[૩૦૬] તકવીમના વખત પહેલાં સુર્યાસ્ત જોઈને ઈફતાર

Chapter : રોઝહ

(Page : 372-375)

સવાલ :– એક મૌલાના સાહેબ મને કહે છે કે હમારું તો ”દાએમી અહમદી તકવીમ” પર યકીન છે અને તે ઉપર હમો રોઝો ઈફતાર કરીએ છીએ. જયારે એજ ગામની જુમ્આ મસ્જીદના પેશ ઈમામ સા. પોતાના રોઝા ઈફતારનો બેલ વાગે છે છતાં રોઝો ઈફતાર કરતા નથી, જે મેં મારી નજરે જોયું અને મઝકૂર ઈમામ સાહેબે મને ખુદને બારમો રોઝો ઈફતાર કરતી વખતે કહયું કે એ લોકો માનતા નથી. તેમ પેલા મૌલાના સાથે નવયુવાનો મસ્જીદના મિનારા પર ચઢી ”દાએમી અહમદી તકવીમ” ના ટાઈમ પહેલાં રોઝહ ઈફતાર નો બેલ મરાવે છે તે બાબત મેં તે લોકોને કહયું તો મારી સાથે બારમા રોઝે ઈફતારના ટાઈમે ઝઘડા માટે તૈયાર થઈ ગયા. આ સર્વ કારણોને લઈને મેં તેજ દિવસથી અહદ કરી લીધો હતો કે આ બાબત ઉલમાએ કિરામને જાણ કરી એક ઈસ્લામી ફરીઝા રોઝહની જે હાલત આ તડકેશ્વર ગામમાં છે તેની તહકીક કરવી છે. આ કારણે મારે આપ ઉલમાએ કિરામને ફતવો પૂછવાની ઝરૂર પડી, બાકી મારે ન તો મોહતરમ મૌલાના સાથે, ન તો પેલા નવયુવાનો સાથે, ન તો નવયુવાનો સાથે મિનારા પર જનાર મૌલાના સાથે, કે ન જુમ્આના  મસ્જિદના પેશ ઈમામ સા. સાથે કોઈ પણ જાતની અદાવત કે દુશ્મની નથી. બીજું જુમ્આ મસ્જિદમાં ૬ ઘડિયાળો છે અને જે ઘડિયાળથી પાંચ વખત અઝાન આપવામાં આવે છે અને પાંચ ટાઈમ જમાઅત ઉભી થાય છે તે ઘડિયાળમાં જોઈને મેં ટાઈમ લખ્યા છે. ત્રીજું મેં આ કાગળમાં લખ્યું છે કે મઝકૂર જુમ્આ મસ્જીદમાં રમઝાન શરીફનું ટાઈમ ટેબલ રહેવા દેતા નથી. ગાયબ કરી દેવામાં આવે છે. એ બિલ્કુલ સાચું છે. ટાઈમ ટેબલ પંદરમાં રોઝે કોઈએ લાવીને મુકયું. ત્રણ દિવસમાં ટાઈમ ટેબલની પાછળ લખાઈ ગયું કે આ ટાઈમ ટેબલ પર સહરીનું પાણી પીવાથી રોઝહમાં ખતરો છે. એનાથી જલ્દી પાણી પી લેવું અથવા એનાથી ૧૦ મિનિટ પહેલાં, આ ટાઈમ ટેબલ ત્રણ દિવસ બાદ ઉલટું ટાંગવામાં આવ્યું પછી ૬ દિવસ બાદ એ પણ ગાયબ. અહીં તડકેશ્વરમાં પહેલાં ઈફતારનો બેલ મારવામાં આવે છે પછી પાંચ – સાત મિનિટ બાદ મગરિબની અઝાન પઢવામાં આવે છે. મારી આ સાચી હકીકત છે જે ધ્યાનમાં લઈ શરીઅત મુજબ સચોટ દલીલો સાથે સવાલોના જવાબ આપશો.

સવાલ :– (૧) રોઝા ઈફતારના આગળ મસ્જીદના મિનારા પર ચઢી ગુરૂબે આફતાબ જોવું જાઈઝ અને ઝરૂરી છે અને તે ઉપર અમલ કરવો જાઈઝ અને ઝરૂરી છે ?

