સફરની શરૂઆત

Chapter : બહેનોની હજ્જ

(Page : 31 to 50)

સફરની શરૂઆત

                અલ્હમ્દુલિલ્લાહ, ચાલો આ પ્રમાણે તમોએ હજ્જની બધી તૈયારી કરી લીધી, અને હવે તમો પોતાના ઘરેથી હજ્જના સફર માટે નીકળી રહી છો, તો યાદ રાખો, ઘરેથી નીકળતી વેળા ખૂશખુશાલ નીકળો, ગમગીન અને માયૂસ મોઢે ના નીકળો, કારણ કે આ સફર ખૂશી ખૂશી જવાનો સફર છે. ઘરેથી નીકળતા પહેલાં તેમજ નીકળ્યા પછી થોડો સદકહ કરી આપો અને ઘરમાં બે રકા’ત નમાઝ પઢો. પહેલી રકા’તમાં સૂરએ કાફિરૂન અને બીજી રકા’તમાં કુલ હુવલ્લાહુ અહદ…પઢો અને સલામ પછી આયતુલ કુર્સી અને લિઈલાફિ કુરયશ… પઢો અને અલ્લાહ તઆલાથી સફરમાં મદદ

                સગાવહાલા અને પડોશીઓ, બહેનપણીઓ વગેરેથી માફી માંગો, દુઆની દરખાસ્ત કરો. જો તમને યાદ હોય તો ઘરેથી નીકળતી વેળા આ દુઆ પઢો.

بِسْمِ اللّٰہِ اٰمَنْتُ بِاللّٰہِ، تَوَکَّلْتُ عَلَی اللّٰہِ وَلا حَوْلَ وَلاقُوَّۃَ اِلا بِاللّٰہِ

                ” બિસ્મિલ્લાહી, આમન્‌તુ બિલ્લાહિ, તવક્‌કલ્‌તુ અલલ્‌લાહિ, વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહિ”

                (હું અલ્લાહનું મુબારક નામ લઈને, એનો ઈકરાર કરું છું, કે મારું આપ ઉપર પૂરું ઈમાન અને પૂરો ભરોસો છે અને યકીની વાત છે કે આપના હુકમ સિવાય એક પત્તું પણ હલી નથી શકતું, બસ તમારા સહારે અને તમારા ભરોસે જઈ રહી છું.)

અને જો ઉપરોકત દુઆ યાદ ના હોય તો,

بِِسْمِ اللّٰہِ الرَّحْمٰنِ الرَّحِیْم

 

(બિસ્મલ્લાહી ર્રહમાનિ ર્રહીમ) પઢો.

                જયારે સવારી પર સવાર થાઓ તો પહેલાં જમણો પગ મુકો, જમણી બાજુ બેસો અને સવાર થયા પછી આ દુઆ પઢોઃ

سُبْحَانَ الذِّی سَخَّرَ لَنَا ھَذَا وَ مَا کُنَّا لَہُ مُقْرِنِیْنَ وَ اِنَّا اِلٰی رَبِّنَا لَمُنْقَلِبُوْنَ

                ”સુબ્‌હાન લ્લઝી સખ્ખર લના હાઝા વમા કુન્ના લહૂ મુકરિનીન, વ ઈન્ના ઈલા રબ્બિના લમુન્કલિબૂન”

                (તે ઝાત પાક છે, જેણે આ સવારીને અમારા કન્ટ્રોલમાં કરી આપી અને અમારા અંદર એને કંન્ટ્રોલ કરવાની તાકત ના હતી અને અમો અમારા પરવરદિગાર તરફ પાછા જવાના છે.)

હવે સાવચેતી પૂર્વક સફર કરો, ચોર લોકોથી ચોકન્ના રહો. રૂપિયા–પૈસા હિફાઝતથી રાખો, બધી રકમ એક જ જગાએ ના મુકો.

ઇં સફરમાં પોતાની કોઈ વસ્તુ બીજાને ના ખવડાવો, એવી જ રીતે બીજાની વસ્તુ તમો ના ખાઓ, એનાથી ઘણી વખતે પરેશાનીઓ ઉભી થાય છે. પોતાના સામાનની જવાબદારી બીજાને ન સોંપો.ઇં હવાઈ જહાઝથી જનાર હજીયાણીઓ ”અહમદાબાદ” અથવા ”મુંબઈ” થી એહરામ બાંધી લે.

