Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 35)
સામાન્ય રીતે ઘણા મુસ્લિમ ભાઇઓ શરઈ દ્રષ્ટિએ માલદાર હોય છે, પરંતુ તેમના ઉપર ઝકાત ફર્ઝ હોતી નથી અને ઘણા ભાઇઓ માલદાર હોય છે અને તેમના ઉપર ઝકાત આપવી પણ ફર્ઝ હોય છે. આ બન્ને પ્રકારના લોકોમાં તફાવત ન સમજવાના કારણે ઘણી ગેરસમજ ઊભી થાય છે અને ઝકાત હરામ હોવા છતાં ઘણા ભાઇઓને ઝકાત આપવામાં આવે છે અને તેઓ ઝકાત સ્વીકારી પણ લે છે.
માટે આ મસ્અલહ જાણવો ખૂબ જરૂરી છે કે, શરીઅતની દ્રષ્ટિએ સામાન્ય રીતે માલદારના બે પ્રકાર છે :
(૧) એક એવો માલદાર જેની પાસે નિસાબના પ્રમાણમાં માલદારીનો સામાન હોવાથી તેના ઉપર ઝકાત ફર્ઝ થાય છે.
(૨) બીજો એવો માલદાર મુસલમાન કે જેની પાસે માલદારીનો સામાન હોવાથી તેના માટે કોઇ માલદારની ઝકાત કે અન્ય કોઇ વાજિબ સદકહ લેવો તો હરામ અને નાજાઇઝ હોય છે, પરંતુ તેના ઉપર ઝકાત ફર્ઝ થતી નથી.
જે માલ–સામાનનો માલિક હોવાથી બન્ને પ્રકારના મુસલમાનો માલદાર ગણાય છે, તે માલ–સામાનથી માલદારીના નિસાબના પ્રમાણમાં કોઇ તફાવત નથી, બન્નેના નિસાબનું પ્રમાણ અને મિકદાર તો એક જ છે, પરંતુ બન્નેના માલદારીના નિસાબમાં ગણાતી વસ્તુઓમાં તફાવત હોય છે.
જે મુસલમાનો પાસે સોનું, ચાંદી, રોકડ રકમ, વેચવા માટે ખરીદેલ માલ–મિલકત, જેમ કે નફો લઇને વેચવા માટે ખરીદેલ મકાન, દુકાન, પ્લોટ, તિજારતી કંપનીના શેરો, બેંકમાં જમા મૂડીમાંથી કોઇ એક વસ્તુ અથવા અનેક વસ્તુઓ મળી દેવા મુકત નિસાબના પ્રમાણમાં હોય તેવા માલદાર માટે ઝકાત લેવી તો હરામ છે, પરંતુ પોતાના ઉપરોક્ત ઝકાતપાત્ર નિસાબની ઝકાત આપવી ફર્ઝ અને જરૂરી છે.
જે મુસલમાન પાસે ઝકાત ફર્ઝ થવાપાત્ર મજકૂર વસ્તુઓમાંથી કોઇ એક વસ્તુ અથવા અનેક વસ્તુઓ નિસાબના પ્રમાણમાં ન હોય, પરંતુ તે સિવાય તેની પાસે પોતાની ખાવા–પીવા, રહેવાની રોજિંદી જરૂરિયાતોથી વધારે માલ–મિલકત હોય, જેમ કે ત્રણ જોડથી વધારે કપડાં હોય, ફાઝલ વાસણો હોય, એવું મકાન હોય જે પોતાના રહેવા માટે બનાવ્યું છે, પરંતુ તેનો રહેવા માટે પોતે ઉપયોગ કરતો નથી, બલકે પોતે બીજી જગ્યાએ રહેવાથી બીજાને ભાડે આપ્યું છે અથવા મફત રહેવા માટે આપ્યું છે અથવા બંધ પડયું છે અથવા મકાનનો પ્લોટ છે, જેનો પોતે કોઇ ઉપયોગ કરતો નથી અથવા રહેવાના મકાન ઉપરાંત પ્લોટ છે અથવા જેની આવકથી પોતાનું જીવન નિર્વાહ થાય તેથી વધુ ખેતીની જમીન છે અથવા ટી.વી. જેવાં એવાં ફુઝૂલ–નકામા સાધનો છે, જેનો પોતાની રોજિંદી જિંદગીથી કોઇ સંબંધ નથી અથવા ખેતીનાં એવાં ફાઝલ સાધનો છે, જેનો તે ખેતીમાં ઉપયોગ કરતો નથી અને આવી એક અથવા અનેક વસ્તુઓ મળીને દેવામુક્ત નિસાબના પ્રમાણમાં મવજૂદ છે, તો આવા માલદાર માણસ માટે કોઇ માલદાર પાસેથી ઝકાત લેવી તો હરામ અને નાજાઇઝ છે, કારણ કે તે શરઈ દ્રષ્ટિએ માલદાર છે, માટે તેની ઉપર કુરબાની અને સદક–એ–ફિત્ર આપવો પણ વાજિબ થાય છે, પરંતુ આવી ગેર તિજારતી (બિન વ્યાપારિક) વસ્તુઓના નિસાબના કારણે તેના ઉપર તે વસ્તુઓની ઝકાત આપવી ફર્ઝ નથી. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૬ થી ૩૮)
Log in or Register to save this content for later.