ઓરતો માટે એક ખાસ મસ્અલો

Chapter : બહેનોની હજ્જ

(Page : 153 to 159)

ઓરતો માટે એક ખાસ મસ્અલો

                તારીખ ર૪થી તારીખ ર૭ ઓકટોબર (૧૯૯૭) સુધી હજ્જ હાઉસ મુંબઈમાં દસમો ઓલ ઈન્ડિયા ફિકહી સેમીનાર ભરાયો હતો જેમાં હજ્જ – ઉમરહના મસાઈલ વિશે જે ફેંસલા અને ઠરાવો થયા હતા તેમાનો ઠરાવ નંબર ૧૦ આ પ્રમાણે હતો.

                ઠરાવ નં. (૧૦) જો તવાફે ઝિયારત પહેલાં કોઈ ઓરતને માસિક અથવા સુવાવડસ્થાનું ખૂન આવી જાય અને તેના નકકી કરેલ પોગ્રામ પ્રમાણે એવી ગુંજાઈશ નથી કે તે માસિકથી પાક થઈ તવાફે ઝિયારત કરી શકે તો તેના માટે જરૂરી છે કે તે દરેક રીતે એવી કોશીષ કરે કે તેના સફરની તારીખ આગળ વધી શકે, જેથી તે પાક થઈને તવાફે ઝિયારત અદા કરવા બાદ પોતાના ઘરે પાછી ફરી શકે. પરંતુ જો તેની બધી બનતી કોશિષો બેકાર જાય અને પાક થવા પહેલા તેને સફર કરવો જરૂરી થઈ જાય તો એવી હાલતમાં તે તવાફે ઝિયારત અદા કરી શકે છે. આ તવાફે ઝિયારત શરઈ રીતે માન્ય ગણાશે અને તે ઔરત સંપૂર્ણ રીતે હલાલ થઈ જશે. પરંતુ તેના ઝિમ્મે એક મોટા જાનવરની કુર્બાની (દમે જિનાયત) હરમ શરીફની હદમાં કરવી જરૂરી રહેશે.

                ખૈર, તમે ”તવાફે ઝિયારત” કરી લીધો, એટલે કે અલ્હમ્દુલિલ્લાહ, તમો ૧૦ ઝિલ્હજ્જના કરવાના બધાંજ કામોથી ફારિગ થઈ ગઈ. તમો અલ્લાહનો શુક્ર અદા કરો, કે તેણે આપને ઝિંદગીની આટલી મોટી ખૂશી અર્પણ કરી,પોતાના ઘરે બોલાવ્યા, પોતાના દરવાજાને પકડવાનો મોકો ઈનાયત કર્યો, મેદાને અરફાતના કિયામની સઆદત અર્પણ કરી. હવે તમો પૂર્ણ રીતે એહરામથી ફારિગ થઈ ગઈ છો.

                હવે તમો પાછા ”મિના”માં જતી રહો, કારણ કે ”તવાફે ઝિયારત” પછી બે રાતો અને બે દિવસ તમારે ‘મિના”માં રોકાવવાનું છે.

                ૧૧/૧ર/૧૩ ઝિલ્હજ્જને હજ્જની ઈસ્તિલાહ (પરિભાષા)માં ”અય્યામે રમી” (રમીના દિવસો) કહેવામાં આવે છે. એટલા માટે આ દિવસોમાં ”રમી” કરવી જ ઈબાદત, છે અને એના માટે મિનામા થોભવું સુન્નતે મુઅકકદહ છે.

                બાકીનો ટાઈમ પણ ગફલતથી ના ગુઝારશો , અરે મો’મિનની ઝિંદગીની એક એક ઘડી કિંમતી છે, અને કયામતના દિવસે આપણે સૌએ પોતાની ઉમરની એક એક મિનિટનો હિસાબ આપવાનો છે, પરંતુ ખાસ કરીને આ સફર, અને તેમાં પણ આ મુબારક દિવસો, જો અલ્લાહ સમજ અતા ફરમાવે, અને બંદાઓ તેની કદ્‌ર કરે, તો બેશક આ બે ચાર દિવસોમાં લાખો વર્ષની કમાઈ થઈ શકે છે, માટે દુઆ ઝિક્ર, તિલાવત, ઈસ્તિગફાર, વગેરેમાં મશ્ગૂલ રહો. આ દિવસોમાં મિના બહાર, મકકહ મુકર્રમહ કે અન્ય કોઈ જગાએ રાત રહેવું મના છે. રાતનો વધુ પડતો ભાગ પણ કોઈ જગાએ ગુજારવો મકરૂહ છે.

                ૧૧ ઝિલ્હજ્જના ત્રણેવ જમરાઓને ”રમી” કરવાની છે અને આજે ”રમી”નો ટાઈમ ઝવાલ પછીનો છે.(તમો ઓરતો માટે રાત્રે પણ જાઈઝ છે.) તમો પોતાના ખૈમા (તંબુ) માં ઝુહરની નમાઝ અદા કરો અને પછી રમી માટે નીકળી જાઓ.