ઇં જયારે ”એહરામ” બાંધવાનો ઇરાદો હોય તો એહરામ બાંધવાની નિય્યતથી ગુસ્‌લ કરો, જેમાં સાબૂન વગેરે લગાવી, ખૂબ સફાઈ થઈ જાય, એ રીતે ગુસ્‌લ કરો,

ઇં એ પણ યાદ રહે કે તમારૂ એહરામ તો સીવેલા કપડાં જ છે ભલેને તે રંગીન હોય તેમજ તમો ઓરતોએ માથું ઢાંકેલું રાખવું જોઈએ પણ મ્હોં (ચહેરો) હંમેશા ખુલ્લો રાખવો જરૂરી છે, ભલે બુરકો પહેર્યો હોય.

ઔરત, મરદની જેમ માથું ખુલ્લું ના રાખે, ઔરત માટે માથાનું ઢાંકવું વાજિબ છે. ઔરતે એહરામની હાલતમાં માથે એક નાનો રૂમાલ બાંધવો જોઈએ, જેથી માથું ખુલવા ના પામે. પણ એ યાદ રહે, કે રૂમાલ પેશાની ઉપર ના આવી જાય, જો આવી જશે તો, જઝા વાજિબ થશે, કારણ કે એહરામની હાલતમાં, ઔરતની પેશાની ઉપર કપડું લાગવું નાજાઈઝ છે. રૂમાલ બાંધવો એહરામમાં દાખલ નથી, કારણ કે ઔરતના માથામાં એહરામ નથી.

                માશાઅલ્લાહ તમોએ ગુસલથી ફારિગ થઈ, એહરામ બાંધી લીધું, પણ હજુ સુધી તમો એહરામમાં દાખલ થઈ નથી, કારણ કે એહરામની નિય્યત કરવાની બાકી છે. નિય્યત પછી જ એહરામમાં દાખલ થવાય છે.

                હવે તમારે બે રકા’ત નમાઝ પઢવાની છે, એટલો ખ્યાલ રાખવો જરૂરી છે કે મકરૂહ ટાઈમ ના હોય.

                સુર્ય તુલૂઅ થવાનો ટાઈમ, ઝવાલનો ટાઈમ અને સુર્ય ગુરૂબ થવાનો ટાઈમ આ ત્રણ ટાઈમ મકરૂહ ટાઈમો છે. એવી જ રીતે અસર અને ફજરની નમાઝ પછી પણ નફિલ નમાઝ પઢવી મકરૂહ છે.

                પહેલી રકા’તમાં ”કુલ્‌ યા અય્યુહલ કાફિરૂન” અને બીજી રકા’તમાં ”કુલ હુવલ્લાહુ અહદ” પઢો અને સલામ ફેરવ્યા પછી, તે જ જગાએ કિબ્લહ રૂખ બેસીને એહરામની નિય્યત પણ કરી લો.

નિય્યત કરતાં પહેલા એટલું સમજી લો કે હજ્જના ત્રણ પ્રકાર છે :

(૧)”હજ્જે ઈફરાદ”, જેમાં એહરામ વખતે ફકત હજ્જની નિય્યત કરવામાં આવે છે.

(ર) ”હજ્જે કિરાન”, જેમાં એહરામ વખતે હજ્જ અને ઉમરહ, બંનેની એક સાથે નિય્યત કરવામાં આવે છે.

(૩) ”હજ્જે તમત્તુઅ”, જેમાં એહરામ વખતે ફકત ઉમરહની નિય્યત કરવામાં આવે છે,

                અને મકકહ શરીફ પહોંચીને, ઉમરહ કર્યા પછી, એહરામ ખોલી નાખવામાં આવે છે અને ૮ ઝિલ્હજ્જના ફરીવાર મસ્જિદે હરામથી હજ્જ માટેનું એહરામ બાંધવામાં આવે છે. જયારે કે પહેલી અને બીજી રીતમાં, જયાં સુધી હજ્જથી ફારિગ ના થાય ત્યાં સુધી એહરામ બાકી જ રહે છે અને એહરામની બધી જ પાબંદીઓ નિભાવવી પડે છે, જેનું નિભાવવું ખાસ કરીને બહેનો માટે ઘણું મુશ્કિલ છે, અને લગભગ એવું બને છે કે, બહેનો એવા કામો અને એવી વાતો કરી બેસે છે, જે એહરામની હાલતમાં મના છે. એટલા માટે આજ કાલ બહેનોને આ બંને સૂરતો ઉપર અમલ ન કરવાનો મશ્વેરો આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમો ત્રીજા નંબરની રીત જ અપનાવો, એટલે કે એહરામ બાંધીને ”હજ્જે તમત્તુઅ”ની જ નિય્ય્ત કરો. એટલા માટે આ કિતાબમાં ”હજ્જે તમત્તુઅ”ની વિગતો આપવામાં આવી છે.

