Chapter : રોઝહ
(Page : 13 to 23)
રોઝહ કોના ઉપર ફર્ઝ છે ?
માહે રમઝાનુલ મુબારકના રોઝાઓ રાખવા દરેક આકિલ, બાલિગ, મુસલમાન ગેર મા’ઝૂર (લાચારી વગરના) શખ્સ પર ફર્ઝ છે. (કિતાબુલ મસાઈલ : ર/૬૯)
કઈ પરિસ્થિતિમાં રોઝહ રાખવો દુરુસ્ત નથી ?
હૈઝ (માસિક સ્ત્રાવ) અને નિફાસ (પ્રસૂતિ પછી થતો રક્તસ્ત્રાવ)વાળી ઓરતો માટે રોઝહ રાખવો જાઈઝ નથી, પરંતુ બાદમાં કઝા લાઝિમ–અનિવાર્ય છે.
(કિતાબુલ મસાઈલ : ર/૭૦)
કઈ પરિસ્થિતિઓમાં રોઝહ ન રાખવો મુબાહ છે ?
બીમાર, મુસાફિર, ગર્ભવતી, દૂધ પિવડાવનાર ઓરત, તીમારદાર : સારવાર કરનાર (જ્યારે કે તેના રોઝહ રાખવાથી બીમાર વ્યકિતને નુકસાન થતું હોય) અતિ કમજોર, ભૂખ, તરસથી લાચાર, મુજાહિદ ફી સબીલિલ્લાહ (જ્યારે કે તેના રોઝહ રાખવાથી જિહાદમાં નુકસાન થાય) અને પાગલ, બેહોશીમાં સપડાયેલ માણસ માટે ઉઝર–બહાનાના કારણે રોઝહ ન રાખવો મુબાહ છે, જ્યારે કે તેમનું ઉઝર ખતમ થઈ જાય તો તેઓ રોઝાની કઝા કરે. હા ! જો કોઈ એવા માણસ છે જેને રોઝહ રાખવા પર કુદરત (તાકાત) ન રહે તો તેના માટે હુકમ આ છે કે, તે દરેક રોઝાના અવેજમાં ફિદયહ–મુક્તિદંડ (એક સદકએ ફિત્રની માત્રા, અંદાજિત પોણા બે કિલો ઘઉં (આપ્યા કરે).
(કિતાબુલ મસાઈલ : ર/૭૦)
દરેક રોઝાની અલગ અલગ નિય્યત કરવી
રમઝાનુલ મુબારકના દરેક રોઝહ માટે અલગ અલગ નિય્યત કરવી જરૂરી છે. (કિતાબુલ મસાઈલ : ર/૭૧)
નિસ્ફુન્નહારથી પહેલાં ફર્ઝ વ નફલ રોઝહની નિય્યત
શરઈ નિસ્ફુન્નહાર (જેને કેલેન્ડરમાં સામાન્ય રીતે ”ઝહવ–એ–કુબ્રા”ના નામથી લખાય છે. અર્થાત સુબ્હે સાદિક (સૂર્યોદય) અને ગુરુબે આફતાબ (સૂર્યાસ્ત)ના બિલકુલ વચ્ચેનો સમય)થી પહેલાં પહેલાં જો રમઝાનુલ મુબારકના અદા રોઝાની નિય્યત કરી લેવામાં આવે તો રોઝહ દુરુસ્ત થઈ જશે. ત્યાર પછીના સમયની નિય્યત મો’અતબર (ભરોસાપાત્ર) નથી.(કિતાબુલ મસાઈલ : ર/૭૧)
ઝબાનથી નિય્યત જરૂરી નથી
નિય્યત માટે ઝબાનથી શબ્દ બોલવાની જરૂર નથી, બલકે કેવળ દિલથી ઈરાદો કરી લેવો કાફી છે. ત્યાં સુધી કે રોઝહ માટે સેહરી ખાવી પણ નિય્યતના દરજામાં છે.(કિતાબુલ મસાઈલ : ર/૭૧)
નોંધ : અમુક લોકો અરબીમાં રોઝહની નિય્યત જરૂરી સમજે છે, આ સહીહ નથી. (જવાહિરુલ ફિકહ : ૧/૩૭૮)
નિય્યત પછી સુબ્હે સાદિકથી પહેલાં ખાણું ખાવું
રોઝહનો પ્રારંભ સુબ્હે સાદિક (સૂર્યોદય)થી થાય છે. એટલા માટે જ્યાં સુધી સુબ્હે સાદિક ન થાય ત્યાં સુધી ખાવું–પીવું વગેરે જાઈઝ છે. ભલે ને રોઝહની નિય્યત પહેલાં કરી ચૂક્યો હોય. (કિતાબુલ મસાઈલ : ર/૭૧)