સવાલ :–(ર) અગર ગુરૂબે આફતાબ મિનારા પર ચઢી જોઈ ”દાએમી અહમદી તકવીમના ટાઈમ પહેલાં તેનો અમલ કરાવી ટાઈમ પહેલાં લોકોના રોઝહ કોઈ દિવસ એક મિનિટ કોઈ દિવસ બે મીનીટ કોઈ દિવસ ત્રણ મિનિટ પહેલાં ઈફતાર કરાવ્યા છે. તો શું તે રોઝહ સહીહ થયેલા ગણાય કે કેમ ?

સવાલ :– (૩) રોઝહ દાએમી અહમદી તકવીમના ટાઈમ પહેલાં ઈફતાર થઈ ચૂકયા તો તે રોઝહની કઝા કરવી પડશે કે રોઝહનો કફ્‌ફારો અદા કરવો પડશે ?

જવાબ :– (૧–ર–૩) કુરઆન મજીદ અને હદીસ શરીફમાં રોઝાનો શરૂ અને અંતિમ વખત તુલૂએ સુબ્હે સાદિક અને ગુરૂબે આફતાબને બતાવવામાં આવ્યો છે, અને આ તુલૂઅ અને ગુરૂબનો નિર્ણય હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ના વખતમાં તુલૂઅ અને ગુરૂબને આંખોથી જોઈને કરવામાં આવતો હતો. સુનને અબૂ દાવૂદ શરીફમાં હદીસ છે. કબીલએ બનૂ નજ્‌જારની એક સહાબિય્યહ ખાતૂન (રદિ.) કહે છે કે મારું ઘર મસ્જીદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ના અતરાફમાં બધાથી ઉંચા ઘરોમાંથી હતું. હઝરત બિલાલ (રદિ.) મારા ઘર પર ચઢીને અઝાન દેતા હતા, માટે તેઓ સહરી વખતે આવતા અને ઘરના (ધાબા) ઉપર બેસીને તુલૂએ ફજર જોતા રહેતા. જયારે સુબ્હે સાદિક જોઈ લેતા તો ઉભા થઈને અંગળાઈ લેતા પછી આ દુઆ કરતા કે હે અલ્લાહ! હું (ઈસ્લામી નેઅમત અને અઝાનની ખિદમત બદલ) તારા વખાણ કરું છું અને કુરૈશ ખાનદાન માટે તારાથી મદદ માગું છું કે તેઓ (મુસલમાન થઈને) દીન પર ચાલે અને પછી ફજરની અઝાન આપતા.             (બઝલ ર૯૮ભા.૧)

                આ હદીસથી માલૂમ પડયું કે ઈફતાર અને સહરીનો વખત નકકી કરવાનો સુન્નત તરીકો તો તૂલુએ સુબ્હ અને ગુરૂબે આફતાબને જાઈને નકકી કરવાનો છે. અને તે માટે કોઈ ઉંચી જગ્યાએ ચઢવું એ પણ હદીસથી સાબિત છે. માટે કોઈ એક અથવા અનેક માણસો ગુરૂબે આફતાબ જોવા મિનારા ઉપર ચઢે અને ગુરૂબ જોઈને ઈફતારનો વખત થવાની ખબર આપે અને તે મુજબ બેલ વગાડવામાં આવે અને બેલ સાંભળીને ઈફતાર કરવામાં આવે તો એ જાઈઝ છે. અને જયારે આફતાબ ગુરૂબ થતો સાફ દેખાતો હોય ત્યારે આ મુજબ ગુરૂબ જોઈને ટાઈમ ટેબલમાં લખેલા સમયથી પહેલાં રોઝો ઈફતાર કરવો એ વિના કરાહતે જાઈઝ છે અને રોઝહ સહીહ તોર પર ઈફતાર થયેલા ગણાશે. અને તે રોઝાઓની કઝા કે કફ્‌ફારો આપવાની કોઈ ઝરૂરત નથી અને ટાઈમ પહેલાં રોઝાઓ ઈફતાર થયાની શંકા ખોટી છે.

Log in or Register to save this content for later.