                ખૈર, આપ બે રકા’તથી ફારિગ થઈ, નિય્યત કરી રહી છો, તો આ પ્રમાણે નિય્યત કરો :

     اَللّٰھُمَّ اِنِّی اُرِیْدُ الْعُمْرَۃَ فَیَسِّرْھَا لِیْ وَ تَقَبَّلْھَا مِنِّ

” અલ્લાહુમ્મ ઈન્ની ઉરીદુલ્‌ ઉમરત, ફયસ્સિરહા લી, વ તકબ્બલ્‌હા મિન્ની.”

                ”ઓ અલ્લાહ ! હું ઉમરહની નિય્યત કરું છું, આપ મારા માટે ઉમરહને આસાન ફરમાવો અને મારા ઉમરહને કબૂલ ફરમાવો.”

                જો અરબીના ઉપરોકત શબ્દો યાદ ના હોય તો ઉર્દુ, ગુજરાતી, ઈંગ્લિશ વગેરે પોતે જાણતી હોય તે કોઈ પણ ભાષામાં આ અરબી શબ્દોનો અર્થ બોલવું અને ઉચ્ચારવું પણ મુનાસિબ અને યોગ્ય છે.

                ત્યાર પછી, ફકત તમો જ સાંભળી શકો એટલા નીચા અવાજે નીચે પ્રમાણે તલબિયહ પઢો :–

لَبَّیْکَ اَللـّٰھُمَّ لَبَّیْکَ،

لَـبَّیْکَ لا شـَرِیْکَ لَـکَ لَبَّیْکَ،

اِنَّ الْحَمْدَ وَ النِّعْمَۃَ لَکَ وَ الْمُلْکَ،

لا شَـرِیْکَ لَکَ۔

લબ્બય્‌ક,અલ્લાહુમ્મ લબ્બય્‌ક,

લબ્બય્‌ક લા શરીક લક લબ્બય્‌ક,

ઈન્નલ્‌–હમ્દ વ ન્નિઅ્‌મત લક વલ્મુલ્ક,

લા શરીક લક.

હું હાજર છું, હે અલ્લાહ હું હાજર છું,

હું હાજર છું, આપનો કોઈ જ ભાગીદાર નથી,હું હાજર છું,

બેશક બધા વખાણ અને નેઅ્‌મતો ફકત તમારા માટે જ છે,અને મુલ્ક પણ

તમારો કોઈ જ ભાગીદાર નથી. ا

                આ શબ્દોને ”તલ્‌બિયહ” કહેવામાં આવે છે, આ ”તલ્‌બિયહ” ”હજ્જ” તથા ”ઉમરહ”નો ખાસ ઝિક્ર છે. ”તલ્‌બિયહ”માંથી કોઈ શબ્દ ઓછો કરવો મકરૂહ છે. ”તલ્‌બિયહ” પઢવાની સાથે જ હવે તમો એહરામમાં દાખલ થઈ ગઈ, જેવી રીતે કે તકબીરે તહરીમહ(اَللّٰہُ اَکْبَرْ )     અલ્લાહુ અકબર” કહેવાથી, નમાઝમાં દાખલ થઈ જવાય છે .

                ઘરેથી હજ્જ માટે રવાના થતી વખતે, જો ઔરતને માસિક આવતું હોય તો તે હાલતમાં એહરામ બાંધી શકે છે. એહરામ બાંધવાની નિય્યતથી ગુસલ કરી લે અને જો આવી હાલતમાં ગુસલ કરવું નુકસાન કરતું હોય, તો વુઝૂ કરીને કિબ્લહ તરફ મોઢું કરીને, બેસીને એહરામની નિય્યત કરી લે અને તલબિયહ પઢી લે, પણ એહરામની બે રકા’ત નમાઝ આ હાલતમાં પઢવાની નથી.

                જો એહરામ બાંધ્યા પછી, માસિક આવી જાય, તો એનાથી એહરામ ખતમ નહિ થાય, એહરામ બાકી જ રહેશે એહરામ તો ત્યારે જ ખુલશે જયારે ઉમરહના બધા અમલોથી ફારિગ થઈ વાળ કપાવશો.

