રોઝાને તોડનારા કામો

Chapter : રોઝાને તોડનારા કામો

(Page : 39 to 51)

અગરબત્તીનો ધુમાડો મોઢામાં યા નાકમાં દાખલ કરવો

જો કોઈ શખ્સ રોઝાની હાલતમાં અગરબત્તીનો ધુમાડો (યા કોઈ પણ વરાળ) મોઢામાં યા નાકમાં દાખલ કરશે તો રોઝહ તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ર/૮પ)

રોઝામાં ઈન્હેલર પંપનો વપરાશ

ઈન્હેલર પંપ જેવું સાધન આવે છે. તેમાં દવાના એકદમ બારીક–સુક્ષ્મ કણો (માઈક્રોસ્કોપીક) ભરવામાં આવે છે, તેનો એક છેડો મોઢામાં લઈ બીજા છેડા ઉપર દબાણ કરવાથી દવાના બારીક કણો શ્વાસ સાથે સીધા ફેફસામાં જાય છે, જેથી દમના હુમલામાં તાત્કાલિક રાહત થાય છે. દવાના કણો એટલા બારીક હોય છે કે દવા મોઢામાં લેતી વખતે દવા અંદર જવાની જરાક પણ ખબર પડતી નથી. અને બહાર રાખી પંપ દબાવવાથી કેવળ હવા બહાર નીકળતી હોય એમ લાગે છે.

રોઝહની હાલતમાં મજકૂર ઈન્હેલર પંપથી દવાના કણોનો ગળામાં છંટકાવ કરવો દુરુસ્ત નથી. દમની બીમારીના ઉપચાર હેતુએ દવા ગળામાં પમ્પીંગ કરવાથી રોઝહ ફાસિદ થઈ જશે. ભલેને મજકૂર ઉપચારમાં માત્ર હવા ગળામાં જવાનો જ ભાસ થતો હોય તો પણ રોઝહ તૂટી જશે.

જેવી રીતે બીડીના અને લોબાન વગેરેની ધૂણીના ધુમાડા ઈરાદાપૂર્વક ગળામાં દાખલ કરવાથી અથવા રંગીન દોરો મોઢામાં દાખલ કરી રંગવાળું થૂંક ગળી જવાથી હવા અને થૂંક સાથે ધુમાડાના અને રંગના માત્ર બારીક કણો જ ગળામાં દાખલ થાય છે અને તેનાથી રોઝહ તૂટી જાય છે. તેવી જ રીતે મજકૂર દવાના માત્ર બારીક કણોનો ગળામાં છંટકાવ કરવાથી પણ રોઝહ તૂટી જશે.

જો રોઝાની હાલતમાં મજકૂર દવા ન લેવાથી બીમારીના લક્ષણો જોતાં અથવા ત અનુભવથી કે બીજા કોઈ દમના દર્દીના અનુભવના કારણે અથવા કોઈ મુસ્લિમ દીનદાર ડોકટરના અભિપ્રાયના આધારે એ વાતનો ખરેખર ભય હોય કે દમની બીમારી વધી જશે તો હાલ–અત્યારે રોઝહ ન રાખવો જાઈઝ છે અને પાછળથી સાનુકૂળ મોસમમાં રોઝહ કઝા કરવો વાજિબ છે અને જો કઝા રોઝાઓ રાખી શકવાની આશા જ ન હોય તો ફિદયો આપવો વાજિબ છે.

દમની બીમારીમાં હાનિકારક વસ્તુઓથી પરહેઝ કરી અને સાનુકૂળ–અનુકૂળ વાતાવરણમાં રહી મજકૂર દવા વગર રોઝહ રાખી શકાતો હોય તો તે માટે પ્રયાસ કરવો જોઈએ.  (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૯૩)

હઝરત મવલાના વ મુફતી મુહમ્મદસલમાન મન્સૂરપૂરી (દા.બ.) લખે છે : જો કોઈ દમનો દર્દી ”ઈન્હેલર”  ના વાપર્યા વગર રહી જ ન શકતો હોય અને જાહેરી–બાહ્ય રીતે તેનું શરીર સહીહ–તંદુરસ્ત હોય તો તે શું કરે ?

આ વિશે સમકાલિન મુફતિયાને કિરામના બે મંતવ્યો છે :

(૧) આવો માણસ એકંદરે મા’ઝૂર– લાચારના હુકમમાં છે કે તે અત્યારે રોઝા ન રાખે અને તંદુરસ્ત થયા પછી કઝા કરે અથવા ફિદયો આપે.

