Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ
(Page : 19 to 29)
દરેક મુસલમાને ખાસ કરીને આ વાસ્તવિકતા ખાસ નજર સમક્ષ રાખવી જોઇએ કે, એને જે કાંઇ પણ માલ–દોલત મળી છે તેનો અસલ માલિક તે ખુદ નથી; બલકે અલ્લાહ તબારક વ તઆલા છે. તેણે કેવળ પોતાના ફઝલો–કરમથી આપણને પોતાની મિલકતમાં પ્રતિનિધિ તરીકે ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો છે, જ્યારે અલ્લાહ તઆલા જ મૂળમાલિક છે અને તેની કુદરતના કારણે આપણને આ નેઅમત ઉપલબ્ધ થઇ છે, તો જો તે પોતાના બંદાઓને આ હુકમ કરે કે તે પોતાનો બધો માલ અલ્લાહ તઆલાના માર્ગમાં લૂંટાવી આપે તો આપણને શિકાયત કે વાંધો ઉઠાવવાની કોઇ મજાલ અને હિંમત નથી, કેમ કે તેની વસ્તુ છે. તે જ્યાં સુધી અને જેટલી ઇચ્છે ખર્ચ કરે; પરંતુ આ પણ તેનો ફઝલ છે કે તેણે જ્યાં આપણને ખર્ચ કરવાનો હુકમ દીધો ત્યાં પૂરો માલ નહીં, બલકે થોડોક ખર્ચ કરવો જરૂરી ઠેરવ્યો છે. કુર્આને કરીમમાં જ્યાં પણ ”ઇન્ફાક ફી સબીલિલ્લાહ”નો હુકમ દીધો છે ત્યાં ”મિન” શબ્દ લાવી આ બાજુ સંકેત કર્યો કે બધો માલ ખર્ચ કરવો ઇચ્છિત નથી, બલકે થોડોક ખર્ચ કરવો જરૂરી છે; બલકે અમુક ભાગ દઇ દેવો પૂરતો છે. તદુપરાંત, આ બાજુ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું કે, અમે તમારો માલ માંગતા નથી, બલકે અમે તમને જે દીધું છે તેમાંથી જરાક લેવા માંગીએ છીએ, કારણ કે દેનારનો બોજ હલકો થઇ જાય. જુઓ, ખુદાવંદી ફરમાનો :
(૧) વ મિમ્મા રઝકનાહુમ યુન્ફિકૂન. (બકરહ–આયત : ૩, અન્ફાલ : ૩, હજજ : ૩પ, કસસ : પ૪, સજદહ : ૧૬, શૂરા : ૩૮) (ર) વ અન્ફકૂ મિમ્મા ર–ઝ–કહુમુલ્લાહ. (નિસાઅ : ૩૯) (૩) વ અન્ફકૂ મિમ્મા ર–ઝ–કનાહુમ સિરવ વ અલાનિયહ, યર્જૂ–ન તિજારતન લન તબૂ–ર (ફાતિર : ર૯) (૪) વ મર્રઝકનાહુ મિન્ના રિઝકન હ–સ–ના, ફ હુ–વ યુન્ફિકુ મિન્હુ સિરવ વ જહરા. (નહલ : ૭પ,) (પ) વ યુન્ફિકૂ મિમ્મા ર–ઝ–કનાહુમ સિરવ વ અલાનિયહ, (ઇબ્રાહીમ : ૩૧) (૬) વ અન્ફિકૂ મિમ્મા જ–અ–લકુમ મુસ્તખ્લફીન ફીહ. (હદીદ : ૭)
ઉપરોક્ત આયતોમાં અલ્લાહ તઆલાએ સાવધાન કર્યા કે ઝકાત વગેરેનો હુકમ કોઇ ટેકસ નથી કે તેને માથાનો દુઃખાવો યા ટેન્શન સમજવામાં આવે, બલકે એ તો અલ્લાહ તઆલા પોતાની જ આપેલી એક અમાનત તમારાથી માંગી રહયા છે, એટલા માટે તેને દેવામાં તમારા દિલ પર કોઇ તંગી અને બોજ ન હોવાં જોઇએ. બોજ અથવા તંગી તો તે સમયે થાય જ્યારે કે તમારી કોઇ ઝાતી–પોતીકી વસ્તુની માંગણી કરવામાં આવે.
