Chapter : રિયાઝુલ જન્નત
(Page : 1-2-3-4)
રિયાઝુલ જન્નત :”બાબે જિબ્રઈલ”થી દાખલ થશો તો તમારા ડાબા હાથ બાજુ એક રૂમ દેખાશે, આ હઝરત ફાતિમહ (રદિ.)નું ઘર હતું. જયારે તમો એના સામેથી આગળ વધશો, તો તરતજ ડાબા હાથ ઉપર મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો જે ભાગ છે, તેને ”રિયાઝુલ જન્નત” કહેવામાં આવે છે. મિમ્બરે રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને કબર શરીફના વચ્ચેનો પૂરો ભાગ રિયાઝુલ જન્નત છે.આ જગા વિશે હદીસ શરીફમાં આવ્યું છે, કે ”જે જગા મારા ઘર અને મારા મિમ્બરના વચમાં છે, તે જન્નતના બાગોમાંથી એક બાગ છે.”
અર્થ આ છે, કે આ જગા હકીકતમાં જન્નતનો એક ટુકડો છે, જેને દુન્યામાં લાવવામાં આવ્યો છે, અને કયામતના દિવસે આ ટુકડો પાછો જન્નતમાં જતો રહેશે. આ ”રિયાઝુલ જન્નત”માં બે રકા’ત તહિય્યતુલ મસ્જિદ પઢો અને અહીંયા જગા ના મળે, તો મસ્જિદમાં ગમે ત્યાં પઢી શકો છો. નમાઝથી ફારિગ થઈ, જયારે ”મઝારે પાક” તરફ આવો, તો એમ ખ્યાલ જમાવો કે આપણે મેલા–ગંદા અને એવા ગુનેહગાર છીએ કે, કયા મોંએ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સામે આવીએ? પોતાની રૂહ તરફ ધ્યાન કરશો, કે એ કેટલી ગંદી છે? તે છતાં અલ્લાહ તઆલા પોતાના મહબૂબના સામે આવવા બોલાવી રહયા છે.
આ મૌકા ઉપર આ વાત યાદ રાખવી જોઈએ કે, હુઝૂર પાક (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મઝાર મુબારક સામે ત્રણ જાળી (મોટી કમાનો બનાવેલી) છે, ફકત વચ્ચેની જ જાળી (કમાન)માં ત્રણેવ હઝરાત આરામ ફરમાવી રહયા છે. વચ્ચેની જાળીમાં એક મોટું ગોળ કાણુ રાખવામાં આવ્યું છે, જે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મુબારક ચહેરાની સામે છે. આ જ કાણાથી થોડુંક હટીને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની છાતી મુબારક છે, જયાં હઝરત અબૂબકર (રદિ.)નું માથું મુબારક છે,અહીંયા પણ એક નાનું ગોળ કાણુ છે,જે હઝરત અબૂબકર (રદિ.)ના મોં સામે છે. અને હઝરત અબૂબકર (રદિ.)ના સીનાની પાસે હઝરત ઉમરે ફારૂક (રદિ.)નું માથું મુબારક છે, તેમના મુબારક ચેહરાની સામે પણ એક નાનું ગોળ કાણું છે.
”રવઝએ અકદસ” પાસે હાજર થાઓ અને અદબથી, એવી રીતે ઉભા રહો, કે જાણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિંદગીમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સામે ઉભા છો. પોતાનું મોં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના મોં મુબારકની સામે અને પીઠ કિબ્લહ તરફ રહેશે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુબારક સૂરતનો દિલમાં ખ્યાલ જમાવો અને આ ખ્યાલ કરો કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કબર મુબારકમાં હયાત છે, મારી હાજરીની એમને ખબર છે અને મારી દરખ્વાસ્ત સાંભળી રહયા છે,અને ધીમી અવાઝે, નઝર નીચી રાખીને સલામ પઢો. સલામ પેશ કરતી વખતે, ઘણા હાજીઓ અરબી ઝુબાનથી નાવાકિફ હોવાના કારણે ઉલટ સુલટ બોલે છે, જેનાથી અર્થ બદલાઈ જાય છે. યાદ રાખો, કે સલામ તે સારી છે, કે જે અકીદત, મુહબ્બતથી પેશ કરવામાં આવે,ભલેને તે નાની હોય, એટલે જેઓ પઢવાનું નથી જાણતા, તેઓએ નીચેની નાની સલામ યાદ કરી લેવી જોઈએ અને તે જ વારંવાર પઢતા રહો.