                આ ”તલ્‌બિયહ” હજીયાણીઓનું ખાસ તરાનું છે,અસલમાં એ હઝરત ઇબ્રાહીમ (અલયહિસ્સલામ)ની પુકારનો જવાબ છે. હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)એ અલ્લાહના બંદીઓ અને બંદાઓને પુકાર્યા હતા, કે આવો અલ્લાહના ઘર પર હાજરી આપો. હવે જે બંદીઓ/ બંદાઓ ”હજ્જ” અથવા ”ઉમરહ”ની નિય્યતથી, એહરામ બાંધીને, અલ્લાહના ઘરે હાજરીના ઈરાદાથી જાય છે તેઓ ”તલ્‌બિયહ” પઢીને જાણે કે, હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ)ની તે પુકારના જવાબમાં અર્જ કરે છે, કે ઓ અમારા રબ, તેં પોતાના મકબૂલ બંદા હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) મા’રફતે   અમોને બોલાવ્યા હતા, તો અમે હાજર છીએ, અમે હાજર છીએ,તારી હુઝૂરમાં હાજર છીએ.

                તો ”તલ્‌બિયહ” પઢતી વખતે, અલ્લાહને હાજિર નાઝિર સમજીને સીધી અલ્લાહ તઆલાથી વાતો કરતી હોય તેમ શોખ તથા ડર સાથે વારંવાર રટણ કરો

لَبَّیْکَ اَللـّٰھُمَّ لَبَّیْکَ،

لَـبَّیْکَ لا شـَرِیْکَ لَـکَ لَبَّیْکَ،

اِنَّ الْحَمْدَ وَ النِّعْمَۃَ لَکَ وَ الْمُلْکَ،

لا شَـرِیْکَ لَکَ۔

લબ્બય્‌ક,અલ્લાહુમ્મ લબ્બય્‌ક

લબ્બય્‌ક લા શરીક લક લબ્બય્‌ક

ઈન્નલ્‌–હમ્દ વ ન્નિઅમત લક વલ્મુલ્ક,

લા શરીક લક.

હું હાજર છું, હે અલ્લાહ હું હાજર છું,

હું હાજર છું, આપનો કોઈ જ ભાગીદાર નથી,હું હાજર છું,

બેશક બધા વખાણ અને નેઅ્‌મતો ફકત તમારા માટે જ છે,અને મુલ્ક પણ,

તમારો કોઈ જ ભાગીદાર નથી.

                ”તલ્‌બિયહ” પઢીને ખૂબ ખુશૂઅ અને ખુઝૂઅ સાથે અલ્લાહથી દુઆ કરો. આ મોકા પર આ દુઆ ખાસ તોર પર મુસ્તહબ છે :–

                اَللّٰھُمَّ اِنِّی اَسْألُکَ رِضَاکَ وَ الْجَنَّۃَ وَ اَعُوْذُ بِکَ مِنْ غَضَبِکَ وَ النَّارِ۔

                (અલ્લાહુમ્મ ઈન્ની અસ્‌અલુક રિઝાક વલ્જન્નત, વ અઊઝુબિક મિન ગઝબિક વન્નાર)

                ”હે અલ્લાહ ! હું આપથી આપની રજામંદી અને જન્નત માંગુ છું અને આપની નારાજગી તથા દોઝખના અઝાબથી આપની પનાહ ચાહું છું.”

                હવે ”તલ્‌બિયહ” જ તમારા માટે બેહતર ઝિક્ર છે, હજ્જમાં ‘તલબિયહ”નો તે જ દરજો છે, જે દરજો નમાઝમાં ”તકબીર”નો છે. પણ બુમો પાડી પઢવાથી પરહેઝ કરવું, ફકત પોતે સાંભળી શકો એટલા નીચા અવાજ થી પઢો. દરેક નવી હાલત થવા પર, ‘તલબિયહ” કહેવું મુસ્તહબ છે, જેમકે સવારી ઉપર સવાર થાઓ, સવારીનો રસ્તો બદલો, ફજર તુલૂઅ થાય, સુતેલી હોય અને આંખ ખૂલે, એવી જ રીતે ફર્ઝ અને નફલ નમાઝો પછી , જયારે કોઈને મળો, કોઈ ઊંચી જગાએ ચઢો અથવા કોઈ નીચી જગાએ ઉતરો, દરેક હાલતમાં ‘તલબિયહ” પઢતી રહો, અને ઓછામાં ઓછા ત્રણ વખત પઢો, અને પઢતી વખતે કોઈનાથી વાત ના કરો,પછી જે ચાહો તે દુઆ માંગો.

