Chapter : રોઝહ
(Page : 455-456)
સવાલઃ– બયાને મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) માસિકમાં અમે રોઝાની ફઝીલત વિશે એક હદીસ વાંચી. હઝરત ફખ્રે બની આદમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું કે જયાં સુધી રોઝેદાર પાસે બેસીને ખાવામાં આવતુ રહે ત્યાં સુધી તેના હાડકાં તસ્બીહ કરતા રહે છે અને એના માટે ફરિશ્તાઓ ઈસ્તિગફાર કરતા રહે છે. (બય્કહી) ઉપરોકત હદીસ શરીફમાં અમોને સમજ પડી નથી તો ઝરૂરી માર્ગદર્શન આપશો.
જવાબઃ– આ મઝમૂનની હદીસ સુનને બયહકીની જેમ તિરમિઝી શરીફમાં પણ છે. હઝરત ઉમ્મે ઉમારહ બિન્તે કઅબ અન્સારિય્યાહ (રદિ.)થી નકલ છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેમની પાસે તશરીફ લાવ્યા, તો તેમણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં ખાણું પેશ કર્યું, આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ઉમ્મે ઉમારહથી ફરમાવ્યું કે તમો પણ ખાઓ, તો તેમણે જવાબ આપ્યો કે હું રોઝાદાર છું, આ સાંભળી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે જયારે રોઝાદાર સામે ખાવામાં આવે તો જયાં સુધી ખાણું ખાનાર ખાવાથી ફારિગ ન થાય ત્યાં સુધી ફરિશ્તાઓ રોઝાદાર માટે દુઆ કરે છે. (તિરમિઝી શરીફ : ૧ / ૧૬૩)
મઝકૂર હદીસથી એક વાત તો એ સમજાય છે કે ગેર રોઝાદાર માટે રોઝાદાર સામે ખાવું જાઈઝ છે. જયારે રમઝાન મહિનો ન હોય અથવા ગેર રોઝાદાર એવો મઅઝૂર કે મુસાફિર માણસ હોય કે જેના માટે રમઝાનનો રોઝહ છોડવાની ઈજાઝત હોય. બીજી વાત આ સમજાય છે કે આવી હાલતમાં રોઝાદારને રોઝાની વધુ ફઝીલત પ્રાપ્ત થાય છે, કારણ કે ખાણું સામે હોય અને તે ખવાઈ પણ રહયુ હોય તો રોઝાદારને રોઝહ બાકી રાખવા વધુ સબ્ર કરવી પડે છે અને ખાણું રોઝાદારની સામે ન હોય અથવા તેની સામે કોઈ ખાતુ ન હોય તો રોઝહ બાકી રાખવા એટલી સબ્ર નથી કરવી પડતી, કારણ કે આવી હાલતમાં શકય છે કે તેના દિમાગમાં ખાવાનો વિચાર અને કલ્પના પણ ન હોય, માટે તેની સામે બીજાના ખાવાની હાલતમાં વધુ સબ્રના કારણે આ ફઝીલત પ્રાપ્ત થાય છે.
Log in or Register to save this content for later.