પોતાના વતન પાછા આવવાના અદબો

Chapter : ઝિયારતે મદીનહ

(Page : 6-7)

પોતાના વતન પાછા આવવાના અદબો : જયારે સરદારે દોઆલમ, તાજદારે મદીનહ, આકાએ નામદાર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત, મસાજિદ તથા ઝિયારતના કાબિલ જગાઓની ઝિયારતથી ફારિગ થઈ, પોતાના વતન પાછા આવવાનો ઈરાદો હોય, તો રવાનગીના દિવસે ફજરની નમાઝ પછી ”જન્નતુલ બકીઅ”ની અલવિદાઈ હાજરીનો એહતિમામ કરવો જોઈએ અને બધા માટે દુઆઓ કરી મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં જઈને રિયાઝુલ જન્નતમા અથવા એનાથી નઝદીક જયાં પણ જગા મળે, બે રકા’ત નમાઝ પઢો, ત્યાર પછી રવઝએ અતહર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર હાજરી આપીને સલામ પઢો, અને દીનો દુન્યાની જરૂરતોની અને હજ્જ તથા ઝિયારતના કબૂલ થવાની તેમજ પોતાના ઘરે સહીસલામત પહોંચી જવાની દુઆઓ માંગો

અને આ ટાઈમે જેટલો ગમ અને મલાલનો દેખાવ થઈ શકતો હોય એટલો જરૂરથી કરો અને હજ્જ, ઉમરહ, ઝિયારતના આ લાંબા સફરમાં જયાં જયાં રડયા છો, તે પછીનું જે કંઈ પાણી આપની આંખોમાં બાકી રહી ગયું હોય, તે બધું જ આ મૌકા ઉપર વહાવી આપો. આ ટાઈમે આંસુઓનું નીકળવું અને દિલના ઉપર ગમ તારી થવો કબૂલિયતની નિશાની છે. પછી રડતાં રડતાં, દરબારે રિસાલતની જુદાઈ ઉપર હસરત અને અફસોસ કરતાં કરતાં, પોતાની પાસે જે ગુંજાઈશ હોય એટલું મદીનહ મુનવ્વરહના ફકીરો ઉપર સદકહ કરી આપો, અને સફરની દુઆઓ પઢતાં પઢતાં, પોતાનો સફર શરૂ કરી આપો.

આપને આ પણ યાદ અપાવું, કે તમારે જિદ્દહ થોડુંક રોકાવવાનું થશે, માટે ત્યાંની જરૂરત માટે પોતાના પાસે થોડાક રિયાલ જરૂરથી રાખશો. જેથી જરૂરત પડયે કામ આવી શકે.

 

અલ્લાહ તઆલા આપની હાજરીને કબૂલ ફરમાવે અને ભલાઈ તથા બરકતોથી નવાઝે , ઝિન્દગીનો રૂખ સહીહ થવાનો ઝરિયો બનાવે, દેરક મુસલમાનને તેના મુકદ્દસ ઘરની અને રવઝએ અકદસની ઝિયારતથી માલામાલ ફરમાવે,આમીન.

Log in or Register to save this content for later.