ઈજન જિસ્કો મિલા તેરે દરબારસે

વજ્‌દમેં ખૂશી કે વો ફિર ગીત ગાને લગેે

”હાજિર હું યા મવલા તેરે દરપે હાજિર”

બસ યેહી એક રટ સબ લગાને લગે

                તમો હવે મુહરિમા (એહરામવાળી) થઈ ગઈ છો, એટલે તમારા માટે નીચેના કામો કરવાની મનાઈ છે.

(૧) પોતાના પતી સાથે હમબિસ્તરી અથવા ચુંબન કરવું :

                એહરામવાળી ઓરત પોતાના પનીને શહવતના સાથે બોસો (ચુંબન) આપે અથવા શહવતના સાથે હાથ લગાવે અથવા સોહબત (સંભોગ) કરાવે, તો દમ વાજિબ થશે. (નાનું જાનવર ઝબહ કરવું પડશે).

                યાદ રાખો કે બે જિનાયતો એવી છે, જેના કરવાથી હજીયાણી ઉપર મોટું જાનવર (ગાય અથવા ઊંટ) ઝબહ કરવું વાજિબ થાય છે.(૧) જનાબત અથવા હૈઝ, નિફાસની હાલતમાં તવાફે ઝિયારત કરવું. (ર) વુકૂફે અરફહ પછી બાલ કપાવતા પહેલાં પોતાના પતીથી સોહબત કરાવવી.

(ર) મોં ઢાંકવું (ઔરતોએ માથું ઢાંકવું જોઈએ.) :

                જો તમોએ ચહેરો પૂરી રાત અથવા પૂરો દિવસ ઢાંકયો તો ”દમ” વાજિબ થશે અને બે–ચાર કલાક સુધી ઢાંકયો તો ”સદકહ” (પોણા બે કિલો ઘઉ) વાજિબ થશે. એ વાત યાદ રહે, કે મોઢાં નો ચોથો ભાગ પૂરા મોઢાના હુકમમાં છે.એહરામની હાલતમાં કપડાં વગેરેથી મોં લુંછવું નાજાઈઝ છે, કારણ કે કપડું મોંને લાગે છે. જો થોડીકવાર માટે મોં ઢંકાયેલું રહેશે, તો એક મુઠઠી ઘઉં અથવા એની કિંમત સદકો કરી આપવો. હાં, હાથ વડે મોં લુંછી શકાય છે.

                એહરામની હાલતમાં ગોદડું, રજાઈ વગેરે એ રીતે ઓઢવું જાઈઝ છે કે મોઢું ન ઢંકાય એનો ખ્યાલ રાખવામાં આવે, બાકી તમામ શરીરને અને પગોને ઢાંકવું પણ જાઈઝ છે.

                ઔરતો હાથ અને પગના મોજા પહેરી શકે છે, જો કે સારુ એ છે કે મોજા ન પહેરે. તેમજ ઔરતો એવા બૂટ પણ પહેરી શકે છે જેનાથી પગના વચ્ચેનું હાડકું છુપાઈ જાય.)

(૩)હજામત બનાવવી :

                બાલ કપાવવા, ઉખેડવા, ચૂના અથવા બાલસફા પાવડરથી અથવા બીજી કોઈ વસ્તુથી બાલ ઉતારવા અથવા સળગાવવા બધાનો એક જ હુકમ છે. જો તમોએ માથાના ચોથા ભાગના બાલ (આંગળીના વેઢા જેટલા) કપાવ્યા અથવા બદનના કોઈ પણ ભાગના કોઈ પણ રીતે બાલ ઉતાર્યા તો ”દમ” વાજિબ થશે અને જો ચોથા ભાગથી ઓછા હશે, તો ”સદકહ” વાજિબ થશે.

                એક અથવા બે વાળ ખજવાળી અથવા ખેંચીને ઉખેળ્યા તો દરેક વાળના બદલામાં એક મુઠ્ઠી અનાજ સદકો કરે અને જો ત્રણ વાળ અથવા વધુ વાળ ઉખેળ્યા, તો પૂરો સદકો વાજિબ થશે.

                એહરામની હાલતમાં તમારી કોઈ એવી હિલચાલથી વાળ ખરી પડયા, જેને કરવાનો હુકમ શરીઅતમાં આપવામાં આવ્યો છે, જેમકે, વુઝૂ અથવા ગુસલ કરવું અને તેનાથી ત્રણ અથવા વધુ વાળ ખરી પડયા, તો એક મુઠ્ઠી સદકો કાફી છે.