(ર) તેને ”ઈન્હેલર”ના વપરાશની સાથે સાથે રોઝહ રાખવાનો હુકમ આપવામાં આવે, પરંતુ તંદુરસ્ત થયા પછી સાવચેતી રૂપે કઝાનો હુકમ થશે અને જો વફાત સુધી તંદુરસ્ત ન થઈ શકે તો ફિદયો અદા કરે. બીજા મંતવ્ય અને મશ્‍વેરામાં સાવધાની વધારે છે. (કિતાબુલ મસાઈલ : ર/૮પ)

રોઝામાં જાણીબુઝીને ઊલટી કરવી

જો રોઝામાં જાણીજોઈને ઊલટી મોઢું ભરીને કરવાની શકલમાં સર્વેની સહમતિ અનુસાર રોઝહ તૂટી જશે. અને જો મોઢું ભરીને ન હોય તો ઈમામ મુહમ્મદ (રહ.)ના નજદીક રોઝહ તૂટી જશે, જ્યારે કે ઈમામ યૂસુફ (રહ.)ના નજદીક રોઝહ તૂટશે નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૮પ, ૮૬)

નોંધ : અલબત્ત, આપમેળે ઈરાદા વગર ઊલટી થવાથી રોઝહ નહિ તૂટે, જેમ કે અગાઉ મસ્અલહ બયાન થઈ ચૂક્યો.

નસકોરીનું લોહી અંદર જતું રહયું

જો રોઝાદારની નસકોરી ફૂટી અને તેનું લોહી નાકથી ગળામાં ચાલ્યું ગયું તો રોઝહ તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ર/૮૬)

રોઝાની હાલતમાં મોઢામાં પાન– મસાલો દબાવી સૂઈ ગયો

જો રોઝાદાર રોઝાની હાલતમાં મોઢામાં પાન–મસાલો દબાવી સૂઈ ગયો અને આ જ હાલતમાં સવાર થઈ ગઈ તો રોઝહ દુરુસ્ત થશે નહિ. એટલા માટે કે સૂતી વેળા પાનના અંશો–ભાગો થૂંકની સાથે પેટમાં ખુદ જતા રહયા હશે એટલે બાદમાં કઝા કરે. અલબત્ત, કફફારો વાજિબ નહિ થાય. (કિતાબુલ મસાઈલ : ર/૮૬)

કુલ્લી કરતી વેળા ઈરાદા વગર ગળામાં પાણી જતું રહયું

જો કુલ્લી કરતી વખતે ગળામાં ઈરાદા વગર પાણી ઊતરી ગયું તો જો રોઝહ તેને યાદ હતો તો જતો રહયો, કઝા વાજિબ છે, કફફારો વાજિબ નથી અને જો રોઝહ યાદ ન હતો તો આવી હાલતમાં પાણી મોઢામાં લઈ લીધું તો રોઝહ તૂટયો નથી.         (કિતાબુલ મસાઈલ : ર/૮૬)

ગલતી અથવા ધમકીથી રોઝહ તોડી નાખ્યો

જો કોઈ ગલતીથી રોઝહ તોડી નાખે અથવા ધમકી આપી કોઈનો રોઝહ ફાસિદ કરાવવામાં આવે તો આવી શકલમાં કેવળ કઝા લાઝિમ છે, કફફારો નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૮૭)

માટી યા કાંકરી ગળી જવી

પથ્થરની કાંકરી અથવા ફાયદા વગરની માટી અથવા ઘાસચારો અથવા કાગળ ખાવાથી પણ રોઝહ તૂટી જાય છે, પરંતુ ફકત કઝા લાઝિમ થશે. (કિતાબુલ મસાઈલ : ર/૮૭)

થૂંક લોહી સાથે ગળામાં ઊતરી જાય

જો લોહી થૂંક સાથે ગળામાં ઊતરે અને ગળામાં લોહીનો સ્વાદ મા’લૂમ  પડે તો રોઝહ તૂટી જશે, ચાહે લોહી થૂંક કરતાં વધારે હોય કે થોડું હોય અને જો લોહીનો સ્વાદ મા’લૂમ ન પડે અને ગળામાં ઊતરી જાય તો જોવામાં આવશે કે લોહી થૂંકના બરાબર છે કે વધારે છે. જો બરાબર યા વધારે હોય તો રોઝહ તૂટી જશે અને જો લોહી થોડું હોય તો રોઝહ તૂટશે નહિ.

