વ લાકુવ્વત ઇલ્લા બિલ્લાહિલ અલિય્યીલ અઝીમ.)

                ” અલ્લાહ તઆલા પાક છે અને બધા વખાણ અલ્લાહ માટે જ છે અને અલ્લાહ તઆલાના સિવાય કોઈ ઈબાદતના લાયક નથી અને અલ્લાહ સૌથી મહાન છે અને અલ્લાહ તઆલાની મદદ વગર અમારા અંદર નેકી કરવાની કે, ગુનાહોથી બચવાની તાકત નથી. બેશક અલ્લાહ તઆલા ઘણી ઊંચી શાન અને મોટી અઝમતવાળો છે.”

                ” અય પરવરદિગાર અમને દુન્યામાં પણ ભલાઈ અતા ફરમાવો અને આખિરતમાં પણ ભલાઈ અતા ફરમાવો અને દોઝખના અઝાબથી અમને બચાવો.”

                સાતેવ ચકકરોમાં, ”હજરે અસ્વદ” વાળા ખૂણાથી લઈને, ”રૂકને યમાની” વાળા ખૂણા સુધી પહેલા નંબરની દુઆ પઢો, અને ”રૂકને યમાની” થી ”હજરે અસ્વદ” સુધી, બીજા નંબરની દુઆ પઢો.

                અને જો પહેલા નંબરવાળી દુઆ ”રૂકને યમાની”   આવતા પહેલાં પુરી થઈ જાય તો ફરીથી પઢો અથવા પોતાને આવડતી બધી દુઆઓ અને નેક ઉમ્મીદો પૂરી થવા માટે દુઆઓ પોતાની ભાષામાં કરતી રહો

                એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે, જેમ જેમ ૮ ઝિલ્હજ્જ નઝદીક આવશે, તેમ તેમ ભીડ વધતી જશે અને ૮ ઝિલ્હજ્જના બે–ચાર દિવસ પહેલાં, એટલી જબરદસ્ત ભીડ થઈ જાય છે કે જો કોઈ માણસ ફર્ઝ નમાઝની જમાઅતના થોડીકવાર પહેલાં, તવાફ થી ફારિગ થાય, તો તેને નમાઝ માટે ઉભા રહેવા જગા મળવી મુશ્કિલ થઈ જાય છે, કારણ કે પુરું મતાફ (તવાફ કરવાની જગા) ખીચો ખીચ ભરાઈ જાય છે, તો જયારે મરદને જગા નથી મળી શકતી, તો ઔરતને તો કયાંથી મળી શકશે ? માટે તે દિવસોમાં ઔરતોએ એવા ટાઈમે તવાફ કરવો જોઈએ, કે નમાઝના ટાઈમથી ઘણી વાર પહેલા તવાફથી ફારિગ થઈ શકે.

Log in or Register to save this content for later.