Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 129)
(૧) જે વ્યક્તિ પર હજ ફર્ઝ નથી અને તે વ્યકિત કોઇ માલદાર સમજી પોતાની હજની તમન્ના દર્શાવી કહે કે, આપ મને ઝકાતની એટલી રકમ આપો જેના વડે હજ થઇ જાય. સ્પષ્ટ છે કે આ વ્યકિત ઉપર હજ ફર્ઝ નથી, એટલે તેના માટે નફલ હજ ખાતર સવાલ કરવો દુરુસ્ત નથી, કારણ કે સખત જરૂરત વગર સવાલ માટે હાથ લંબાવવો મકરૂહ છે અને માત્ર કોઇ મુસ્તહબને પ્રાપ્ત કરવા ખાતર મકરૂહનું આચરણ કરવું દુરુસ્ત નથી.
(ર) જે વ્યક્તિ પર હજ ફર્ઝ નથી તેણે કોઇ માલદાર સમજી પોતાને હજ કરવાની ઇચ્છા જાહેર કરી, પણ રકમની માંગણી કરી નથી, પરંતુ કોઇ માલદાર તેની અંદરની પરિસ્થિતિથી વાકેફ થઇ ઝકાતની એટલી રકમ આપી જેના વડે તે હજ કરી શકે. જાહેર છે કે આપણા દેશથી હજમાં જવા માટે એક મોટી રકમની જરૂરત હોય છે, જે ચોક્કસ રૂપે એટલા પ્રમાણમાં થઇ જાય છે જેના માલિક બનવા ઉપર તે વ્યકિત ઝકાતની હકદાર ન રહેતા તેના ઉપર જ ઝકાત ફર્ઝ થઇ જાય છે અને ઝકાત બાબત ફુકહાએ મસ્અલહ લખ્યો છે કે, ઝકાતના હકદારને ઝકાતની એટલી રકમ આપવી જેના માલિક બનવા પર તે પોતે સાહિબે નિસાબ બની તેના ઉપર ઝકાત ફર્ઝ થઇ જાય, મકરૂહ છે. માટે એટલી રકમ આપવી દુરુસ્ત નથી. આ હુકમ તો ત્યારે છે જ્યારે કે એક સાથે આટલી મોટી રકમ આપી હોય અને જો એ રકમ તે હકદારને ટુકડે ટુકડે આપી, જ્યાં સુધી એ રકમ હાથમાં ગયા પછી તે નિસાબનો માલિક બન્યો નથી ત્યાં સુધી તો માલદારની ઝકાત અદા થયેલી ગણાશે અને ત્યાર પછી કિંવા તેની માલિકીમાં નિસાબ જેટલી રકમ આવી ગયા પછી માલદાર ઝકાત રૂપે જે કાંઇ આપશે તો તેની ઝકાત અદા થશે નહિ.
(૩) કોઇ વ્યક્તિ જેની પાસે માલ ન હોવાને લઇ તેના ઉપર હજ ફર્ઝ તો ન હતી, પરંતુ હજ વધુ પડતી તમન્ના અને અભિલાષાને લઇ અલ્લાહ તઆલાની ઝાત પર સંપૂર્ણ વિશ્વાસ રાખી કે તે માલિક મારું કર્ઝ અદા કરાવી દેશે, કર્ઝ લઇ પોતે જ હજ કરી આવ્યો, હવે તેના આ કર્ઝની અદાયગી માટે કોઇ માલદાર વ્યક્તિ ઝકાતની રકમ આપે જે એટલા પ્રમાણમાં હોય કે જેનાથી એનું કર્ઝ ચૂકતે થઇ જાય તો આ સૂરત નિઃશંક દુરુસ્ત અને સહીહ છે.
(૪) કોઇ વ્યક્તિ ઉપર કોઇક સમયે હજ પૂરતો માલ હોવાને લઇ હજ ફર્ઝ હતી, પરંતુ તેણે ગફલતના કારણે હજ ન કરી અને તે માણસ પાછળથી માલ હાથમાંથી નીકળી જવાને લઇ મુફલિસ–કંગાળ બની ગયો. શરઈ રૂએ મુફલિસ બની જવા છતાં તેના ઉપર ફર્ઝ થયેલ હજની અદાયગી જરૂરી અને ફર્ઝ છે. જો આવી વ્યક્તિ પોતાની આ કર્ઝની અદાયગી તેમજ ગુનાહથી બહાર નીકળવા માટે કોઇના સમજી પોતાની ઇચ્છા જાહેર કરે તો તેની ગુંજાઇશ છે, કારણ કે તેના હકમાં હજ ફર્ઝ છે અને આવા માણસને પોતાની ફર્ઝ હજ અદા કરવા માટે જરૂરત મુજબ ઝકાતની રકમ આપી શકાય છે. (કિતાબુલ ફતાવા : ૩/ર૯૮–ર૯૯, અહસનુલ ફતાવા : ૪/૩૦૪, ફતાવા મહમૂદિય્યહ–મીરઠ : ૧૩/૯૪, મહમૂદુલ ફતાવા : ર/૬૬– ગુજરાતી)
Log in or Register to save this content for later.