(૪) નખ કાપવા :

                કોઈ હજીયાણીએ એક હાથ અથવા એક પગના અથવા બે હાથ અથવા બે પગના નખ, એક મજલિસમાં કાપી નાંખ્યા, તો ”દમ” વાજિબ થશે અને જો ચારેવ અવયવોના નખ, ચાર અલગ અલગ મજલિસ (બેઠક)માં કાપ્યા અથવા કપાવ્યા, તો ચાર દમ વાજિબ થશે.

                પાંચ નખથી ઓછા કાપ્યા, અથવા પાંચ અલગ અલગ કાપ્યા, જેમકે એક હાથના બે અને બીજા હાથના ત્રણ અથવા સોળ નખ અલગ અલગ જેમકે ચાર–ચાર બંને હાથ પગના કાપ્યા, તો ત્રણેવ સૂરતોમાં દરેક નખના બદલામાં પૂરો સદકહ (પોણા બે કિલો ઘઉ) વાજિબ થશે, પરંતુ જો એ બધો સદકહ, બકરા કે ઘેટાની કિંમત જેટલો થઈ જાય, તો થોડો ઓછો કરી દેવામાં આવે, જેથી દમની કિંમત બરાબર અથવા તેનાથી વધી ના જાય.

                એ પણ યાદ રાખો કે, તુટેલા નખને તોડવાથી કંઈ જ વાજિબ થતું નથી.

(પ) ખુશ્બૂ લગાવવી :

                જો પૂરા એક ઉઝ્‌વ (અવયવ) ઉપર અથવા એકથી વધૂ ઉઝ્‌વ ઉપર એક મજલિસમાં ખૂશ્બૂ લગાવી અથવા એક વેંતની લંબાઈ પહોળાઈ થી વધુ વિસ્તારમાં ખુશ્બૂ ચાદર પર લગાવી, તો ”દમ” વાજિબ થશે.

                ખૂશ્બૂથી ભરેલું કપડું પહેર્યું, તો જો ખૂશ્બૂ વેંત બે વેંત, અથવા એનાથી વધારે લાગેલી હોય અને આવું કપડું એક રાત અથવા એક દિવસ (૧ર–બાર કલાક) પહેરી રાખ્યું, તો તેનાથી ”દમ” વાજિબ થશે.(અર્ધી રાતથી અર્ધો દિવસ, એ મળીને એક દિવસની ગણત્રીમાં આવશે.) અને જો એનાથી ઓછા ટાઈમ માટે હશે અથવા વેંત બે વેંતથી ઓછી ખૂશ્બૂ લાગેલી હશે, તો ”સદકહ” વાજિબ થશે. (ગળામાં ફૂલોનો હાર પહેરવો મકરૂહ છે.)

                અમુક હવાઈ જહાઝવાળાઓ હજ્જ યાત્રાળુઓને હાથ–મોં લુંછીને તાઝગી મેળવવા ખાતર ખૂશ્બુદાર ટીશુ પેપર (કાગઝી રૂમાલ) આપે છે અને હજ્જ યાત્રાળુઓ બે–ખબરીમાં તેનાથી હાથ–મોં લુંછી લે છે. ખ્યાલ રહે કે એહરામની હાલતમાં આ રીતે ખૂશ્બૂદાર કપડાંથી મોં અથવા પૂરો હાથ લુંછવામાં આવે તો ”દમ” વાજિબ થશે.

                હજીયાણીઓ / હાજીઓ માટે આ પ્રકારની મુશ્કેલીઓ ઊભી ના થાય તે માટે વિમાનપરિચાલન સ્ટાફને પણ આવા મુદ્દાઓની તા’લીમ આપવી જોઈએ. હજ્જ કમિટી તથા ટૂર કંપનીઓના જિમ્મેદાર હઝરાત આ તરફ ધ્યાન આપે તે ઈચ્છનીય છે.

                વિમાનમાં મચ્છરો મારવા માટે જે સ્પ્રે છાંટવામાં આવે છે તે વિશે પણ યોગ્ય તહકીક જરૂરી છે.

                ”દમ” (કુર્બાની) મકકહ મુકર્રમહ અને હરમની હદમાં જ આપવી જરૂરી છે અને એનો ગોશ્ત ગરીબોમાં વહેચી આપવાનો છે, પોતે અથવા કોઈ માલદાર માણસે એમાંથી ખાવું જાઈઝ નથી. તેમજ જયારે ”દમ” વાજિબ થતો હોય તો ”દમ” આપવું જ જરૂરી છે, ”દમ”ના જાનવરની કીંમતની ખૈરાત કરવી જાઈઝ નથી.

