રાફજી વ્હોરા અને સુન્નીના નિકાહ.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હરામ છે.

(Page : 281)

સવાલ(૪ર૧–૩૧):–  અમારા સંબંધીની છોકરી જે હાલ પણ કોલેજમાં અભ્યાસ કરે છે,તેણી સુન્ની છે અને રાફજી વ્હોરા કૌમના એક છોકરા સાથે મહોબ્બત કરે છે,તેવી બાબતને રોકવા માટે છોકરીના માં–બાપ તથા બીજા સગા–સબંધીઓએ બનતા ઘણાં જ પ્રયાસો કર્યા,પંરતુ તે તમામ કોશીષો નાકામ્યાબ થઈ છે.

                સદરહુ છોકરી,મજકૂર વ્હોરા કૌમના છોકરા સાથે સુન્ની ઈસ્લામી શરીઅત મુજબ નિકાહ કરી લેવા તૈયાર છે, તે પ્રમાણે છોકરો પણ સુન્ની નિકાહ વીધી મુતાબિક નિકાહ કરવા તૈયાર છે.

                ઉપરની બાબતથી છોકરીના માં–બાપ વિગેરે ઘણી મુંઝવણમાં મુકાઈ ગયેલા છે,કે હવે આ બાબતે શું કરવું ? કારણ કે જો છોકરીના નિકાહ ન કરી આપીએ તો છોકરી તે છોકરા સાથે નાસી જાય એમ છે,અને છોકરાના વાલીઓ તો સુન્ની વિધી મુતાબિક નિકાહ કરી લે તે રીતે રાજી છે.

                માનવંત્તા મુફતી સાહેબ ! નીચેના પ્રશ્નોનો વિગતે સ્પષ્ટ જવાબ તાકીદે આપવા મહેરબાની કરશો.

(૧)  સદરહુ છોકરો જાતે રાફજી વ્હોરા કૌમનો હોય તેની સાથે સુન્ની વિધી મુતાબિક નિકાહ પઢાવી શકાય કે કેમ ?

(ર)  જો તે નિકાહ કરવામાં આવે તો તે શરીઅતની રૂએ જાઈઝ છે ?

જવાબ(૪ર૧–૩૧):–સદરહુ છોકરો રાફજી કુફ્રિયહ માન્યતાઓ જેમકે હઝરત અલી (રદી.) ને ખુદા માનવા, હઝરત આયશા (રદિ.) ના ઉપર ઝિનાની કલંક લગાડવી વિગેરે ધરાવતો હોય છે. જયાં સુધી એનાથી તૌબા કરી પાકો સુન્ની નહિં બને ત્યાં સુધી નિકાહ દુરૂસ્ત નથી,ભલેને સુન્ની વિધીસર નિકાહ પઢવામાં આવે,અને કુફ્રિયહ માન્યતાવાળો ન હોય તો નિકાહ થઈ જશે,પંરતુ છોકરી રાફજી થઈ જવાનો ભય હોવાથી નિકાહ યોગ્ય નથી,આથી એ રાફજી છોકરાને સુન્ની બનાવી નિકાહ કરવામાં આવે, નહિં તો છોકરીના મનપસંદ એવા સુન્ની છોકરા સાથે નિકાહ પઢાવી દેવામાં આવે, છોકરીની આખિરત બગડવી ન જોઈએ. એજ ખુદાપાક વધુ જાણનાર છે.

( ફતાવા દારૂલ ઉલૂમ,૮/ર૭૧  ઈમ્દાદુલ ફતાવા,ર/રર૬)

Log in or Register to save this content for later.