શુક્રિયહ અદા કરો
પહેલાના જમાનામાં અલ્લાહ તઆલાના માર્ગમાં સદકહની કબૂલિયતની નિશાની આ હતી કે સદકહનો માલ કોઇ જગાએ મૂકી દેવામાં આવતો અને આકાશથી આગ આવી તેને સળગાવી રાખ કરી મૂકતી. સમજો કે સદકહનો માલ કોઇ બીજા ભાઇના કામમાં ન આવતો, બલકે તેનું આગથી ભસ્મિભૂત થવું જ અસલ મકસૂદ સમજવામાં આવતું. હઝરત આદમ (અલૈ.)ના બંને દીકરાઓના કિસ્સા હેઠળ આ બાજુ ઇશારો મવજૂદ છે. ઇરશાદે ખુદાવંદી છે :
તરજુમો : ”જ્યારે બંનેએ અલ્લાહ તઆલાના નામની એક–એક નિયાઝ રજૂ કરી અને તે પૈકી એકની કબૂલ થઇ અને બીજાની કબૂલ ન થઇ.(માઇદહ : ર૭)
ભાષ્યકારો લખે છે : જ્યારે હઝરત આદમ (અલૈ.)ના બંને દીકરા–હાબીલ અને કાબીલમાં વિવાદ થયો તો હઝરત આદમ (અલૈ.)એ ફરમાવ્યું કે, તમે બંનેય અલ્લાહ તઆલાના દરબારમાં સદકહ રજૂ કરો, જેનો સદકહ કબૂલ થશે તે જ હક પર ગણાશે, એટલે હાબીલે બકરીનું બચ્ચું રજૂ કર્યું જે કબૂલ થયું (અર્થાત આકાશી અંગારાએ રાખોડી કરી મૂકી) અને કાબીલે અનાજ રજૂ કર્યુ જે કબૂલ ન થયું. અલ્લામહ આલૂસી (રહ.) કહે છે :
આગે ઊતરીને હાબીલની નિયાઝને ખાય લીધી અને આ કબૂલિય્યતનું પ્રતીક હતું અને સદકહ–ખૈરાતનું ખાણું પૂર્વ શરીઅતોમાં જાઇઝ ન હતું અને આગે કાબીલની નિયાઝ છોડી દીધી, જેથી તે ક્રોધિત થયો.” (રૂહુલ મઆની : ૪/૧૬૪)
અમુક અહાદીસથી પણ આ વિષયની જાણકારી મળે છે, પરંતુ અલ્લાહ તઆલાએ આ ઉમ્મતે મર્હૂમહ પર આ કરમ ફરમાવ્યો કે, તેનાથી ઝકાતની શકલમાં પ્રાપ્ત કરેલ માલ તેના જ જરૂરતમંદો પર ખર્ચ કરી દેવામાં આવે છે. ”સૂરએ તૌબહ–આયત નંબર : ૬૦”માં મસારિફ (વ્યય–ખર્ચ કરવાની જગ્યાઓ) બયાન કરવામાં આવી છે અને હદીસમાં ફરમાવવામાં આવ્યું છે : ”માલદારોથી વસૂલ કરી ફકીરોને આપવામાં આવે.” (મિશ્કાત શરીફ : ૧પપ)
આ હુકમ થકી ઝકાત આપવી તદ્દન આસાન થઇ ગઇ કે અમે પોતાનો માલ ખુવાર કરતા નથી, બલકે પોતાના ભાઇઓની જરૂરત પૂરી પાડીએ છીએ. પોતાના મોહતાજ ભાઇની ઇચ્છાપૂર્તિ પર ખર્ચ કરવો ખરેખર, અલ્લાહ તઆલાને જ આપવું છે. નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે :
”કિયામતના દિવસે અલ્લાહ તઆલા એક શખ્સને પ્રશ્ન કરશે કે,
હે આદમ પુત્ર ! હું બીમાર થયો હતો તો તેં મારી તબિયતની ખબર કેમ ન પૂછી ? તે માણસ અચંબાથી પૂછશે : હે મારા રબ ! હું આપની ખબર કેવી રીતે પૂછી શકતો હતો ? આપ તો પૂરી દુનિયાના પરવરદિગાર છો. અલ્લાહ તઆલા ફરમાવશે : શું તમને ખબર ન હતી કે ફલાણો મારો બંદો બીમાર છે, તો પણ તેં તેના ખબર–અંતર ન પૂછયા ? શું તને જાણ નથી કે જો તેં તેનાં ખબર–અંતર પૂછયાં હોત તો મને તેની પાસે પામત.