                રસ્તામાં સૌથી પહેલા ”જમરએ ઊલા” (પહેલો શૈતાન) આવશે, એટલે ગઈ કાલે જે રીતે ”જમરએ અકબહ”ની રમી કરી હતી, એ જ રીતે એની ”રમી” પણ કરો, એટલે કે સાત કાંકરીઓ મારો અને દરેક કાંકરી પર :

بِسْمِ اللّٰہِ اَللّٰہُ اَکْبَرْ رَغْمَاً للشَّیْطَانِ وَ رِضًی للرَّحْمَان

                (બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર, રગ્મન લિશ્શયતાન વ રિદન લિર્રહમાન.)

                ”હું અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહ સૌથી મોટો છે. (આ કાંકરી) શૈતાનને ઝલીલ કરવા અને અલ્લાહ પાકને રાજી કરવા માટે મારું છું”

                પઢવામાં આવે. ”રમી” પછી ત્યાંથી થોડાક હટીને કિબ્લહ તરફ મોં કરી ઉભા રહી, દુઆ,તૌબા, ઈસ્તિગફાર અને ઝિક્ર પછી દુરૂદ શરીફ પઢો. પોતાના માટે, પોતાના સગાઓ, બહેનપણીઓ વગેરે માટે દુઆ કરો.

                ત્યાર પછી આગળ ચાલો અને ”જમરએ વુસ્તા” (વચલો શૈતાન) પાસે આવો, અને ઉપર બતાવ્યા મુજબ જ, તેની પણ ”રમી” કરો, અને ”રમી” પછી એટલી વાર દુઆ કરો, જેટલી વાર ”જમરએ ઊલા” ઉપર કરી હતી.

                ત્યાર પછી ”જમરએ અકબહ” મોટા શૈતાન પાસે આવો, અને આજ પ્રમાણે ”રમી” કરો, પરંતુ એની ”રમી” કર્યા પછી, ત્યાં રોકાવવાનું કે દુઆ કરવાની નથી. બસ પોતાના ખૈમામાં જતી રહો. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પણ આમ જ કર્યું હતું.

                (એક ખાસ વાત આ છે કે જો તમે ગઈ કાલે ૧૦ ઝિલ્હજ્જના કુર્બાની અને તવાફે ઝિયારત ના કર્યો હોય, તો આજે કરી લો.)

                ૧ર ઝિલ્હજ્જના પણ આવી જ રીતે, ત્રણેવ જમરાઓને ”રમી” કરવાની છે, અને આજે પણ ”રમી”નો ટાઈમ ઝવાલ પછી જ છે. (તમો ઓરતો માટે રાત્રે પણ જાઈઝ છે.) અને આગલા બંને દિવસોની માફક, આજે પણ ”જમરએ અકબહ” ની ”રમી” કર્યા પછી, ત્યાં થોભવાનું નથી.

                (એક વાત ખાસ આ છે કે જો તમે ૧૦,તથા ૧૧, ઝિલ્હજ્જના, કુર્બાની અને તવાફે ઝિયારત ના કર્યો હોય, તો આજે કરી લો.)

                ૧ર ઝિલ્હજ્જની ”રમી” કર્યા પછી, ૧૩મી ઝિલ્હજ્જની ”રમી” માટે, ”મિના”માં રોકાવવાનો તમને ઈખ્તિયાર છે, કારણ કે ૧૩મી ઝિલ્હજ્જના રમી વાજિબ નથી, પણ અફઝલ છે.જો તમો ૧ર મી ઝિલ્હજ્જના રમી કર્યા પછી મકકહ મુકર્રમહ જતી રહેવા માંગતી હોય, તો જઈ શકો છો, પણ હા, મગરિબ પહેલાં, મિનાથી નીકળી જવું જરૂરી છે. અને જો તમો મિનામાં જ હતી, અને સુર્ય ગુરૂબ થઈ ગયો, તો હવે જવું મકરૂહ છે, હવે તો મિનામાં જ રાત રોકાઇ જાઓ અને ૧૩ ઝિલ્હજ્જના ત્રણેવ જમરાઓની રમી કરીને જ મકકહ મુકર્રમહ જવું જોઈએ, ગુરૂબે આફતાબ પછી નીકળશો તો ૧૩મીની ”રમી” વાજિબ તો નથી થતી, પરંતુ ૧૩મીની ”રમી” કર્યા વગર જવું મકરૂહ છે અને જો ૧૩મીની સુબહ સાદિક ”મિના”માં થઈ જાય તો ૧૩મી તારીખની ”રમી” વાજિબ થઈ જશે. અને ”રમી” કર્યા વગર ચાલ્યા જવાથી ”દમ” વાજિબ થશે. અલબત્તા, આજે એટલી સહુલત છે કે, રમી ઝુહર પહેલાં પણ કરી શકો છો.

                ખૈર ૧ર ઝિલ્હજ્જના ઝુહર અને અસરની વચ્ચે તમે જોશો કે લાખો માણસોનો આ કાફલો ફરી એકવાર મકકહ મુકર્રમહ તરફ, કૂચ કરી રહયો છે. દરેકને પોતાની ખૂશનસીબી ઉપર નાઝ છે અને બધા જ એ વાત પર ખૂશ ખૂશાલ છે, કે તેઓએ હુકમે ખુદાવંદી ઉપર, પોતાની ઝિંદગીના દિવસો, અને રાતો તકવહના સાથે વીતાવી.

Log in or Register to save this content for later.