લોહીના થૂંકથી વધારે યા બરાબર પ્રમાણમાં હોવાની નિશાની આ છે કે થૂંકનો રંગ લાલ થઈ ગયો હોય અને તેમાંથી થોડા પ્રમાણમાં લોહીની નિશાની આ છે કે થૂંક પીળા રંગનું હોય. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૬૭)

રોઝાની હાલતમાં હુક્કો યા બીડી– સિગરેટ પીવી

રોઝાની હાલતમાં હુક્કો યા બીડી–સિગરેટ પીવાથી રોઝહ તૂટી જાય છે અને કઝા વાજિબ છે. (ફતાવા દારુલ ઉલૂમ : ૬/૪૧પ, કિતાબુલ મસાઈલ : ર/૮૮)

રોઝાની હાલતમાં હસ્તમૈથુન કરવું

રોઝાની હાલત વગર પણ મજબૂરી વગર હસ્ત મૈથુન કરવું મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે. હદીસ શરીફમાં હાથથી વીર્યપાત કરવા ઉપર સખત વઈદ આવેલ છે અને રોઝાની હાલતમાં હસ્તમૈથુન કરવું વિશેષ રીતે નાજાઈઝ છે. તેમજ હાથક્રિયા વડે પણ વીર્યપાત થવાથી રોઝહ તૂટી ય છે અને કઝા વાજિબ થાય છે અને રોઝહ તૂટયા પછી પણ બાકી દિવસ રોઝાદારની જેમ વિતાવવો જરૂરી છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૯૧, કિતાબુલ મસાઈલ : ર/૮૮)

રોઝાની હાલતમાં ઓરતથી ચુંબન

જો પત્નીથી ચુંબન કરવાના કારણે વીર્યસ્ખલન થઈ જાય તો રોઝહ તૂટી જશે અને કઝા વાજિબ થશે, કફફારો વાજિબ નહિ થાય. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૯૧, કિતાબુલ મસાઈલ : ર/૮૮)

સ્વપ્નદોષ થયા પછી રોઝહ તૂટવાના ગુમાને ઈફતારી કરવી

સ્વપ્નદોષ થવાથી રોઝહ તૂટતો નથી, પરંતુ જો કોઈએ ગલતીથી આ સમજીને કે સ્વપ્નદોષના કારણે રોઝહ જતો રહયો અને ઈફતારી કરી લીધી તો કફફારો લાઝિમ નહિ થાય, ફકત તેની કઝા જરૂરી છે. (ફતાવા દારુલ ઉલૂમ : ૬/૪રર, કિતાબુલ મસાઈલ : ર/૮૯)

સખત બિમારીના કારણે ઈફતાર કરી લેવી

સખત બિમારીના કારણે જો રોઝહ ઈફતાર કરી લે તો તેનાથી કેવળ કઝા કરવી પડશે. કફફારો નહિં. (ફતાવા દારુલ ઉલૂમ : ૬/૪ર૨, કિતાબુલ મસાઈલ : ર/૮૯)

જાણીજોઈને રોઝહ તોડયો પછી તે દિવસે બીમાર પડયો

જો કોઈએ જાણીબુઝીને રોઝહ તોડી દીધો પછી બીમાર થઈ ગયો યા ઓરતને માસિક આવી ગયું તો તેની કઝા લાઝિમ થશે, કફફારો રદ થઈ જશે. (ફતાવા દારુલ ઉલૂમ : ૬/૪ર૮, કિતાબુલ મસાઈલ : ર/૮૯)

રોઝામાં ઓરત સાથે બળજબરીપૂર્વક સંભોગ

રમઝાનુલ મુબારકના રોઝામાં જો કોઈ ઓરત સાથે બળજબરીથી હમબિસ્તરી કરે તો ઓરત પર ફકત કઝા લાઝિમ થશે, કફફારો નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૮૯)

મુસાફિરનો રોઝહ તોડવો

જો કોઈ માણસે રોઝાની હાલતમાં સફર શરૂ કર્યો તો તેણે ઉઝર–મજબૂરી વગર રોઝહ તોડવો જોઈએ નહિ, પરંતુ જો રોઝહ તોડી નાખે તો માત્ર કઝા લાઝિમ થશે, કફફારો લાઝિમ નહિ થાય. (કિતાબુલ મસાઈલ : ર/૮૯, ઝુબ્દતુલ ફતાવા : ૪/૩ર૩)

રોઝાની હાલતમાંઅનીમા” લેવી

પેટની સફાઈ માટે પાછળના માર્ગેથી જે દવા ચઢાવવામાં આવે છે (જેને ”અનીમા” કહેવાય છે) તેનાથી રોઝહ તૂટી જાય છે. (કિતાબુલ મસાઈલ : ર/૯૦)

હરસની બીમારીની અંદરના મસાઓ પર દવા લગાડવી

હરસ–મસાની બીમારીની અંદરના મસાઓ પર મલમ અથવા દવા લગાડવાથી રોઝહ તૂટી જશે, પરંતુ જે  મસાઓ બહાર રહે છે તેના પર દવા લગાડવાથી રોઝહ તૂટશે નહિ.  (ફતાવા દારુલ ઉલૂમ : ૬/૪૧૧, કિતાબુલ મસાઈલ : ર/૯૦)