”અસ્સલામુ અલય્ક યા રસૂલલ્લાહ’ ‘ الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ
વધુ યાદ કરી શકતા હોય, તો નીચે પ્રમાણેની સલામ જરૂર યાદ કરી લોઃ
الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّہٰ- الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا نبی اللہ- الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَاحبیب اللہ- الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا خیر خلق اللہ- الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا خَاتَمَ الَانبِیَاء – الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا سید الانبیاء والمرسلین ورحمۃ اللہ وبرکاتہ۔ |
તમારી સલામ પઢાઇ જાય ત્યાર પછી, જો કોઈએ તમોને હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની સેવામાં સલામ રજૂ કરવાની દરખ્વાસ્ત કરી હોય, તો હવે તેના તરફથી સલામ પેશ કરો. જેની રીત આ છે કે :
الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ مِنْ مُحَمَّد اِقْبَال فَلاحِیْ۔ |
”અસ્સલાતુ વસ્સલામુ અલયક યા રસૂલલ્લાહિ મિન મુહમ્મદ ઇકબાલ ફલાહી.”
(મતલબ એ છે કે من પછી તે માણસનું નામ લેવામાં આવે, જેણે તમોને સલામ કરવાની દરખ્વાસ્ત કરી છે.)અને જો ઘણા બધા લોકોએ સલામ પેશ કરવાની દરખ્વાસ્ત કરી હોય અને જો તમોને બધાના નામો યાદ ના હોય, તો તેમના તરફથી આ પ્રમાણે સલામ પેશ કરો :
الصَّلٰوۃُ وَ السَّلامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ مِنْ جَمِیْعِ مَنْ اَوْصَانِی بِالسَّلامِ عَلَیْک |
”અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા રસૂલલ્લાહિ મિન જમીઅ મન અવ્સાની બિસ્સલામિ અલય્ક”
પછી લગભગ એક હાથ જેટલું આગળ ચાલો, અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર સૌથી વધુ જાન કુર્બાન કરનારા હઝરત અબૂબકર (રદિ.)ની ખિદમતમાં આ પ્રમાણે સલામ પેશ કરો :
اَلسَّلامُ عَلَیْکَ یَا اَبَا بَکْرِنِ الصِّدِّیْقِ اَلسَّلامُ عَلَیْکَ یَا خَلِیْفَۃَ رَسُوْلِ اللّٰہِ اَلسَّلامُ عَلَیْکَ یَا وَزِیْرَ رَسُوْلِ اللّٰہِ اَلسَّلامُ عَلَیْکَ یَا صَاحِبَ رَسُوْلِ اللّٰہِ فِی الْغَارِ وَ رَحْمَۃُ اللّٰہِ وَبَرَکَاتُہٗ۔ |
ત્યાર પછી એક હાથ આગળ વધીને હઝરત ઉમર ફારૂક (રદિ.)ને સલામ પેશ કરો :
اَلسَّلامُ عَلَیْکَ یَا عُمَرَ بْنِ الْخَطَّابِؓ السَّلامُ عَلَیْکَ یَا اَمِیْرَ الْمُؤْمِنِیْنَ السَّلامُ عَلَیْکَ یَا عِزَّ الاسْلامِ وَ الْمُسْلِمِیْنَ اَلسَّلامُ عَلَیْکَ یَا اَبَا الفُقْرَاء وَ الضُّعَفَآءوَ الاَرَامِلِ وَ الاَیْتَامِ وَ رَحْمَۃُ اللّٰہِ وَ بَرَکَاتُہٗ۔ |
યાદ રાખો કે દુરૂદો સલામ તથા દુઆ માટે કોઈ શબ્દો નકકી નથી. અને દુરૂદો સલામ લાંબા પણ છે અને ટૂંકા પણ, માટે જેનું જેમાં દિલ લાગે એ પ્રમાણે કરે.
