Chapter : બહેનોની હજ્જ
(Page : 25 to 31)
ફર્ઝ હજ્જનું હોવું
હુઝૂરે અકદસ હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું :
” ઈસ્લામનો પાયો પાંચ વસ્તુઓ ઉપર નાંખવામાં આવ્યો છે :
(૧) અલ્લાહના અકેમાત્ર મઅ્બૂદ હોવાની ગવાહી આપવી,
(ર) નમાઝ કાયમ કરવી,
(૩) ઝકાત અદા કરવી,
(૪) બયતુલ્લાહની હજ્જ કરવી,
(પ) રમઝાન શરીફનાં રોઝહ રાખવા.
હજ્જ ફર્ઝે ઐન છે. ઝિંદગીમાં એક વખત તેવા તમામ લોકો ઉપર ફર્ઝ છે, જેમને અલ્લાહ તઆલાએ એટલો માલ આપ્યો હોય, કે પોતાના વતનથી મકકા શરીફ સુધી જવા–આવવા પર કાદિર હોય
જયારે હજ્જ ફર્ઝ થઈ જાય,તો શકય એટલી જલ્દી અદા કરવામાં આવે અને આવતા વર્ષ પર ઠેલવવામાં ન આવે.
હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) રિવાયત કરે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું :” જે માણસ હજ્જનો ઈરાદો રાખતો હોય તેણે હજ્જ કરવામાં જલ્દી કરવી જોઈએ.” (અબૂદાવૂદ શરીફ )
ઓરત હજ્જ માટે જાય, તો તેણી સાથે તેણીનો ધણી કે કોઈ એવો સંબંધી, જેની સાથે હંમેશના માટે નિકાહ જાઈઝ નથી, જેમકે બાપ, કાકા, ભાઈ, છોકરો, અથવા દૂધ શરીક ભાઈ તથા સસરા વગરેનું હોવું જરૂરી છે. મહરમ વગર સફર કરવું જાઈઝ નથી, જો સફર કરશે તો ગુનેહગાર થશે. મહરમનું આકિલ બાલિગ (અથવા કરીબુલ બુલૂગ) હોવું પણ જરૂરી છે.
એવી ઔરત કે જેના ઉપર હજ્જ ફર્ઝ થઈ ગઈ છે તેણી સાથે હજ્જમાં જનાર કોઈ મહરમ નથી, તો તેણીએ મહરમ મળતાં સુધી, હજ્જ મુલ્તવી કરવી જોઈએ, અને આ મજબૂરીના કારણે હજ્જમાં જે મોડું થશે, તેનો કોઈજ ગુનોહ તેણીને નહિ થાય. જો ઝિંદગીભર કોઈ મહરમ ના મળે, તો આવી ઔરતે મરતી વખતે હજ્જે બદલની વસીય્યત કરવી વાજિબ છે.
ઘણી ઔરતો હજ્જ કે ઉમરહ માટે મહરમ અથવા શોહર વગર ચાલી જાય છે, આ રીતે હજ્જ કે ઉમરહ માટે જવું, નાજાઈઝ અને ગુનાહનું કામ છે.
ઈદદતમાં બેઠેલી ઔરત ઈદદતના દિવસોમાં હજ્જ માટે બિલકુલ ના જાય, આ હાલતમાં તેણી માટે હજ્જની સફર કરવી હરામ છે. એથી વધીને એ, કે આવી ઔરત માટે સફરે શરઈ થી ઓછી મસાફત માટે સફર કરવું પણ જાઈઝ નથી. ઈદદતની હાલતમાં ઔરત કોઈ સખ્ત મજબૂરી હોય, તો ફકત દિવસ દરમિયાન ઘરની બહાર નીકળી શકે છે, પણ રાતે તો, કોઈ પણ હાલતમાં ઈદદતવાળા મકાનમાં પાછા આવવું પડશે અને રાત તે જ મકાનમાં ગુજારવી પડશે. તો ઝાહિર વાત છે, કે હજ્જમાં આવું થઈ નથી શકતું, માટે તલાક અથવા મૌતની ઈદદતમાં હજ્જ માટે ન નીકળે, તે છતાં જો સફર કરશે તો હજ્જ કે ઉમરહ તો થઈ જશે, પણ તેણી ગુનેહગાર પણ થશે.
