મુઅતકિફને પેશ આવનારી હાજતોના પ્રકાર

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 51)

ફુકહાએ કિરામ (રહિમહુમુલ્લાહુ તઆલા અજમઈન)એ મુઅતકિફને જેટલી હાજતો અને જરૂરતો એતિકાફગાહથી નીકળવા માટે પેશ આવે છે તેના ત્રણ પ્રકાર કર્યા છે :

(૧) હાજતે શરઇય્યહ (ર) હાજતે તબ્ઇય્યહ અને (૩) હાજતે જરૂરિય્યહ.

હવે, આ ત્રણ પ્રકારના અહકામ–મસાઇલ અલગ– અલગ બયાન કરવામાં આવે છે.

તિકાફમાં હાજતે શરઇય્યહના મસાઇલ

હાજતે શરઇય્યહનો પરિચય : જે કામોની અદાયગી શરઅન ફર્ઝ અને વાજિબ હોય અને મુઅતકિફ એતિકાફગાહમાં તેને અદા ન કરી શકે, તેને હાજતે શરઇય્યહ કહેવાય છે.  દા. ત. જુમ્અહની નમાઝ અને ઇદૈન વગેરેની નમાઝ.  (બહરુર્રાઇક : ર/૩૦૧)

મસ્અલહ : મુઅતકિફની મસ્જિદમાં જુમ્અહની  નમાઝ ન થતી હોય તો તેણે જામિઅ મસ્જિદમાં એટલા સમય પહેલા જવું જોઇએ કે, ખુત્બહ શરૂ થતાં અગાઉ ત્યાં બે રકા’ત નફલ તહિય્યતુલ મસ્જિદ અને ચાર સુન્નત શાંતિથી પઢી લે અને આનો અંદાજો મુઅતકિફની જાત પર છોડવામાં આવ્યો છે. અંદાજામાં વધઘટ થઇ જાય તો કોઇ વાંધો નથી. પછી જુમ્અહની ફર્ઝ નમાઝ બાદ છ (૬) રકઅતો અને બે નફલ પઢી પોતાની એતિકાફ– વાળી મસ્જિદમાં આવી જવું જોઇએ. (દુર્રે મુખ્તાર : ૩/૩૮૮)

મસ્અલહ : જુમ્અહની સુન્નતો પછી જામિઅ  મસ્જિદમાં થોડીક વાર રોકાય જાયતો ઇઝ છે, પરંતુ મકરૂહે તન્ઝીહી છે. જેમ કે જે મસ્જિદમાં એતિકાફ કરવાનો ઇન્તિઝામ (બંધ) કર્યો છે, એક રીતે તેની  વિરુદ્ધ છે.  (દુર્રે મુખ્તાર : ૩/૩૮૮)

મસ્અલહ : મુઅતકિફ જામિઅ મસ્જિદમાં જુમ્અહ અદા કરવા જાય અને ત્યાં એક રાત–દિવસ યા એનાથી ઓછોવત્તો સમય થોભી જાય અથવા બાકીનો એતિકાફ ત્યાં જ પૂરો કરવા લાગે તો પણ જાઇઝ છે. અર્થાત એતિકાફ તૂટશે નહિ, પરંતુ આવું કરવું મકરૂહ છે.  (બદાઇઅ : ર/ર૮૩)

મસ્અલહ : મુઅતકિફને પોતાની મસ્જિદમાં કોઇ કારણસર જમાઅત ન મળી શકી, દા.ત. પેશાબ–પાખાના માટે ગયો હતો, મસ્જિદમાં આવ્યો તો માલૂમ થયું કે જમાઅત ખતમ થઇ ગઇ છે તો હવે, બીજી મસ્જિદમાં જમાઅતના લીધે જવું જાઇઝ નથી.

મસ્અલહ : મુઅતકિફ કોઇ તબઇ જરૂરત માટે બહાર ગયો અને એને આ અંદો થઇ જાયકે મને એતિકાફવાળી મારી મસ્જિદમાં જમાઅત મળશે નહિ અને રસ્તામાં કોઇ મસ્જિદ છે, જેમાં જમાઅત થઇ રહી છે અથવા તૈયારી છે, તો આવી સૂરતમાં રસ્તાની મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ પઢવી અને ફારિગ થતાં જ પોતાની મસ્જિદમાં જતું રહેવું જાઇઝ છે. (શામી : ૩/૩૮૯, ૩૯૦)

એક કાયદો

મુઅતકિફ કોઇ તબઇ યા શરઇ જરૂરત માટે મસ્જિદની બહાર જાય, પછી આવતાં–જતાં કોઇ ઇબાદત અદા કરે તો જાઇઝ છે. દા. ત. રસ્તામાં કોઇ બીમારની મુલાકાત થઇ, ચાલતાં–ચાલતાં રસ્તાથી હટયા વગર તેની બીમારપુર્સી કરી યા નમાઝે જનાઝહ તૈયાર હતી, રસ્તાથી હટયા વગર તેમાં શામેલ થયો અને નમાઝ પછી તરત ચાલતો થયો, થોડીક વાર પણ રોકાયો નહિ, કેમ કે આ કામો ઇબાદત છે. (ઇલ્મુલ ફિકહ : ર/૪૬પ)

પરંતુ ખાસ આ કામો દા.ત. ઇબાદત, નમાઝે જનાઝહ માટે જ મસ્જિદની બહાર આવવું જાઇઝ નથી. આ બંને વાતોમાં ઘણો ફરક છે. સારી પેઠે સમજી લો ! એક તો આ જ કામો માટે મસ્જિદની બહાર આવવું નાજાઇઝ છે. બીજું એ કે શરઇ યા તબઇ હાજત માટે બહાર આવે પછી આકસ્મિક રીતે આ કામો ઉપસ્થિત થાય તો તેને કરવા દુરુસ્ત છે. (શામી : ૩/૩૮૭)

મસ્અલહ : ઇદૈનના દિવસે એતિકાફ કરવો ગુનાહ છે, પરંતુ જો કોઇ માણસ એતિકાફ કરી જ લે તો તેણે ઇદની નમાઝ માટે જુમ્અહની નમાઝની જેમ જવું જોઇએ અને ઇદની નમાઝથી ફારિગ થઇ તરત એતિકાફગાહમાં આવી જવું જોઇએ. ઇદની નમાઝ માટે જવું હાજતે શરઇય્યહમાં દાખલ છે. (દુર્રે મુખ્તાર : ૩/૩૮૮)

Log in or Register to save this content for later.