[૩૮૬] સત્તાવીસમી રમઝાનની ઈશા વખતે સાત અઝાનો આપવી

Chapter : રોઝહ

(Page : 447-448)

સવાલ :– અમૂક શહેરોમાં અને ગામડાઓમાં રમઝાનુલ મુબારકની  સત્તાવીસમી તારીખે ખાસ ઈશાના ટાઈમે સાત અઝાનો આપવામાં આવે છે, અને પૂરા વર્ષ દરમિયાન દરેક નમાઝના ટાઈમે ફકત એક જ અઝાન આપવામાં આવે છે. તો શું રમઝાનની ર૭મી રાત્રે ઈશાના ટાઈમે સાત અઝાનો આપવી ઝરૂરી છે ? અને જો ઝરૂરી હોય તો કઈ કિતાબથી સાબિત છે ? શું હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના ઝમાનામાં તેમજ સહાબાએ કિરામ (રદિ.)ના અથવા તાબિઈન, તબે તાબિઈનના દૌરમાં ર૭ રમઝાનમાં સાત અઝાનો આપવામાં આવતી હતી ? અમૂક લોકો કહે છે કે સાત અઝાનો આપવામાં વાંધો નથી, કારણ કે અઝાનથી આફતો, મુસીબતો દૂર થાય છે, તો શું એ સહીહ છે અને અગર સહીહ હોય તો ફકત અઝાનો આપવી જોઈએ કે પછી પાંચ નમાઝોના ટાઈમે પણ આપી શકીએ છીએ. શું કોઈ વાંધો છે ?

જવાબઃ– સત્તાવીસમી રમઝાનની રાત્રે ઈશાની નમાઝ વખતે સાત અઝાનો આપવી બિદઅત અને નાજાઈઝ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી, સહાબાએ કિરામ (રદિ.), તાબિઈન, તબ્એ તાબિઈન અને મુજતહિદ ઈમામો (રહ.)થી આ પ્રમાણે સાત અઝાનો આપવી સાબિત નથી. ન ફિકહની કોઈ કિતાબમાં સાત અઝાનોનું જાઈઝ હોવું લખવામાં આવ્યુ છે. હદીષોથી એ વાત સ્પષ્ટ રીતે સાબિત છે કે અઝાનની શરૂઆત ફર્ઝ નમાઝના વખતની ખબર આપવા માટે થઈ અને પેદા થયેલા બચ્ચાના કાનમાં અઝાન આપવા આપે (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરમાવ્યું. બાકી આફતો અને મુસીબતો વખતે અઝાનો આપવી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી  કોઈ સહીહ હદીસમાં સાબિત નથી.

                માટે અઝાન જાઈઝ સૂરતમાં બેશક રહમત ઉતરવાનું કારણ અને એક મુબારક અમલ છે. પરંતુ શરીઅતના હુકમ અનુસાર તેને અપનાવવામાં આવશે. પોતાની ઈચ્છા મુજબ ગમે તેમ દલીલો ઘડી કાઢી તેને અપનાવવી બિદઅત અને ગુમરાહી છે.         (શામી : રપ૮ ભા.૧ ફ. રશીદિય્યહ ૧૧૬)

Log in or Register to save this content for later.