કેટલીક ઔરતો ફર્ઝી (માની લીધેલાં) મહરમ (જેમકે મ્હોં બોલા બેટા,મ્હોં બોલા બાપ, મ્હોં બોલા ભાઈ) બનાવીને હજ્જ કે ઉમરહ માટે ચાલી જાઈ છે, શરીઅતમાં તેની કોઈ જ ગુંજાઈશ નથી અને આ ગુનાહનું કામ છે અને શરીઅતના કાનૂનની મઝાક ઉડાડવા બરાબર છે. આ સૂરતમાં હજ્જ કે ઉમરહ તો થઈ જશે, પરંતુ સાથે સાથે તેણીના નામએ આ’માલમાં મહરમ વગર સફર કરવાનો ગુનોહ પણ લખવામાં આવશે અને પેલો ફરઝી મહરમ મફતમાં જ ગુનેહગાર થશે.
અમુક ઔરતો એમ સમજે છે કે, કેટલીક ઔરતો ભેગી મળીને હજ્જ કે ઉમરહ માટે જઈ શકે છે, તેણીઓનો એ ખ્યાલ ખોટો છે.
અને યાદ રાખો કે, આ મનાઈનો હુકમ જુવાન, ઘરડી દરેક માટે એક સરખો જ છે. તેણીઓએ શરીઅતની પાબંદી કરવી જરૂરી છે, પોતાની મનચાહત ઉપર અમલ ના કરે.
ઈમામ નવવી (રહ.) લખે છે કે જે માણસ હજ્જનો ઈરાદો કરે તેણે હજ્જની રીત સારી રીતે સમજી લેવી ફર્ઝે ઐન છે, એટલા માટે કે જે માણસ ઈબાદતની રીત નથી જાણતો, તેની ઈબાદત સહીહ થશે નહિ. અને સારું આ છે કે કોઈ એવી આધારભૂત, વિશ્વાસપાત્ર અને પ્રમાણિત કિતાબ પોતાની સાથે સફરમાં રાખે, જેમાં મસ્અલાઓ, હુકમો અને હજ્જના મકસદો પૂરતા પ્રમાણમાં લખાયેલા હોય, એને રસ્તામાં પઢે અને પૂરા સફરમાં વારંવાર પઢતો રહે, જેથી મસ્અલાઓ બરાબર યાદ થઈ જાય. જો આવું નહિ કરે તો, અમને દિલમાં ઊંડે ઊંડે એવો ખટકો છે કે તે માણસ (રૂહાની ને પરિપૂર્ણ) હજ્જ વગર જ પાછો આવશે અથવા હજ્જની કોઈ શર્ત અથવા રૂકનમાં ખલલ કરશે. (મનાસિકે નવવી સફા ૩૭)
જે બહેનો હજ્જ ફર્ઝ હોવા છતાં હજ્જ માટે નથી જતી તેણીઓ તો તંબીહના કાબિલ છે જ, પણ જે બહેનો હજ્જના અહકામ શીખ્યા વગર, અને આ મહાન ઈબાદતનાં જરૂરી આદાબ જાણ્યા વગર હજ્જ માટે ચાલી જાય છે, તેણીઓ પણ તંબીહના કાબિલ છે. કેટલા અફસોસની વાત છે, કે બહેનો આટલી મોટી રકમ ખર્ચ કરીને, પોતાના વતન વગેરેને છોડીને જાય, અને મસ્અલાઓથી વાકિફ ના થાય. બધા જ જાણે છે, કે શીખ્યા વગર કોઈ વસ્તુ આવડતી નથી ! પરંતુ આ કેટલી નાદાની છે, કે જે ફર્ઝ ઈબાદત ઝિંદગીમાં મોટેભાગે ફકત એકવાર નસીબ થાય છે, તેને અદા કરવા નિકળી હોય, તેને પણ શીખવાનો, અને દિલમાં અલ્લાહ અને અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુહબ્બત વસાવવાનો અને ઈશ્કો મુહબ્બતનાં જઝબાત પૈદા કરવાનો જરા પણ એહતિમામ ના કરે.