સેહરીની ફઝીલત
રોઝહ રાખવા માટે સેહરી સુન્નત છે અને હદીસ શરીફમાં આ અમલને બરકતપાત્ર ઠેરવ્યો છે. એટલા માટે સેહરીનો ખાસ પ્રબંધ કરવો જોઈએ.(બુખારી શરીફ : ૧/રપ૭, મુસ્લિમ શરીફ : ૧/૩પ૦, મિશ્કાત શરીફ : ૧/૧૭પ)
સેહરીમાં મોડું કરવું
સેહરીમાં મોડું કરવું મુસ્તહબ છે, પરંતુ એટલો વિલંબ ન કરવામાં આવે કે સમયમાં શંકા થવા લાગે કે મકરૂહ છે. (કિતાબુલ મસાઈલ : ર/૭ર)
સેહરી વગર રોઝહ રાખવો
સેહરી ખાવી ભલે મસ્નૂન છે, પરંતુ જો કોઈ શખ્સ સેહરી ખાધા વગર જ નિય્યત કરી લે તો પણ તેનો રોઝહ દુરુસ્ત થઈ જશે. અલબત્ત, સેહરીની બરકતથી વંચિત રહેશે. (કિતાબુલ મસાઈલ : ર/૭૧)
ઈફતારમાં જલદી કરવાનો હુકમ
ઈફતારનો સમય થઈ ગયા પછી ઈફતારમાં જલદી કરવું સુન્નત છે. અહાદીસે શરીફામાં ઈફતાર માં જલદી કરવાની ફઝીલત બયાન થઈ છે. .(બુખારી શરીફ : ૧/ર૬૩, મુસ્લિમ શરીફ : ૧/૩પ૧, મિશ્કાત શરીફ : ૧/૧૭પ)
ઈફતારીની મસ્નૂન દુઆ
ઈફતારીના સમયે નીચેની દુઆ પઢવી મસ્નૂન છે.
ઝ–બ–બઝ ઝ–મ–ઉ વબ્તલ્લતિલ ઉરૂકુ વ સ–બ–તલ અજરુ ઈન્શા અલ્લાહ. (સુનને દારે કુત્ની : ર/૧૬૪)
તરજુમો : તરસ જતી રહી, નસો તર (તૃપ્ત) થઈ ગઈ અને સવાબ નિયત થઈ ચૂકયો ઈન્શા અલ્લાહુ તઆલા.
તદઉપરાંત, આ દુઆ પણ સાબિત છે.
અલ્લાહુમ્મ લ–ક સુમ્તુ વ અલા રિઝકિ–ક અફતર્તુ. (અબૂ દાવૂદ શરીફ :૧/૩રર)
તરજુમો : હે અલ્લાહ ! મેં તારા જ માટે રોઝહ રાખ્યો અને તારી અર્પણ કરેલી રોઝીથી ઈફતારી કરી. (અર્થાત રોઝો છોડયો.)
ખજૂર યા પાણીથી ઈફતારીનો હુકમ
બેહતર એ છે કે ખજૂરથી ઈફતાર કરવામાં આવે અને જો ખજૂર ઉપલબ્ધ ન હોય તો પાણીથી ઈફતાર કરવું અફઝલ છે. (તિરમિઝી શરીફ : ૧/૧૪૯, મિશ્કાત શરીફ : ૧/૧૭પ)
ઓરત સુબ્હે સાદિક પછી હૈઝથી પાક થઈ
જો ઓરત સુબ્હે સાદિક પછી દિવસમાં કોઈ વખતે હૈઝ (માસિક) અથવા નિફાસથી પાક થઈ તો આજના દિવસનો તે રોઝહ નહિ રાખે, બલકે બાદમાં તે દિવસની કઝા કરશે. અલબ, રોઝહદારોની જેમ સાંજ સુધી ખાવા–પીવાથી પરહેઝ કરે. (કિતાબુલ મસાઈલ : ર/૭૩)
હાઈઝહ ઓરત સુબ્હે સાદિકથી પહેલા પાક થઈ
જો કોઈ ઓરત સુબ્હે સાદિક થી પહેલાં હૈઝ (માસિક)થી પાક થઈ તો તેમાં નીચેનો ખુલાસો છે :
(૧) જો તે દસ દિવસ સંપૂર્ણ હૈઝમાં રહી પાક થઈ છે તો ચાહે સુબ્હે સાદિકથી પહેલાં તેને ગુસલનો સમય અને મોકો મળ્યો હોય યા ન મળ્યો હોય, કોઈ પણ ભોગે તે દિવસનો તે ઓરત રોઝહ રાખશે.
