[૩ર૯] રોઝાદારના ગળામાં દવાના કણોનો છંટકાવ

Chapter : રોઝહ

(Page : 392-393)

સવાલ :– મારી ઉંમર ૬ર વર્ષની છે, હું દમનો દર્દી છું, છેલ્લા કેટલાક સમયથી દર છ કલાકે ગોળીઓ લેવી પડે છે, ગઈ સાલ રમઝાન માસમાં તકલીફ વધવાથી એલોપેથિક ડોકટરને બતાવ્યું હતું. તેમણે મોટો ડોઝ આપ્યો હતો અને અલ્લાહ તઆલાના ફઝલથી ફાયદો થવાથી પૂરા રોઝા રાખ્યા હતા, પરંતુ ડોકટરે સલાહ આપી હતી કે હવેથી મોટો ડોઝ લેવાથી નુકસાન થવાનો સંભવ છે. ત્યાર બાદ ડોકટરે ”ઈન્હીલર” લેવાનો અભિપ્રાય આપ્યો. ઈન્હીલર પંપ જેવું સાધન આવે છે, તેમાં દવાના એકદમ બારિક કણો (માઈક્રો સ્કોપિક) ભરવામાં આવે છે, તેનો એક છેડો મોઢામાં લઈ બીજા છેડા ઉપર દબાણ કરવાથી દવાના બારિક કણો શ્વાસ સાથે સીધા ફેફસામાં જાય છે, જેથી દમના હુમલામાં તાત્કાલિક રાહત થાય છે. દવાના કણો એટલા બારિક હોય છે કે દવા મોઢામાં લેતી વખતે દવા અંદર જવાની જરા પણ ખબર પડતી નથી અને બહાર રાખી પંપ દબાવવાથી ફકત હવા બહાર નીકળતી હોય એમ લાગે છે.

                મને અત્યારે પણ તકલીફ છે અને છ–છ કલાકે ઈન્હીલર લેવું પડે છે. આગળ રમઝાનુલ મુબારક આવે છે ત્યારે મારે રોઝા કેવી રીતે રાખવા તે એક સમસ્યા છે. શું રોઝા દરમિયાન ઈન્હીલર લઈ શકાય ?

જવાબ :– રોઝાની હાલતમાં પંપથી દવાના કણોનો ગળામાં છંટકાવ કરવો દુરસ્ત નથી, દમની બીમારીના ઉપચારના હેતુથી ગળામાં દવા પંપીગ કરવાથી રોઝો ફાસિદ થઈ જશે, ચાહે મઝકૂર ઉપચારમાં માત્ર હવા ગળામાં જવાનો જ ભાસ થતો હોય તો પણ રોઝો ફાસિદ થઈ જશે.

                જેવી રીતે બીડીના અથવા લોબાન વગેરેની ધુણીના ધુમાડા ઈરાદાપૂર્વક ગળામાં દાખલ કરવાથી અથવા રંગીન દોરો મોઢામાં દાખલ કરી રંગવાળુ થૂંક ગળી જવાથી હવા અને થૂંક સાથે ધુમાડાના અને રંગના માત્ર બારીક કણો જ ગળામાં દાખલ થાય છે અને તેનાથી રોઝો ફાસિદ થઈ જાય છે. તેવી જ રીતે મઝકૂર દવાના માત્ર બારિક કણોનો ગળામાં  છંટકાવ કરવાથી પણ રોઝો ફાસિદ થઈ જશે.        (શામી –ર/૯૧,૧૦૧)

                જો રોઝાની હાલતમાં મઝકૂર દવા ન લેવાથી બીમારીના લક્ષણો જોતાં અથવા જાત અનુભવથી કે બીજા કોઈ દમના દર્દીના અનુભવના કારણે અથવા કોઈ મુસ્લિમ દીનદાર ડોકટરના અભિપ્રાયના આધારે  એ વાતનો ખરેખર ભય હોય કે દમની બીમારી વધી જશે તો હાલ રોઝો ન રાખવો જાઈઝ છે અને પાછળથી સાનુકુળ મોસમમાં રોઝા કઝા કરવા વાજિબ છે અને જો કઝા રોઝા રાખી શકવાની આશા જ ન હોય તો ફિદયો આપવો વાજિબ છે.       (શામી–ર/૧૧૬)

                દમની બીમારીમાં હાનીકારક વસ્તુઓથી પરહેઝ કરી અને સાનુકુળ વાતાવરણમાં રહી મઝકૂર દવા વગર રોઝો રાખી શકાતો હોય તો તે માટે પ્રયાસ કરવો જોઈએ.

Log in or Register to save this content for later.