Chapter : બહેનોની હજ્જ
(Page : 50 to 58)
હરમની હદ
આખરે તમો બસમાં સવાર થઈ ”મકકહ મુકર્રમહ” જઈ રહી છો,. હર મિનિટ તમો ”જિદ્દહ”થી દૂર અને ”મકકહ મુકર્રમહ”થી નઝદીક થઈ રહી છો”.ھذاحدالحرم ” ”જયારે ”મકકહ મુકર્રમહ” લગભગ ૧૦ કિલોમીટર દૂર હશે ત્યારે તે જગા આવે છે, જયાંથી હરમની હદ શરૂ થાય છે, અને સડકના કિનારે મોટા અક્ષરોએ ”હાઝા હદદુલ હરમ”(આ હરમની હદ છે) લખેલું દેખાશે, આનાથી નઝદીક ”મકામે હુદયબિયહ” છે, જયાં કુફફારે મકકહએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને સહાબએ કિરામ (રદિ.)ને ઉમરહ કરવા માટે મકકહ મુકર્રમહ જવાથી રોકી દીધા હતા.
”મકકહ મુકર્રમહ”ની ચારેવ દિશામાં, થોડે દૂર સુધીની જમીન હરમ કહેવાય છે, અને દરેક જગાએ તેની નિશાનીઓ લાગેલી છે, આ સરહદોનું અંતર મકકહ મુકર્રમહથી કોઈક તરફ ત્રણ માઈલ છે તો કોઈક તરફ નવ માઈલ અને કોઈક તરફ એનાથી ઓછું વત્તુ છે. આ નિશાનીઓ હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ)એ, હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)ને બતાવી હતી અને હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)એ તે જગાઓ ઉપર નિશાનીઓ લગાવી હતી, પછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તે નિશાનીઓ નવેસરથી બનાવડાવી હતી અને ત્યાર બાદ હઝરત ઉમર ફારૂક (રદિયલ્લાહુ અન્હુ), હઝરત ઉસ્માન (રદિયલ્લાહુ અન્હુ), હઝરત મુઆવિયહ (રદિયલ્લાહુ અન્હુ)એ પોત પોતાના ઝમાનામાં તેને નવેસરથી બનાવડાવી હતી.
જિદ્દહથી મકકહ મુકર્રમહ જતાં, ”સઉદી હુકૂમતે” રોડ ઉપર કુર્આન શરીફ મુકવાના રિયાલનો આકાર બનાવેલો છે, જેના નીચેથી ગાડીઓ પસાર થાય છે, ત્યાંથી હરમની હદ શરૂ થાય છે, આ હદોની અંદર શિકાર કરવો કે જાનવરને છેડવું, અથવા તેને તકલીફ પહોંચાડવી,ઘાસ કાપવું, ઝાડ વગેરે કાપવું હરામ છે. ભલે એહરામની હાલતમાં હોય અથવા એહરામની હાલતમાં ના હોય.
એટલું જ નહિ, ગેરમુસ્લિમો માટે આ હદોમાં દાખલ થવાની પણ સખ્ત મનાઈ છે, એટલા માટે તમો જોશો કે, હુદૂદે હરમ શરૂ થવાના બે ત્રણ કિલો મીટર પહેલા ”સઉદી હુકૂમતે”, પૂરા રોડની પહોળાઈને ઘેરી લે એવું એક મોટું બોર્ડ બનાવેલું છે, ગાડીઓ આ બોર્ડના નીચેથી જ પસાર થાય છે, આ બોર્ડ ઉપર મોટા અક્ષરોએ અરબી તથા અંગે્રજીમાં લખેલું છે કે ”ફકત મુસલ્માનો માટે” એટલે કે, હવે અહિયાથી આગળ, ફકત મુસ્લિમો જ જઈ શકે છે, અને ગેર મુસ્લિમો માટે, ત્યાંથી એક અલગ રસ્તો કાઢવામાં આવ્યો છે, જે હુદૂદે હરમની બહાર થઈને મકકહ મુકર્રમહ થી આગળ જાય છે.
તમો જયારે આ હુદૂદે હરમની પાસે પહોંચો, ત્યારે એમ સમજો કે તમો અહકમુલ હાકિમીનના શાહી દરબારના સહનમાં પગ મુકી રહી છે અને આ સદ્ભાગ્ય ખૂશ નસીબોને જ પ્રાપ્ત થાય છે, એટલા માટે ઘણી જ વિનમ્રતા અને આશિકાના ચાલ સાથે ખુશૂઅ અને આજીઝીના સાથે પોતાના ગુનાહોની શરમિંદગીની સાથે, તૌબા અને ઈસ્તિગફાર કરતાં કરતાં શૌખ, ડર, મુહબ્બત અને અદબની કૈફિયત પોતાના અંદર પૈદા કરીને દાખલ થશો. અને અલ્લાહથી દુઆ કરશો, કે અય અલ્લાહ આ તમારું અને તમારા રસૂલનું હરમ છે, એમાં જાનવરોને પણ અમન છે, તો એની બરકત અને હુરમતથી મારા ગોશ્ત, પોસ્ત અને પૂરા બદન ઉપર દોઝખની આગ હરામ ફરમાવી દો અને કયામતના અઝાબથી મને અમન અતા ફરમાવો.
