Chapter : રોઝહ
(Page : 409-410)
સવાલઃ– મારી વાલિદહની હાલ ૮૦ વર્ષની ઉંમર છે, તિલાવત, નમાઝ અને તહજ્જુદના પાબંદ છે. રમઝાન મુબારકના રોઝા પણ પાબંદીથી રાખે છે. ઉંમર અને તબિયતના તકાઝાના લઈ છેલ્લા બે – ત્રણ વર્ષોથી ના છુટકે અમુક રોઝા અમો આગ્રહ કરીને છોડાવીએ છીએ. હાલ રમઝાનુલ મુબારક નજીક છે, અને તેઓની તબિયત નાદુરૂસ્ત છે અને રોઝો રાખવાથી તબિયત પર અસર પડે છે અને તેઓ જિદ કરે છે કે બને તેટલા રોઝા તો હું રાખીશ અને રોઝા રાખવાથી તેઓની તંદુરસ્તીને ઝરૂર અસર થશે તો કુર્આન અને હદીસની રોશનીમાં યોગ્ય માર્ગદર્શન આપશો અને રોઝો છોડે તો કઈ રીતે ફિદયો આપવો તે પણ જણાવશો.
જવાબ :– એવા ઘરડાં સ્ત્રી – પુરુષ કે જેમનામાં રોઝા રાખવાની શકિત ન હોય અથવા એવો બીમાર કે રોઝો રાખવાથી જેની બીમારી વધી જતી હોય તેઓ માટે રમઝાન મુબારકનો રોઝો છોડવો જાઈઝ છે. અને જો રોઝો રાખવાથી તેઓને અસહ્ય તકલીફ થવાનો અને તબિયતને નુકસાન થવાનો ભય હોય તો તેઓ માટે રોઝો છોડવો અફઝલ છે. એવા તકલીફવાળા માણસને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ રોઝો રાખવાની મનાઈ ફરમાવી છે અને એવી હાલતમાં રોઝો રાખનારને શરીઅતે આપેલી રુખ્સત અને આસાનીનું ઉલ્લંઘન કરનાર ઠેરવ્યો છે. (શામી : ર / તફ. મઝહરી ૧૭૯ / ૧)
એવું અશકત ઘરડું માણસ કે જેની અશકિત દિવસે દિવસે વધતી જતી હોય, તેના માટે રમઝાન મુબારકનો રોઝો છોડીને પોતાની હયાતીમાં જ રોઝાનો ફિદયો આપવો જાઈઝ છે. રમઝાન મુબારકના એક રોઝા દીઠ એક સદકએ ફિત્રના બરાબર ફિદયો એટલે એક કિલો છસો ચાળીસ ગ્રામ અથવા એટલા ઘઉંની રોકડ કિંમત અથવા એટલી કિંમતની બીજી વસ્તુ ઝકાતના હકદાર ગરીબ મુસલમાનને આપવી જોઈએ. (શામી –ર)
Log in or Register to save this content for later.