નોટઃ
ઓરતો માટે સલાતો સલામ પઢવા માટે તેમજ રિયાઝુલ જન્નતમાં બે રકા’ત નમાઝ પઢવા માટે દરરોજ બે વખત અલગ ઈન્તિઝામ કરવામાં આવે છે. સવારના ૯ વાગ્યે અને ઝુહરની નમાઝ પછી અર્ધો કલાકે. માટે ઓરતો આ ટાઇમને યાદ રાખે.
મદીનહ મુનવ્વરહના રોકાણ દરમિયાન, દરેકે દરેક સેકન્ડને ગનીમત સમજશો, તમારો વધુ પડતો વખત મસ્જિદે નબવીમાં જવો જોઈએ. અલ્લાહ તઆલાની લાખો, કરોડો માઈલો ઝમીનમાં, આ જ તે ખૂશનસીબ ટુકડો છે, જયાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ અલ્લાહના હુઝૂરમાં સૌથી વધુ સિજદહ કર્યા છે, નમાઝો પઢી છે, ખુતબહ આપ્યા છે, એઅ્તિકાફ કર્યા છે, જો કે હાલનું મસ્જિદે નબવીનું બાંધકામ નબુવ્વતના ઝમાનાનું જૂનુ બાંધકામ નથી પણ એમાં કોઈ શક નથી, કે ઝમીન તો તે જ છે, ફિઝા પણ તે જ છે, અનવારો બરકાત પણ તે જ છે, અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આજે પણ, ત્યાંના જ એક ભાગમાં આરામ ફરમાવી રહયા છે.
ઈમામ અહમદ (રહ.)એ હઝરત અનસ (રદિ.)થી રિવાયત બયાન કરી છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું : જે માણસ મારી મસ્જિદમાં ચાળીસ નમાઝો એ રીતે અદા કરે, કે કોઈ નમાઝ ફૌત ના થાય, તો તેને દોઝખના અઝાબ અને નિફાકથી પાક કરી દેવામાં આવશે.
માટે તમો આઠ દિવસ મદીનહ મુનવ્વરહમાં રોકાઓ, અને ચાળીસ નમાઝો પૂરી કરો. અને મસ્જિદે નબવીની ખાસ ઈબાદત, દુરૂદ શરીફ પઢવું છે, એટલે પહેલે થી પોગ્રામ બનાવીને જાઓ, કે આ આઠ દિવસના સમયગાળામાં ૭૦૦૦ અથવા ઓછામાં ઓછા પ૦૦૦ વાર દુરૂદ શરીફ પણ પઢીશ. એક મુખ્તસર દુરૂદ આ પણ છે :
اَللّٰھُمَّ صلِّ عَلٰی مُحَمَّدنِ النبی الامی وَ عَلٰی اٰلِہٖ وَ سَلَّم تسلیماً |
”અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિ નિન્નબિય્યીલ ઉમ્મિય્યિ વ અલા આલિહી વ સલ્લિમ તસ્લિમા”
આ દુરૂદ શરીફ ઘણી જ આસાનીથી, આઠ દિવસમાં દસ હજાર, વખતે પઢી શકાય એમ છે. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ઈર્શાદ છે, કે જે મારી કબર પાસે દુરૂદ શરીફ પઢે છે તેને હું ઓળખું છું.
ઈમામ ગઝાલી (રહ.) લખે છે કે મુસ્તહબ આ છે કે દરરોજ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ઉપર સલામ પઢીને, જન્નતુલ બકીઅની ઝિયારત માટે જાય, જો દરરોજ બકીઅમાં ના જઈ શકાતું હોય તો, જુમ્અહના દિવસે ખાસ ઝિયારત કરે.
Log in or Register to save this content for later.