اللّٰھُمَّ اِنَّ ھٰذا حَرَمُکَ وَ حَرَمُ رَسُوْلِکَ فَحَرِّمْ لَحْمِی وَ دَمِیْ وَ عَظْمِیْ وَ بَشَرِیْ عَلَی النَّارِ۔ اللّٰھُمَّ اٰمِنِّی عَذَابَکَ یَوْمَ تُبْعَثُ عِبَادَکَ وَ اجْعَلْنِی مِنْ اَوْلِیَائِکَ وَ اَھْلِ طَاعَتِکَ وَ تُبْ عَلَیَّ اِنَّکَ اَنْتَ التَّوَّابُ الرَّحِیْم۔
(અલ્લાહુમ્મ ઈન્ન હાજા હરમુક વ હરમુ રસૂલિક, ફ હર્રિમ લહ્મી, વ દમી, વ અઝમી, વ બશરી, અલ ન્નારિ. અલ્લાહુમ્મ આમિન્ની, અઝાબક યવ્મ તુબ્અસુ ઈબાદક વજઅલની, મિન અવલિયાઈક વ અહ્લિ તાઅતિક, વ તુબ અલય્ય, ઈન્નક અન્ત ત્તવ્વાબુ ર્રહીમ.)
” અય અલ્લાહ આ તમારુ અને તમારા રસૂલનું હરમ છે, તમો (અહિયાની હાજરીની બરકતથી) મારા ગોશ્ત, મારા લોહી, મારી ચામડી અને મારા હાડકાઓને દોઝખ ઉપર હરામ કરી આપો અને કયામતના દિવસે પોતાના અઝાબથી મને અમનમાં રાખો. અને મને તમારા દોસ્તો અને ફર્માબરદારોમાંથી બનાવો, અને મારી તૌબા કબૂલ ફરમાવો, બેશક તમો તૌબહ કબૂલ કરનારા, અને રહમ કરનારા છો.”
હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે અંબિયાઅ (અલયહિમુસ્સલામ) જયારે આ હદમાં દાખલ થતા હતા, ત્યારે ખુલ્લા પગે પગપાળા ચાલતા હતા, અને તવાફ તેમજ બીજી ઈબાદતો પણ, એ જ હાલતમાં કરતા હતા.
વાસ્તવમાં તો આ હુદૂદે હરમમાં પ્રવેશનો અવસર એક મુસલમાન માટે એટલો ભાગ્યવંત અને બરકતવંત હોય છે કે એ સમયે અઝમત અને નમ્રતાની દરેક સર્વશ્રેષ્ઠ પધ્ધતિ અપનાવવાથી પણ આ પાવન ભૂમિકાનો હક અદા થઈ શકતો નથી.
હવે તમો ”મકકહ મુકર્રમહ” તરફ આગળ વધી રહી છો, અને અલ્લાહનું ઘર નઝદીક આવી રહયું છે, આ દરમિયાન ”તલ્બિયહ”પઢતી રહો. મંઝિલ જેમ નઝદીક આવશે, તેમ તેમ શોખ વધતો જશે, માટે ખૂબ ”તલ્બિયહ” પઢો, અને દિલમાં પણ તેની હાલત જમાવો.
અને જૂઓ, આ ”મકકહ મુકર્રમહ”ની ઈમારતો તો, નઝર પણ આવવા લાગી, એટલે આ દુઆ પઢવા માંડો :
اللّٰھُمَّ اجْعَلْ لِیْ بِھَا قَرَاراً وَ ارْزُقْنِی فِیْھَا حَلالا۔ اَللّٰھُمَّ بَارِکْ لَنَا فِیْھَا، اَللّٰھُمَّ ارْزُقْنَا جَنَاھا وَ حَبِّبْنَا اِلٰی اَھْلِھَا وَ حَبِّبْ صَالِحی اَھْلِھَا اِلََیْنَا۔
(અલ્લાહુમ્મજ અલલી બિહા કરારંવ વરઝુકની ફીહા હલાલન. અલ્લાહુમ્મ બારિક લના ફીહા, અલ્લાહુમ્મરઝુકના જનાહા વ હબ્બિબ્ના ઇલા અહ્લિહા વ હબ્બિબ સાલિહી અહલિહા ઇલયના.)
” અય અલ્લાહ મને મકકહ મુકર્રમહમાં ઠેકાણું અતા ફરમાવો અને હલાલ રોઝી આપો. અય અલ્લાહ મકકહ મુકર્રમહમાં અમોને બરકત અતા ફરમાવો, ખુદાયા આ શહેરના મેવા અતા ફરમાવો. અય અલ્લાહ અમોને મકકહવાળાઓની નઝરમાં, અને મકકહવાળાઓને અમારી નઝરમાં પ્યારા બનાવી દો. ”
મકકહ મુકર્રમહ જેને કુર્આન શરીફે ”અલ બલદુલ અમીન”, ”ઉમ્મુલ કુરા”, અને ”વાદિએ ગૈર જીઝરઅ”ના નામોથી યાદ કર્યું છે, અને જેને અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ”અહબ્બુલ બિલાદ” (બધા શહેરોમાં સૌથી પ્યારૂ) બતાવ્યું છે અને તેનાથી મુહબ્બતના કારણે ફરમાવ્યું કે ”જો મુશ્રિકો મને કાઢી ના મુકત, તો હું કદાપી મકકહ મુકર્રમહને ન છોડત”.