હે આદમપુત્ર ! મેં તારી પાસે ખાવા માંગ્યું તો તેં ન આપ્યું. તે અરજ કરશે : પરવરદિગાર ! હું તને કેવી રીતે ખવરાવું ? તું તો બન્ને જહાનનો રબ છે. અલ્લાહ તઆલા ફરમાવશે : તને યાદ નથી કે મારો ફલાણો બંદો તારી પાસે ખાણું માંગવા આવ્યો હતો, તો તેં તેને ખાવા ન આપ્યું, જો તું તેને ખવરાવત તો તેને મારી પાસે પામત.
હે આદમપુત્ર ! મેં તારી પાસે પાણી માંગ્યું તો તેં પાણી ન પિવડાવ્યું. તે અરજ કરશે : પરવરદિગાર ! હું આપને કેવી રીતે પાણી પિવડાવું ? આપ તો ખુદ રબ્બુલ આલમીન છો ! અલ્લાહ તઆલા ફરમાવશે : તારી પાસે મારા ફલાણા બંદાએ પાણી માંગ્યું હતું, પરંતુ તેં તેને પાણી ન પિવડાવ્યું. જો તું તેને પાણી પિવડાવત તો તેને મારી પાસે પામત. (અર્થાત આ નેક કાર્ય મારી પાસે સુરક્ષિત રહેત.)(મુસ્લિમ શરીફ : ર/૩૧૮)
ઝકાત અને સદકહ માલમાં વૃદ્ધિનું નિમિત્ત છે:
સામાન્ય રીતે લોકો આમ સમજે છે કે, ઝકાત આપવાથી અને સદકહ–ખૈરાત કરવાથી માલ ઘટે છે, પરંતુ કુર્આન– હદીસની સ્પષ્ટતા અનુસાર સદકહથી માલ ઘટતો નથી કે ઓછો પણ થતો નથી, બલકે વધે છે. હદીસ શરીફમાં છે :
કોઇ આદમીનો માલ સદકહને કારણે ઓછો થતો નથી અને જ્યારે પણ કોઇ વ્યક્તિ પર જુલમ કરવામાં આવે, જેના પર તે સબર કરે તો ખરેખર, અલ્લાહ તઆલા તેની ઇઝઝતમાં વધારો ફરમાવે છે અને જ્યારે પણ કોઇ વ્યક્તિ સવાલનો દ્વાર ખોલે છે તો અલ્લાહ તઆલા તેના પર ગરીબીનો દ્વાર ખુલ્લો મૂકી દે છે.” (તિરમિઝી શરીફ : ર/પ૮, મુસ્નદે અહમદ : ૪/ર૩૧, અલ મુજર્રુર્રાબિહ : ૧૩૯)
સવાલ આ છે કે, જાહેરમાં જોવા જઇએ તો ઝકાત અથવા સદકહ કાઢવામાં આવે છે તો માલ ઘટતો હોય એમ દેખાય છે, તો પછી આવું કેમ કહેવામાં આવ્યું કે સદકહથી માલ નથી ઘટતો ?
