[૧૯૦] ઓફિસના કામોમાં ઝકાત વાપરવી

Chapter : ઝકાત

(Page : 226-229)

સવાલ :– નીચે જણાવેલા મસ્અલહ અંગે અમો આપનાથી મશ્વરો ચાહિએ છીએ.

               અમારી સંસ્થાનું નામ ઘી યુનાઈટેડ મુસ્લિમ એસોસીએશન છે. જે સરકારી કાયદા પ્રમાણે રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, તથા નોંધાયેલી સંસ્થા છે, આ સંસ્થામાં ર૧ ટ્રસ્ટીઓની જગ્યા છે, જે સમયે સમયે ચૂટણીં દ્રારા લેવામાં આવે છે, તથા આપસમાં મશ્વરો કરીને  જે તે લાયક માણસને ટ્રસ્ટી મંડળમાં સમાવવામાં આવે છે, સંસ્થાનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજને મદદરૂપ થવાનો તેમજ ગરીબો, યતીમો તથા હાજતમંદોને પણ તેમની જરૂરિયાત પ્રમાણે મદદરૂપ થવાનો છે.

    સંસ્થા નીચે મુજબના કામો પણ રેગ્યુલર પણે સેવા રૂપે કરે છે :

(૧) વર્ષમાં એકવાર મેડીકલ કેમ્પ યોજવામાં આવે છેે જે સર્વ કોમો માટે તથા ગરીબ કે તવંગરના ભેદ સિવાય દરેકને લાભ મળે છે, આવા કેમ્પમાં નામીગીરામી ડોકટરો આવે છે, ગરીબ લોકો જે મોટા ડોકટરો પાસે જઈ શકતા નથી તેઓને સંસ્થા મારફતે ટ્રીટમેન્ટ કરાવવા મદદ કરવામાં આવે છે, જયારે પૈસાદાર લોકો કેમ્પમાં બતાવ્યા પછી પોતાના ખર્ચે દવા કરે છે.

(ર) મુસલમાન બાળકો જે ભણવામાં હોશિયાર હોય છે, તેમને માટે એક જલ્સો રાખીને તેમનું બહુમાન કરવામાં આવે છે કે જેથી કોમના બાળકોને ભણતરમાં દિલ ચસ્પી થાય, આવા બાળકો પૈસાદાર તેમજ ગરીબ કુટુંબમાંથી પણ આવતા હોય છે, ઈનામ વિતરણ માટે આવો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. ઉપર જણાવેલાં કૌમી ખિદમતો ઉપરાંત પણ વ્યકિતગત કેશમાં જેવા કે બીમાર અથવા કે ઓપરેશનના કેશોમાં લોહીની જરૂરિયાત ઉભી થાય ત્યારે લોહી આપનારનો બંદોબસ્ત કરવો, હાજતમંદ વિદ્યાર્થી હોશિયાર હોય એના માટે ટયુશનની વ્યવસ્થા કરવી વગેરે..

               અમારી સંસ્થા સ્વેચ્છિક સંસ્થા છે જેમાં કામ કરનારા વેપારી તથા નોકરીયાતો પણ છે પરંતુ પોતે પોતાના સમયનો તથા પૈસાનો ભોગ પણ આપે છે.

   અમારો ફતવો પૂછવાનો મકસદ નીચે જણાવીએ છીએ.

(૧) સંસ્થા પાસે કોઈ ઓફિસ કે જગ્યા નથી કે જયાં બેસીને લોકોને મદદ કરી શકાય.

(ર) સંસ્થા પાસે કોઈપણ જાતનો ભંડોળ કે પૈસા નથી. જેથી સાહિબે માલ મુસલમાનો પાસેથી પૈસા ઉઘરાવવા પડે છે, જેમાં સૌથી વધારે રકમ ઝકાતની જ હોય છે. લિલ્લાહના પૈસા ઓછા આવે છે. સંસ્થાને મકાનની ખૂબ જ ઝરૂર છે. જેથી અમો કોઈ મૌકાની જગ્યાએ ઓફિસ ખોલવા માંગીએ છીએ. આ માટે પોતાની ઓફિસ ઝરૂરી છે જેના માટે પૈસાની ઝરૂર  છે.

               ઉપર લખ્યું છે તે મુજબ ઝકાતના પૈસા વધારે મળી શકે તેમ છે, તો શું ઝકાતના પૈસાથી ઓફિસ ખરીદી શકાય? ઝકાતના પૈસાથી ખરીદેલી ઓફિસમાં ટ્રસ્ટીઓથી બેસી શકાય. ટૂંકમાં ઝકાતના પૈસાથી ખરીદેલી ઓફિસ તથા ફર્નિચરોનો ઉપર જણાવેલ હેતુઓ માટે ઉપયોગ કરી શકે કે નહિ?

જવાબ :– આપની સંસ્થાના હેતુઓ અને સેવાની કામગીરી ખૂબ પ્રશંસા પાત્ર અને આવકાર દાયક છે સાથે આપ સહાયની અનેક પ્રકારની રકમોનો ઈસ્લામી તા’લીમ અને અહકામ મુજબ વ્યવસ્થા કરવાનો ઉત્સાહ રાખો છો. એ ઘણી મોટી ખુશી અને ખુદા તરફથી નિશ્વાર્થ સેવાની ભાવનાની બક્ષિશ ગણાય.

               ઝકાતના હકદાર ફકત પુખ્તવયના ગરીબ મુસ્લિમ મર્દ ઓરત અને ગરીબ મર્દની નાબાલિગ ગરીબ અવલાદ છે. શરઈ દ્રષ્ટિએ ગરીબ કેવા મુસલમાનને ગણવો. તે માટે દારૂલ ઉલૂમ માસિકમાં જાન્યુ–૯૮ના તાઝા અંકમાં ફતાવા વિભાગનું મેટર વાંચશો તો સારી રીતે સમજી શકાશે સાથે જ એ હકીકત ઝકાતની અદાયગીમાં અવશ્ય સામે રાખવી ઝરૂરી છે કે ઝકાતના જે હકદારો શરીઅતે નકકી કર્યા છે તેવા ઈસમોને માલિકી ધોરણે  સંપૂર્ણ કબઝો આપવાથી જ ઝકાત અદા થાય છે. જાહેર વાત છે કે ટ્રસ્ટની ઓફિસ અને તેનું ફર્નિચર એ ઝકાતની હકદાર કોઈ વ્યકિત નથી. જેને ઝકાતની રકમનું માલિક બનાવી શકાય, માટે ટ્રસ્ટની ઓફિસ ખરીદવામાં અથવા ટ્રસ્ટની ઓફિસનું ફર્નિચર ખરીદવામાં ઝકાતની રકમ વાપરવી જાઈઝ નથી અનેે આમ કરવાથી ઝકાત આપનાર ભાઈઓની ઝકાત અદા નહિ થાય. ઓફિસ અને ફર્નિચર માટે લિલ્લાહ રકમ ઝરૂરી છે માટે તે નામથી લિલ્લાહ રકમ જમા કરવી જોઈએ.                   (શામી – ર)

Log in or Register to save this content for later.