(ર) અને જો દિવસથી ઓછા દિવસમાં પાક થઈ છે તો જોવામાં આવશે કે, સુબ્હે સાદિકથી પહેલાં પહેલાં તે ગુસલ કરી પાક થઈ છે યા નહિ ? જો એટલો વખત મળે કે પાક થઈ શકે તો તેના પર તે દિવસનો રોઝો રાખવો જરૂરી ઠરશે અને જો એટલો સમય ન હોય કે ગુસલ કરી શકશે, સમજો કે બિલકુલ ટચોટચ સુબ્હે સાદિકના સમયે પાક થઈ છે તો હવે તેના પર તે દિવસનો રોઝહ રાખવો દુરુસ્ત નથી, બલકે બા’દમાં કઝા કરવી પડશે. (કિતાબુલ મસાઈલ : ર/૭૩)
દિવસમાં બાલિગ થયો અથવા કાફિર ઈસ્લામ લાવ્યો
જો દિવસમાં કોઈ પણ સમયે બાળક/બાળકી બાલિગ થાય અથવા કાફિર ઈસ્લામ કબૂલ કરે તો તેઓએ સાંજ સુધી રોઝહદારોની જેમ રહેવું જરૂરી છે.(કિતાબુલ મસાઈલ : ર/૭૪)
નિસ્ફુન્નહારથી પહેલાં બાલિગ થનાર માટે નફલ રોઝહની નિય્યત
જો બચ્ચું નિસ્ફુન્નહાર શરઈથી પહેલાં બાલિગ–પુખ્ત વયનું થાય અને તેણે હજુ સુધી રોઝહ વિરુદ્ધ કામ ન કર્યું હોય તો તે નફલ રોઝહની નિય્યત કરી શકે છે. (કિતાબુલ મસાઈલ : ર/૭૪)
નિસ્ફુન્નહારથી પહેલાં ઈસ્લામ લાવનાર માટે નફલ રોઝહની નિય્યત
જો કોઈ કાફિર નિસ્ફુન્નહાર શરઈથી પહેલાં ઈસ્લામ લાવે અને તે નફલ રોઝહની નિય્યત કરવા માંગે તો તની નિય્યત ભરોસાપાત્ર નથી. (કિતાબુલ મસાઈલ : ર/૭૪)
દસ વરસથી ઓછી ઉંમરના છોકરાઓથી રોઝહ રખાવવો
દસ વરસથી ઓછી ઉંમરનો છોકરો તંદુરસ્ત હોય કે રોઝહ રાખવાથી તેને કોઈ તકલીફ ન હોય તો એવા છોકરાથી રોઝહ રખાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ જો બાળક કમજોર હોય અથવા એટલી નાની વયનું હોય કે રોઝહ રાખવો તેના માટે સખત તકલીફનો સબબ હોય તો તેનાથી રોઝહ ન રખાવવામાં આવે. (આલમગીરી : ૧/ર૧૩, શામી : ૩/૩૮પ)
નોંધ : આજકાલ લોકો નામવરી માટે જબરદસ્તી નાના બાળકોથી રોઝહ રખાવે છે અને તેમના ફોટાઓ છાપાઓમાં પ્રકાશિત કરે છે અને રોઝાના નામ પર મોટી મોટી દઅવતો કરાય છે અને બાળક બિચારું ફૂલહારમાં ઢંકાય જાય છે. આ બધી વાતો રિવાજોમાં શામેલ છે અને છોડવાપાત્ર છે. તેનાથી બિલકુલ જ પરહેઝ કરવો જોઈએ. (કિતાબુલ મસાઈલ : ર/૭પ)
દસ વરસના છોકરાને રોઝહની તાકીદ કરવી
જો છોકરો દસ વરસનો થઈ જાય અને રોઝાની તાકાત ધરાવતો હોય તો તેને રોઝાનો હુકમ કરવામાં આવે અને જો તે ઉઝર વગર રોઝહ છોડે તો તેને સલાહસૂચન અને તાકીદ કરવામાં આવે. (કિતાબુલ મસાઈલ : ર/૭પ)
દસ વરસથી ઓછા યા દસ વરસનો છોકરો પૂરા માસના રોઝહ ન રાખી શકતો હોય તો ….
જો છોકરો દસ વરસથી ઓછી ઉંમરનો હોય અને તેનામાં પૂરા માસના રોઝાઓ રાખવાની શક્તિ ન હોય, બલકે પૂરા માસના રોઝાઓ રાખવાથી સખત તકલીફ અને વધુ કમજોર થવાનો ભય હોય તો જેટલા દિવસના રોઝાઓ રાખવાની તાકાત હોય ફક્ત તેટલા જ દિવસના રોઝાઓ રાખે, વધુ રોઝાઓ રાખવાનો તેને હુકમ લાગુ નહિ પડે. (કિતાબુલ મસાઈલ : ર/૭પ)
કોઈ ઓરત નફલી રોઝહ રાખ્યા પછી હાઈઝહ થઈ ગઈ
જો કોઈ ઓરતે નફલી રોઝહ રાખી લીધો, પછી સુબ્હે સાદિક પછી હૈઝ શરૂ થયું તો આ રોઝહ શરૂ કરવાથી લાઝિમ થઈ ગયો. એટલા માટે માસિક ખતમ થયા પછી તે રોઝહની કઝા જરૂરી છે. (કિતાબુલ મસાઈલ : ર/૭૬)
મુસાફિર ઝવાલથી પહેલાં મુકીમ બન્યો
જો મુસાફિર નિસ્ફુન્નહાર શરઈ (અર્થાત ઝહવ–એ–કુબ્રા)થી પહેલાં મુકીમ બન્યો અને હજુ સુધી તેણે કોઈ કામ રોઝહ વિરુદ્ધ કર્યું નથી તો તેના જિમ્મે લાઝિમ છે કે તે નિય્યત કરી તે દિવસનો રોઝહ રાખે. (કિતાબુલ મસાઈલ : ર/૭૬)
Log in or Register to save this content for later.