પુરુષની પેશાબની નળીમાં દવા ટપકાવવી

પુરુષની પેશાબની નળીમાં જો કોઈ દવા નાખવામાં આવે અને તે મૂત્રપિંડ સુધી પહોંચી જાય તો રોઝહ તૂટી જશે અને જો મૂત્રપિંડ સુધી ન પહોંચે તો રોઝહ તૂટશે નહિ. (કિતાબુલ મસાઈલ : ર/૯૦)

દુઃખતી દાઢમાં પૂમડું મૂકવું

દુઃખતી દાઢમાં રૂનં પૂમડું સજ્જડ રીતે દબાવ્યા પછી રોઝાની હાલતમાં જાગતા અથવા સૂતા મોઢામાં થૂંક સાથે દવા પેટમાં પહોંચી થઈ અને દવા થૂંકના બરાબર અથવા તેથી વધુ હતી અથવા દવાનો સ્વાદ ગળામાં મા’લૂમ પડયો તો રોઝહ તૂટી જશે અને તેની કઝા કરવી પડશે અને જો દવા આ પ્રમાણે પેટમાં ન પહોંચી હોય તો રોઝહ તૂટશે નહિ. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૮૧)

ગરમ પાણીમાં બામ નાખી નાસ લેવો

રોઝાની હાલતમાં ગરમ પાણીમાં બામ વગેરે નાખીને નાસ લેવાથી રોઝહ તૂટી જાય છે, જેમાં નાક અને મોઢામાં દવાવાળા પાણીની વરાળ લેવામાં આવે છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩ર૧)

દાંતો પર મંજન અથવા ટૂથપેસ્ટ લગાડવી

રોઝહની હાલતમાં દાંતો પર મંજન અથવા ટૂથપેસ્ટ લગાડવી મકરૂહ છે. જો તેને લગાડવાથી તેનો કોઈ ભાગ ગળામાં ન જાય તો રોઝહ નહિ તૂટે અને તેનો કોઈ ભાગ ગળામાં જશે તો રોઝહ તૂટી જશે, એટલા માટે રોઝાની હાલતમાં તેના ઉપયોગથી બચવું જોઈએ. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૩ર૧)

રોઝાની હાલતમાં બામ લગાડવી

રોઝાની હાલતમાં નાકમાં વિક્સ બામ અથવા અન્ય કોઈ દવા લગાડવી મના છે, કારણ કે બામ ઓગળીને કે નાકની રતૂબત (ચીકાશ) સાથે મળીને ગળામાં ઉતરવાનો ભય છે, જેનાથી રોઝહ તૂટી જાય છે.

અલબત્ત, બામની શીશી કે ડબ્બી નાકથી અલગ રાખી તેની ખૂશ્બૂ સૂંઘવાની ગુંજાઈશ છે.(ઝુબ્દતુલ ફતાવા : ૪/૪૦૦)

ઓરતના ગુપ્તાંગમાં દવા નાખવી

જો કોઈ ઓરતના ગુપ્તાંગમાં કોઈ દવા નાખવામાં આવે તો તરત જ તેનો રોઝહ તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ર/૯૧, ઝુબ્દતુલ ફતાવા : ૪/૩૯૯)

ગુપ્તાંગમાં તપાસ કરવાથી રોઝાનો હુકમ

જો કોઈ બીમારીના નિદાન અથવા પ્રસૂતિની મુદ્દતનો અંદાજો લગાડવા માટે લેડી ડૉકટર કોઈ ઓરતની શર્મગાહ (ગુપ્તાંગ)માં હાથ નાખે તો તેના બે પ્રકાર છે : (૧) જો તે સૂકો હાથ નાખે કે જેના પર પાણી અથવા દવાની કોઈ અસર ન હોય તો રોઝહ નહિ તૂટે (ર) અને જો ભીનો હાથ નાખે અથવા દવા વગેરે લગાવી હાથ નાખે તો રોઝહ તૂટી જશે.        (કિતાબુલ મસાઈલ : ર/૯૧)

મુહિક્કિકે ગુજરાત ઉસ્તાઝી વ મુહતરમી હઝરત મવલાના વ મુફતી ઈસ્માઈલ સાહેબ ભડકોદ્રવી (દા.બ.) લખે છે : ઓરત ગર્ભવતી છે યા નહિ તેની તપાસ માટે આંગળીઓ પર ચીકણો પદાર્થ લગાવી રોઝાની હાલતમાં તપાસવાથી ઓરતનો રોઝહ તૂટી જશે અને ઓરતે જરૂરત ઊભી થતાં ઓરત ડોકટર પાસે જ ઉપાય કરાવવો જોઈએ. જરૂરત વગર પુરુષ ડોકટર પાસે ઈલાજ કરાવવાથી યથાશક્તિ બચવું જોઈએ.    (ઝુબ્દતુલ ફતાવા : ૪/૪૦૦)

Log in or Register to save this content for later.