જવાબ આ છે કે, સદકહને કારણે ભલેને માલ કમ થતો દેખાય છે, પરંતુ તેના કારણે અલ્લાહ તઆલા તરફથી જે બરકત હોય છે, ભલેને બા’દમાં વેપાર–ધંધામાં વૃદ્ધિની શકલમાં હોય અથવા નુકસાનો અને આપત્તિઓથી સુરક્ષિત હોવાની શકલમાં, તે સદકહની માત્રાની સરખામણીમાં અનેકગણી વધુ થઇ જાય છે, જેમ કે એક સહીહ રિવાયતમાં આવ્યું છે કે, ”એક આદમી જંગલમાં ચાલ્યો જઇ રહયો હતો, એકાએક તેણે વાદળમાંથી એક અવાજ સાંભળ્યો કે, ફલાણા આદમીના બાગની સિંચાઇ કર, તો અચાનક વાદળનો એક ટુકડો અલગ થયો અને તેણે એક વાદી (પહાડો વચ્ચેની ખીણ)માં પાણી વરસાવ્યું. વાદીનું બધું પાણી નાળામાં ભેગું થઇ વહેતું થયું. તે માણસ પાણીની પાછળ પાછળ ચાલ્યો. આગળ જઇ શું જુએ છે કે, એક આદમી પોતાના બાગમાં ઊભો રહી પાણીનું રુખ પોતાના પાવડા વડે બાગની તરફ કરી રહયો હતો, તો તે માણસે પૂછયું : તમારું નામ શું છે ? તેણે બતાવ્યું તો તે જ નામ હતું જે તેણે વાદળના અવાજમાં સાંભળ્યું હતું. બાગવાળાએ સવાલ કર્યો કે, આખર તમને મારું નામ પૂછવાની જરૂરત કેમ પેશ આવી ? જવાબ દીધો : આ પાણી જે વાદળમાંથી વરસ્યું છે તેમાં મેં અવાજ સાંભળ્યો હતો કે, તે ફલાણા (તમારા) બાગની સિંચાઇ કરે, એટલા માટે બતાવો કે તમે આ બગીચાની આવકનું શું કરો છો ? બાગવાળાએ જવાબ દીધો : હું તેની કુલ આવકને ત્રણ ભાગમાં વહેંચું છું : એક તૃતીયાંશનો સદકહ કરું છું અને એક તૃતીયાંશમાંથી હું અને મારા ઘરવાળાઓ ખાઇએ છીએ અને એક તૃતીયાંશને ફરી બાગમાં લગાવું છું.” (મુસ્લિમ શરીફ : ર/૪૧૧, અલ મુત્તજર્રુર્રાબિહ : ૧૪૦)
આ એક અનુભવસિદ્ધ વાત છે કે ઝકાત દેનારાઓનો માલ વધતો જ જાયછે. તેની ચોખ્ખી દલીલ આ છે કે મદ્રસાવાળાઓ માલી મદદ માટે દર વર્ષે જે સખી સજ્જનો અને અહલે ખૈર લોકો પાસે જાય છે તો જૂની પહોંચ બતાવે છે અને તેઓ સામાન્ય રીતે એવી કોશિશ કરે છે કે અગાઉ કરતાં વધુ રકમ વસૂલ કરે અને દરેક આપનાર માણસ પણ વધારો કરતો જ જાયછે. જો કે ઝકાતથી માલ ઘટતો હોત તો વધુ રકમ આપવાને બદલે પાછલી રકમ આપવી જ મુશ્કેલ થઇ પડત, એટલે હદીસે વર્ણવેલી વાત પર યકીન રાખવું અનિવાર્ય છે.