ઘણા અફસોસની વાત છે, કે હજ્જની ભૌતિક (જાહિરી) તૈયારીઓ તો મહિનાઓ પહેલાથી શરૂ થઈ જાય છે, પરંતુ આ સફરની રૂહાની (આત્મિક) તૈયારી જોઈએ એટલા ઉત્સાહથી થતી નથી. હજ્જ કરવાવાળી ઉપર હજ્જના ટાઈમથી પહેલાં મસાઈલે હજ્જ શીખવા વાજિબ છે.
હજ્જનો ઈરાદો કરવાવાળીએ, સૌથી પહેલાં એ વાત ઉપર પૂરતું ધ્યાન દેવું જરૂરી અને લાઝમી છે, કે હજ્જ એક અઝીમુશ્શાન ઈબાદત છે, અને કોઈ પણ ઈબાદત ઈખ્લાસ વગર મકબૂલ નથી થતી, એટલા માટે ફકત અલ્લાહ તઆલાની ખૂશ્નૂદી અને તેના હુકમના પાલન ખાતર જ, હજ્જનો ઈરાદો કરવો જોઈએ.
એવું કયારેય ન વિચારો કે તફરીહ થશે, નવી નવી જગાઓ જોવા મળશે, સારો સારો સામાન ખરીદીશું, અને એવું પણ દિલમાં ના વિચારો કે મને હજીયાણી કહેવામાં આવશે અને મારી ઈઝઝત વધી જશે.
સૌ પ્રથમ પોતાનાં બધાં નાના મોટા ગુનાહોથી તૌબા કરો. તૌબાની મુસ્તહબ રીત આ છે, કે પહેલાં ગુસ્લ કરો, ગુસ્લની હિંમત ના હોય તો વુઝૂ કરો. ત્યાર પછી બે રકા’ત નમાઝ તૌબાની નિય્યતથી પઢો, નમાઝ પછી દુરૂદ શરીફ પઢો, અને ત્યાર પછી તૌબા અને ઈસ્તિગફાર કરો.
તૌબામાં ત્રણ કામો કરવા જરૂરી છે :
(૧) ભૂતકાળમાં કરેલા ગુનાહો પર પસ્તાવો અને કઝા તથા બદલો ચૂકવી શકાતો હોય તેવા ગુનાહો અને હકકોનો બદલો ચૂકવવો,
(ર) વર્તમાનકાળમાં આ ગુનાહોને ત્યજી,
(૩) ભવિષ્યકાળમાં ન કરવાનો પાકો ઈરાદો કરવો.
જુવાન થયા પછી જે નમાઝો કઝા થઈ ગઈ હોય, તે નમાઝોનો અંદાઝો લગાવીને કઝા કરો, અને યાદ રાખો, કે હવે પછી તમારી કોઈ નમાઝ કઝા ના થવા પામે. જો ગફલતના કારણે એક નમાઝ પણ કઝા થશે, તો યાદ રાખો, કે બયતુલ્લાહમાં સો નફલ પઢશો તો પણ, તેની તલાફી (ભરપાઈ) નહિ થઈ શકે.
કઝા નમાઝ પઢવા માટે કોઈ ટાઈમ નકકી નથી. મકરૂહ ટાઈમોને છોડીને જયારે પણ ફુરસદ હોય, વુઝૂ કરીને એક દિવસની ફર્ઝ અને વાજિબ (વિત્ર) મિલાવીને કુલ (ર૦) રકા’તો પઢી લો. એવી રીતે પોતાની છુટેલી બધી જ નમાઝોનો અંદાઝો લગાવીને તેની કઝા કરો.
Log in or Register to save this content for later.