Chapter : ઝકાત
(Page : 229)
સવાલ(૩૦૪–૯):– (અ) ઝકાત અને ફિત્રામાં શું તફાવત છે ? એ કોના ઉપર લાગુ પડે છે ? કયારે અને કેટલા પ્રમાણમાં ? દા.ત.એક માણસ પોતાના પગારમાંથી પોતાના,હાથખર્ચ જેટલો રાખી,બાકી રકમ તેની ” માં ” ને આપી દે છે,તે માણસ પાસે તો જે રૂપિયા પાંચ પગારમાંથી કપાય છે,તે સિવાય કંઈ જ બચત રહેતી નથી, પરંતું તેની પત્નિ પાસે ચાર તોલાની જણસ અને તેના પાસે દોઢ તોલાની વીંટી એમ મળીને સાડા પાંચ તોલા સોનું થાય છે, પગારમાં થી જે પાંચ રૂપિયા કપાય છે,તેનો હિસાબ આજ સુધીના રૂા. ૭૦ થી ૮૦ થાય છે,તો ઉપરોકત વ્યકિતએ ઝકાત આપવી કે કેમ ? અને તેને ફિત્રો લાગુ પડે કે કેમ ? ફિત્રામાં જે નિસાબ છે તે જ નિસાબ ઝકાતમાં પણ છે?
(બ) વળી એક માણસ પાસે ત્રણ મકાન છે,જેમાંથી એક વાપરે છે,અને બે મકાન ભાડે આપેલ છે, તે ભાડાની આવક અને પગાર મળી ખર્ચો નીકળે છે,હવે અત્યારે મ્યુન્સિપાલીટીનો કર એટલો છે કે ભાડાની રકમ કરમાં કપાવે તો બચત ન મળે,અને ખર્ચો જેમ તેમ કાઢવો પડે,તો આ બાબતમાં તે માણસ ભાડુત પાસેથી ઉછીના લઈ ઝકાત કે ફિત્રો અદા કરે કેમ ? દર માસે પગારમાંથી સવા રૂપિયો કાઢે તો ચાલે કે કેમ ?
જવાબ(૩૦૪–૯):– (અ) ઝકાત ખાસ પ્રકારના માલ ઉપર તથા તે નિસાબ ઉપર ફર્ઝ છે,જે નામી–વધનાર હોય,જેમ કે સોનું,ચાંદી,જાનવરો તથા વેપારનો માલ વિગેરે અને તે ઉપર વરસ પસાર થવું શર્ત છે,અને ફિત્રો વાજિબ થવા માટે ઈદની ફજરના સમયે ખાસ જરૂરતો ઉપરાંત મુત્લક નિસાબ હોવો જોઈએ,નામી–વધનાર હોય, કે ગેરનામી–અવર્ધક,જેમકે બિનજરૂરતનું ફર્નીચર,વાસણો વિગેરે,અને તેના ઉપર વરસ પસાર થવું શર્ત નથી.
જે માણસનો દાખલો ટાંકેલ છે,તેના ઉપર ઝકાત,ફિત્રો ફર્ઝ છે,સોનાની કિંમત ચાંદી વડે હાંકવામાં આવે તો ચાંદીનો નિસાબ પુરો થઈ વધી જશે,માટે ઝકાત,ફિત્રો દેવો પડશે.
(હિદાયાઃ ૧/૧૮પ તથા ર૦૮,શામીઃ૩/૧૭૬)
(બ) એના ઉપર ઝકાત ફર્ઝ નથી,દર માસે ઝકાત ફર્ઝ નથી,નિસાબ ઉપર વરસ વિતી ગયા પછી ફર્ઝ થશે,ઈદની ફજર વખતે જરૂરિયાત ઉપરાંત નિસાબ હશે તો ફિત્રો દેવો પડશે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૩/૧૭૪+ ૩૧ર+૩૧૩.)
Log in or Register to save this content for later.