રોકડ ફાયદો
આ વાત પણ મનનીય અને ચિંતનીય છે કે વધુ ઇબાદતોનો સવાબ અને નતીજાનો વાયદો આખિરતની જિંદગીમાં કરવામાં આવ્યો છે, જેમ કે નમાઝથી જન્નતમાં ફલાણી નેઅમત મળશે અને રોઝાદારોને ફલાણા સવાબના હકદાર ઠેરવવામાં આવશે વગેરે વગેરે, પરંતુ ઝકાત અને સદકાત માટે જ્યાં આખિરતનો મહાન સવાબ અને અજરનો ઉલ્લેખ છે, ત્યાં દુનિયાનો રોકડ ફાયદો પણ બયાન કરેલ છે અને એ ફાયદો એટલો મહાન છે કે, દુનિયાની કોઇ દોલત તેની કિંમત લગાવી શકતી નથી અને એ ફાયદાની પ્રાપ્તિ માટે ઇન્સાન મહાન કુરબાની આપવા અને આર્થિક નુકસાન વેઠવા માટે તૈયાર થઇ જાય છે. તે ફાયદો આ છે કે, ઝકાત અને સદકહ અદા કરવાથી બલાઓ અને મુસીબતો હટાવી શકાય છે. એક હદીસ શરીફમાં છે :
”સદકહ ઝટપટ (જલદી) આપ્યા કરો, કારણ કે મુસીબત સદકહથી આગળ વધતી નથી.” (મિશ્કાત શરીફ : ૧/૧૬૭)
(અર્થાત : અલ્લાહ તઆલા સદકહના કારણે મુસીબતોને દૂર ફરમાવે છે.)
બીજી હદીસ શરીફમાં વારિદ છે : ‘બેશક, સદકહ અલ્લાહ તઆલાના ક્રોધને ઠંડો કરે છે અને બુરા મોતથી બચાવે છે (અર્થાત, સખત હાલાત અને જીવલેણ બીમારીઓથી બચાવે છે). (તિરમિઝી શરીફ : ૧/૧૪૪, મિશ્કાત શરીફ : ૧૬૮)
તદુપરાંત, એક મુરસલ રિવાયતમાં છે : ”ઝકાત અદા કરી પોતાના માલની મજબૂત સુરક્ષાનો પ્રબંધ કરો અને સદકહ દ્વારા પોતાના બીમારોનો ઇલાજ કરો અને દુઆ– કાકલૂદી વડે આસમાનના તોફાનોનો મુકાબલો કરો.” (અબૂ દાવૂદ ફી મસાસીલિહી : ૮, અલ મુજર્રુર્રાબિહ : ૧૩૭)
ઉપરોક્ત છણાવટથી સ્પષ્ટ રૂપે મા’લૂમ પડયું કે, સદકહ અને ખૈરાતથી દુનિયા–આખિરતનો ફાયદો અવશ્ય થાય છે.
આખિરતનો નફો
આ તો દુનિયાનો ફાયદો છે, પણ ઝકાત અને સદકહથી આખિરતના બેશુમાર ફાયદાઓ છે. ખરેખર, આ જ ફાયદાઓ આપણી નજર સમક્ષ રહેવા જોઇએ. અહીં આખિરતના ફાયદાઓનો ખુલાસો લખવામાં આવે છે :
(૧) એક રૂપિયાના અવેજમાં સાત સો ગણો અજર નક્કી છે અને ઇખ્લાસ વગેરેના કારણે તેમાં અનેકગણી વૃદ્ધિનો પણ વાયદો છે. (સૂરએ બકરહ–આયત : ર૬૧)
(૨) ઝકાત અને સદકહમાં માલ ખર્ચ કરવાનું દ્રષ્ટાંત અલ્લાહ તઆલા સાથે વેપાર કરવા સમાન છે, જેમાં કોઇ પણ જાતના નુકસાનનો ભય નથી. (સૂરએ ફાતિર–આયત : ર૯)
(૩) સદકહ કિયામતના દિવસે આપણા માટે દલીલ બનશે. (મુસ્લિમ શરીફ : ૧/૧૧૮)
(૪) ઝકાત અને સદકહની એક ખજૂર (મા’મૂલી ભાગ)ને અલ્લાહ તઆલા પોતાના હાથમાં લે છે અને તેનું એવી રીતે પાલન–પોષણ ફરમાવે છે, જેમ કે ઇન્સાન પોતાની ઊંટણીના બચ્ચાનું પાલન–પોષણ કરે છે, ત્યાં સુધી કે તે નાનકડી ખજૂર અલ્લાહ તઆલાને ત્યાં ઊંચા પર્વત સમાન થઈ જાયછે. (મુસ્લિમ શરીફ : ૧/૩ર૬)
