લેણી રકમ જે મળવાની આશા ન હોય તેની ઝકાત.

Chapter : ઝકાત

(Page : 246)

સવાલ(૩૪૩–૪૮):–  ઝકાત વિષેની માહિતી આપશો,ઝકાતની રકમ, મસ્જિદ મદ્રસાઓમાં કે ગરીબ,યતીમોને આપી શકાય ? કોણ એ રકમ લઈ શકે છે ? સોનું,ચાંદી,વાસણ,મકાન,અને રોકડ નાણાં વિગેરે ઉપર કેવી રીતે અને કેટલી ઝકાત લાગુ પડે છે ? એક જ મકાન રહેવાનું હોય તો એ મકાન ઉપર ઝકાત લાગુ પડે ખરી ? વેપારીએ બારે માસે રોકડનાણાંનો હિસાબ કરતાં જે રકમ બચે એના ઉપર કેટલી ઝકાત આપવી ? વેપારી પાસે અમૂક માલ સ્ટોકમાં હોય અને અમૂક ઉઘરાણી બાકી પડતી હોય,અને અમૂક ઉઘરાણું તદ્દન આવી શકે એમ જ ન હોય તો એની ઝકાત કાઢવી કે કેમ ? ખેતી ઉપર કેવી રીતે અને કેટલી ઝકાત લાગુ પડશે.

જવાબ(૩૪૩–૪૮):– માલદાર જે શરીઅત મુજબ નિસાબનો માલિક હોય તેના ઉપર વર્ષ દિવસે ઝકાત આપવી ફર્ઝ છે. રોકડ નાણાં હોય,સોના ચાંદીના ઘરેણાં હોય,વેપારનો માલ હોય,એ ઉપર ઝકાત ફર્ઝ થાય છે; તેમજ સોના, ચાંદીના વાસણો હોય કે સાચુ ઝરી કપડામાં લગાડવામાં આવ્યું હોય તે બધાંની ઝકાત કાઢવી જરૂરી છે. હીરા,યાકૂત,મોતી,ઝમીન, મકાનની કિંમત ઉપર ઝકાત નથી, પરંતુ એ વસ્તુઓનો વેપાર કરતા હોય તો ઝકાત લાગુ પડશે. જે કાંઈ દેવું હોય તો બાદ કરી નિસાબ જેટલી કે એથી વધુ રકમ હાથમાં રહેતી હોય તેની ઝકાત આપવી પડશે. વર્ષ વિતવાથી ચાલીસમો ભાગ એટલે હજાર રૂપિયા પર પચ્ચીસ રૂપિયા ઝકાત આપવી પડશે,જેઓ તદ્દન ગરીબ, મોહતાજ હોય તેઓને ઝકાત આપવામાં આવે,પોતાના મા,બાપ, ઔલાદ, સ્ત્રીને છોડી જે કોઈ બીજા સગા–સ્નેહીઓ હોય તેને ઝકાત આપી શકાય. મસ્જિદ કે મદ્રસાની બિલ્ડીંગમાં ઝકાત આપવી જાઈઝ નથી,ગરીબ તલબા (તથા વિદ્યાર્થી) ને ઝકાત આપી શકાય,અથવા કોઈ ગરીબ માણસ ઝકાતના માલનો માલિક બને અને તે પોતે મસ્જિદમાં આપવા ચાહે તો આપી શકે છે. જે ઉઘરાણી બાકી હોય અને મળવાની આશા હોય તેની ઝકાત આપવી જરૂરી છે,પરંતુ એખતિયાર છે કે જયારે તે રકમ મળે ત્યારે તેની ઝકાત આપવામાં આવે,અથવા મળતાં પહેલાં તમો આપી દો તો એકત્રિત ઝકાત અદા થઈ જશે. પ્રથમ અદા કરી આપવું વધુ બેહતર છે,કે સિરેથી ફર્ઝ ઉતરી જાય,અને જે બાકી રકમ મળવાની તદ્દન આશા નથી,તેની ઝકાત આપવી જરૂરી નથી, ખેતીના પાકમાંથી દસમો ભાગ ઝકાત કાઢવામાં આવે,જો કે અહિંની ઝમીન,ઉશરી છે કે કેમ તે વિષે મતભેદ છે, પરંતુ એહતિયાતની રૂએ કાઢવું બેહતર છે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.

(ફતાવા દારૂલઉલૂમઃ૬/૧૬પ શામીઃ ૩/૧૮૪,૧૮પ,૧૮૬,૧૯૪)

Log in or Register to save this content for later.