વેપારના માલમાં વેચાણ કિંમત ગણાશે

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 65)

વેપારના માલની ઝકાતમાં આ જોવામાં આવશે કે ઝકાત વાજિબ થવાના સમયે તેની બજારની કિંમત શું છે ? તે જ કિંમતનો હિસાબ લગાવી ઝકાત અદા કરવામાં આવશે, વેપારીની ખરીદ કિંમતને ગણવામાં નહિ આવે. (દા.ત. કોઇ વેપારીએ એક સો રૂપિયામાં સામાન ખરીદયો અને દુકાન પર) લાવી તે નફા સાથે બસો રૂપિયામાં વેચે છે તો તે વેચાણ કિંમતના એ’તિબારથી જ ઝકાત કાઢવી પડશે. (કિતાબુલ મસાઇલ : ર/૧પ૦, ૧પ૧)

ઉસ્તાઝે મુહતરમ હઝરત મવલાના મુફતી ઇસ્માઈલ સા. (રહ.) ”વેપારના માલની ઝકાત કયા ભાવથી આપે ?” આ બાબતે સવિસ્તર ચર્ચા કરતાં લખે છે : ”કોઇ માલ– સામાનનો વેપાર કરતો વેપારી વેપારના સામાનની ઝકાત રોકડ રકમથી અદા કરવા ચાહે તો વેપારના માલ–સામાનનો ભાવ અલગ અલગ હોય છે, ફેકટરીએ બનાવેલા સામાનનીં એક પડતર કિંમત હોય છે, જે કિંમતમાં સામાન તૈયાર થાય છે. બીજો ભાવ માલ–સામાનનું ઉત્પાદન કરતી તે ફેકટરીઓનો તે હોય છે જે ભાવથી પોતાના માલ–સામાન મોટા મોટા વેપારીઓને વેચે છે. ત્રીજો ભાવ મોટા મોટા વેપારીઓનો હોય છે, જે ભાવથી હૉલસેલમાં પોતાના વેપારનો સામાન છૂટક વેચનારા નાના વેપારીઓને વેચે છે. ચોથો ભાવ છૂટક બજારમાં હોય છે, જે ભાવથી નાના વેપારીઓ અને દુકાનદારો છૂટક ગ્રાહકોને વેચે છે. પાંચમી મોટા હૉલસેલર અને છૂટક વેપારીની ખરીદ કિંમત હોય છે, જે કિંમતમાં તેણે વેપારના માલ–સામાન ખરીદ કરેલ હોય છે.

આ બધી કિંમતો અને ભાવોમાંથી છૂટક વેચનાર નાનો વેપારી તો પોતાની દુકાનના માલ–સામાનની ઝકાતનો હિસાબ છૂટક ભાવથી કરશે અને તેણે છૂટક ભાવના હિસાબે માલ–સામાનની ઝકાત રોકડમાં અદા કરવાની રહેશે.

ફેકટરીના માલિકે પોતાનું ઉત્પાદન વેચવાનો જે ભાવ નક્કી કર્યો હોય, પોતાના જમા ઉત્પાદનની ઝકાત તે વેચાણ ભાવથી તે અદા કરે એ જાઇઝ છે અને મોટા હૉલસેલર વેપારીએ નાના વેપારીઓને વેચવા માટે જે પોતાનો ભાવ નકકી કર્યો હોય, પોતાના વેપારના માલ–સામાનની ઝકાત તે વેચાણ ભાવથી અદા કરે એ જાઇઝ છે. અલબત્ત, પડતર કિંમતથી અથવા ખરીદ કિંમતથી માલ–સામાનની ઝકાતનો હિસાબ કરવો જાઇઝ નથી.” (ઝુબ્દતુલ ફતાવા : ૪/૪૧)

Log in or Register to save this content for later.