                ”હજ્જ” અને ”ઉમરહ”ના સિલસિલાનો પહેલો અમલ આ ”એહ્‌રામ” જ છે, અને હવે મકકહ મુઅઝઝમહ પહોંચતા સુધી, આપને કોઈ ખાસ અમલ કરવાનો નથી, બસ ”એહરામ”ની પાબંદીઓ નિભાવો અને પોતાના અંદર અલ્લાહનો ડર અને ખૌફ, ઈશ્ક અને મુહબ્બત પૈદા કરીને, ખૂબ ખૂબ ”તલ્‌બિયહ”પઢતી રહો. આ ટાઈમે ઈશ્કો–મુહબ્બ્ત અને ખૌફની જેટલી કૈફિયત તમારા અંદર પૈદા થશે, તે જ અસલ ઈબ્રાહીમી મીરાસ છે, અને એ જ હજ્જ તથા ઉમરહની રૂહ છે. અને આ કૈફિયત કેમ પૈદા ન થાય, જયારે કે જમીન અને આકાશોનો માલિક પોતાના મહાન ઘરથી પ્રતિપળ આપને નઝદીક લઈ જઈ રહયો હોય !

                સફર દરમિયાન જયારે જયારે પણ, તમો સવારી ઉપર સવાર થાઓ, ચાહે પછી ઘરે થી ”અહમદાબાદ” કે ”મુંબઈ” જતી હોય, અથવા ”અહમદાબાદ” કે ”મુંબઈ”થી ”જિદ્દહ” જતી હોય કે, પછી ત્યાંથી આગળનો સફર ખેડતી હોય, સફરની દુઆઓ જરૂરથી પઢતી રહો, તેને જીંદગીની આદત બનાવી લો.

                હવે આખરે હવાઈ જહાઝમાં સવાર થવાનો મુબારક અવસર આવી ગયો, જયારે હવાઈ જહાઝ રવાના થાય ત્યારે આ દુઆ પઢો :

بِسْمِ اللّٰہِ مَجْرِھَا وَ مُرْسٰھَا اِنَّ رَبِّیْ لَغَفُوْرٌ رَّحِیْمٌ

(બિસ્મિલ્લાહિ મજરેહા વ મુરસાહા ઈન્ન રબ્બી લગફૂરુર્રહીમ)

                ”જહાઝોનું ચાલવું અને રોકાવું અલ્લાહના નામની બરકતથી છે. બેશક મારો પાલનહાર ક્ષમાવાન, દયાવાન છે.”

                અલહમ્દુલિલ્લાહ તમો હવાઈ માર્ગે ”જિદ્દહ” જવા રવાના થઈ ગઈ છો. ગણત્રીનાં કલાકોમાં આપ ”જિદ્દહ”ના એરપોર્ટ ઉપર ઉતરી જશો, અને આપને અનહદ ખૂશી થશે કે અલ્લાહ તઆલાએ તમોને હિજાઝની મુકદદસ ભૂમિ ઉપર કદમ મુકવાનો મુબારક મૌકો નસીબ ફરમાવ્યો, સમગ્ર મુસ્લિમોના દિલોમાં આ દેશની મુહબ્બત સૌથી વધૂ છે.આ ”જિદ્દહ” સમજો કે, ”મકકહ મુઅઝઝમહ” નો દરવાજો છે. હવે તમારી તબિયત ”મકકહ મુઅઝઝમહ” પહોંચવા માટે અધીરી બની ગઈ હશે, પણ ધીરજ રાખશો, વહેલા મોડા કાનૂની કાર્યવાહી પતાવી, તમો બસ મા’રફત જરૂર ”મકકહ મુઅઝઝમહ” પહોંચી જશો. ”જિદ્દહ”થી ”મકકહ મુઅઝઝમહ”નો દોઢથી બે કલાકનો રસ્તો છે, અને રોડ ઘણોજ સારો છે, ડ્રાઈવરો પણ ગાડી તેજ ગતીથી ચલાવે છે.

                ”જિદ્દહ” હવાઈ જહાઝમાંથી ઉતરતી વખતે, પોતાનો હાથ સામાન અંદર જ ના રહી જાય એનો ખ્યાલ રાખશો. પોતાની સાથે લઈને જ ઉતરો.