હવે આપની બસ અલ્લાહના મુકદદસ શહેરમાં દાખલ થઈ રહી છે, એટલે પૂરી એકાગ્રતા સહિત નીચેની દુઆ પઢો :
اَللّٰھُمَّ اَنْتَ رَبِّی وَ اَنَا عَبْدُکَ ، جِئْتُ لاُؤَدِّیْ فَرْضَکَ وَ اَطْلُبُ رَحْمَتَکَ وَ اَلْتَمِسُ رِضَاکَ مُتَّبِعًا لامْرِکَ رَاضِیًا بِبَقَائِکَ
(અલ્લાહુમ્મ અન્ત રબ્બી વ અના અબ્દુક, જિઅ્તુ લિઉઅદદી ફર્ઝક વ અત્લુબુ રહ્મતક, વ અલ્તમિસુ રિદાક, મુત્તબિઅન લિઅમ્રિક, રાદિયન બિબકાઈક.)
”અય અલ્લાહ, તું મારો રબ છે અને હું તારો બંદી છું, તારો ફર્ઝ હજ્જ અદા કરવા માટે આવી છું અને તારી રજામંદી અને રહમતની તાલિબા બનીને આવી છું, તમો મારા માટે, તમારી રહમતના દરવાજા ખોલી આપો અને કિયામતના દિવસે મારા માટે મા’ફી, બક્ષિશ, મુકદ્દર ફરમાવો અને મારી હજ્જને સહીહ રીતે અદા કરાવી આપો.”
(દુઆઓ યાદ ના હોય તો એના ભાવાર્થ પ્રમાણે દરેક દુઆઓ પોતાની ભાષામાં કરવામાં આવે.)
મકકહ મુકર્રમહ ઉપર રાત–દિવસ રહમતો વરસતી રહે છે, અને જન્નતના બધા જ દરવાઝા, મકકહ મુકર્રમહ તરફ ખુલ્લા રહે છે અને કિયામત સુધી ખુલ્લા રહેશે.
હદીસ શરીફમાં છે કે, પૂરી ઝમીન ઉપર મકકહ મુકર્રમહ સિવાય કોઈ એવું શહેર નથી કે જેના તરફ જન્નતના બધા દરવાઝા ખુલ્લા રહેતા હોય. (મુઅત્તા ઠ્ઠ મુસ્નદે અહમદ બિન હંબલ)
જયારે આપને આપના મુઅલ્લિમની બસ આપના માટે આપના મુઅલ્લિમ સાહેબે નકકી કરેલ બિલ્ડિંગ પાસે લઈ જશે, તો બસમાંથી ઉતરતાં પહેલાં, આપને મુઅલ્લિમનો માણસ એક પીળો કાર્ડ તેમજ એક પીળો પટટો આપશે.
કાર્ડ ઉપર આપનું નામ,આપ કયાંની રહેવાસી છો ? આપનો પાસપોર્ટ નંબર શું છે ? તેમજ આપની બિલ્ડિંગનો અને આપના રૂમનો નંબર તેમજ આ બિલ્ડિંગ કયા એરયામાં આવેલી છે ? વગેરે વગેરે માહિતી હોય છે. તો એ કાર્ડ પણ જાળવી રાખો.
અને જે પીળો પટ્ટો આપવામાં આવશે એને પણ જાળવી રાખવાનો છે અને હાથમાં પહેરી રાખવાનો છે, એ ઉપર આપનાં મુઅલ્લિમનો નંબર, તેમનું નામ તથા પુરૂં એડ્રેસ અને ટેલીફોન નંબરો લખેલા હોય છે. જો હજીયાણી મકકહ મુકર્રમહ વગેરેમાં ખોવાઈ જાય તો આ પટ્ટા ઉપરથી તેણીને તેના રૂમ ઉપર પહોંચાડી આપવામાં આવે છે.
અઠવાડિયા પછી આપને ઇકામાનો એક વધુ કાર્ડ આપવામાં આવશે. જેમાં આપની પૂરેપૂરી માહિતી હોય છે, અને આપ ”મકકહ મુકર્રમહ” તથા ”મદીનહ મુનવ્વરહ” જઈ શકો છો, એની પરવાનગી હોય છે, હા, તમે” જિદ્દહ” નથી જઈ શકતી, એના માટે તમારે મુઅલ્લિમની ઓફિસે જઈને બીજો અલગ કાર્ડ બનાવવાનો હોય છે. ખૈર તો આ ઇકામાનો કાગળ પણ સાચવી રાખવો જરૂરી છે.
Log in or Register to save this content for later.