(૫) જે વ્યક્તિ ઝકાત અને સદકહ અદા કરનાર હશે તેને જન્નતનો ખાસ દરવાજો ”બાબુસ્સદકહ”થી દાખલ કરવામાં આવશે. (મિશ્કાત શરીફ : ૧/૧૬૭)
(૬) સાત પ્રકારના લોકો મેદાને મહશરમાં અલ્લાહ તઆલાના અર્શના છાંયડા તળે હશે, તે પૈકી એક તે માણસ હશે જે અલ્લાહ તઆલાના રસ્તામાં એવી ગુપ્ત રીતે ખર્ચ કરતો હશે કે તે પોતાના જમણા હાથે આપે તો તેના ડાબા હાથને પણ ખબર ન પડે.” (મુસ્લિમ શરીફ : ૧/૩૩૧, બુખારી શરીફ : ૧/૯૧)
(૭) આ સદકહ આપણા માટે કિયામતના દિવસે છત્ર હશે.(મિશ્કાત શરીફ : ૧/૧૭૦, મુસ્નદે અહમદ : પ/૪૧૧)
ફક્ત ચાળીસમો ભાગ
જરાક વિચારો કે પૂરા માલનો ફક્ત ચાળીસમો ભાગ વર્ષભરમાં ફર્ઝની હેસિયતે કાઢવો જરૂરી ઠેરવવામાં આવ્યો અને એ પણ સઘળો નહિ, બલકે તે માલ જે પોતાનામાં વૃદ્ધિની શક્તિ અને લાયકાત રાખતો હોય અને મૂળ જરૂરિયાતથી વધુ હોય અને તેના પર એક વર્ષનું એ સ્થિતિમાં પસાર થવું કે સમગ્ર નિસાબ અથવા વિશેષ રૂપે બાકી હોય. આ શર્તો આધિન ઝકાતની અદાયગી લાઝિમ થાય છે.
અલ્લાહ તઆલા ઇચ્છત તો પચાસ ટકા (પ૦ %) અથવા એથી વધુ પણ ઝકાત ફર્ઝ કરી શકતા હતા અને માલ આવતાંવેંત–તત્કાળ જ વુજૂબનો હુકમ લાગુ કરી શકતા હતા, પરંતુ આ પણ તેનો ફઝલ અને ઇનામ છે કે તેણે તમામ શક્ય સહૂલતો સાથે કેવળ ચાળીસ રૂપિયામાં એક રૂપિયો ઝકાત રૂપે ફર્ઝ ફરમાવ્યો છે. આ ઇનામ હોવા છતાં કોઇ માણસ ઝકાત કાઢવામાં કોતાહી કરે, તો તેનાથી મોટો નેઅમતે ખુદાવંદીનો નાશુક્રો–નગુણો કોઇ હોઈ શકતો નથી.
સારાંશ કે આ અમુક ઇરશાદો છે, જેનાથી ફલિત થાય છે કે, ઝકાત અને સદકહ આપણા માટે કેટલી મોટી રહમતની વસ્તુ છે અને જેને અલ્લાહ તઆલાએ નિસાબનો માલિક બનાવી રાખ્યો છે તેની સાથે કેટલી મહાન ફઝીલતનો વર્તાવ ફરમાવ્યો છે ? તેમ છતાં જો આપણે ઝકાત અદા કરતી વખતે અથવા સદકહ દેતી વખતે પોતાના દિલમાં તંગી વ્યક્ત કરીએ, તો આનાથી વધુ બેવકૂફી અને મૂર્ખતાની કલ્પના કરી શકાતી નથી. આપણી પ્રથમ કોશિશ આ હોવી જોઇએ કે, જો આપણે ઝકાત અદા કરવાને લાયક છીએ, તો પહેલી ફુરસતમાં ફરજમુક્ત થઈ જઈએ અને આ ફર્ઝને અંજામ આપવામાં કદાપિ ગફલત અને ટાળી કાઢવાના ચરમાં ન રહીએ…(કિતાબુલ મસાઇલ : ર/૧ર૬ થી ૧૩૧)
Log in or Register to save this content for later.