                હવાઈ જહાઝની સીડીઓ ઉતરીને તમારે બસમાં બેસવાનું છે. શાંતિથી બસમાં બેસી જાઓ, તમોને બસ મા’રફત એરપોર્ટ ઉપર બનેલા એક મોટા હોલમાં લઈ જવામાં આવશે. થોડીકવાર પછી ત્યાંથી બીજા હોલમા દાખલ થવાની રજા મળશે, તે વખતે ઔરતો અને મર્દોને અલગ અલગ કરી દેવામાં આવે છે, માટે તમારી પાસપોર્ટ અને તેના જરૂરી કાગળો તમારા મહરમ પાસેથી લઈ લેશો.

                આ હોલમાં તમારી પાસપોર્ટ ઉપર ”એન્ટ્રી”નો સીકકો મારવામાં આવશે અને ”ઈમીગ્રેશન” પણ થશે. ”એન્ટ્રી” તથા ”ઈમીગે્રશન” થયા પછી, તમારે ત્રીજા હોલમાં જવાનું થશે, જયાં તમારો સામાન પણ પહોંચી ગયો હશે, અને તમારી તમારા મહરમથી મુલાકાત પણ આ જ હોલમાં થશે. પોતાનો સામાન ઓળખીને એક જગાએ ભેગો કરો, અને કસ્ટમ કરાવવા માટે તેના કાઉન્ટર ઉપર પહોંચો.

                સામાનનું ચેકીંગ સખ્ત થાય છે. કસ્ટમથી ફારિગ થઈ, બહાર નીકળશો, તો ત્યાં અમુક ટેબલો હશે, ત્યાં તમારી પાસપોર્ટ ઉપર, તમારા આગળના પૂરા સફર માટે, બસની ટીકીટો, પીન કરી આપે છે. જો તમારી પાસપોર્ટમા એરટીકીટ હોય તો તે કાઢી લેશો, કારણ કે, ”મકકહ મુકર્રમહ” જતી વખતે, ગાડીમાં પાસપોર્ટ આપી દેવી પડે છે, અને જયારે તમો હજ્જથી ફારિગ થઈ, પાછી ”જિદ્દહ” આવશો, ત્યારે જ તમોને તમારી પાસપોર્ટ પાછી આપવામાં આવશે.

                ઉપરોકત કાનૂની કાર્યવાહી થયા પછી, તમોને, તમારા સામાન સાથે, તે જગાએ પહોંચાડવામાં આવશે કે જયાંથી તમોને ”મકકહ મુકર્રમહ” જવાવાળી બસોમાં બેસાડવામાં આવશે. અહિયા પેશાબ પાણી, નમાઝ વગરેનો ઈન્તિઝામ હોય છે, માટે પોતાની જરૂરતોથી ફારિગ થઈ જાઓ, અને ડ્રાફટ વટાવવા બેંક કાઉન્ટરો પણ હશે, જો આપને પૈસા વટાવવાની જરૂરત હોય, તો કાઉન્ટર ઉપર જઈને ડ્રાફટ આપશો એટલે તૂરત જ રિયાલ આપી દેશે.

                અને મારો મશ્વેરો એ કે હજીયાણીઓ એ તો ડ્રાફટ અહિંયા જિદદહ જ વટાવી લેવો મુનાસિબ છે કારણ કે ”મકકહ મુકર્રમહ”માં પણ ડ્રાફટ તો વટાવી શકાય છે પણ ત્યાં પાસપોર્ટની જરૂર પડે છે અને તે માટે મુઅલ્લિમ પાસે ધકકા ખાવા પડે છે, જયારે કે જિદદહ એરપોર્ટ ઉપર ડ્રાફટ વટાવવાનું કામ બીજી જગા કરતાં વધારે સરળ રહે છે. એ વાત પણ યાદ રાખો કે પોતાના ડ્રાફટના રિયાલ છૂટા કરવા અથવા રિયાલ ગણવા કોઈને પણ આપશો નહિ. તમોને જે રિયાલ પીન મારીને આપવામાં આવે છે, તે ગણેલા જ હોય છે અને પૂરેપૂરા હોય છે, ઈન્શાઅલ્લાહ ઓછા બિલ્કુલ નહિ નીકળે, માટે ફિકર કરશો નહિ. રિયાલ લઈ, તેને સંભાળીને મૂકો, કારણ કે કેટલાક મર્દો અને કેટલીક ઔરતો પણ, ખાસ ચોરી કરવા જ અહિયા આવે છે.

                એક કામ એ પણ કરો કે પોતાનું ઘડિયાળ અઢી કલાક પાછળ કરી આપો, કારણ કે ઈન્ડિયા અને સઊદીના ટાઈમમાં અઢી કલાકનો ફર્ક છે.

Log in or Register to save this content for later.