Chapter : ઝકાત
(Page : 225-226)
સવાલ :– ગોધરાથી છ કિ.મી.ના અંતરે એક નાનું ગામ પોપટપૂરા આવેલ છે, અહિંયા ૧૦૦ ટકા મુસલમાનોની આબાદી છે, પરંતુ ૯પ ટકા લોકો મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને અહિંયા આ ગામમાં મસ્જિદ મદ્રસા પણ ચાલે છે ત્રણ મુદર્રિસ પઢાવે છે. લગભગ ર૦૦ છોકરાઓ પઢે છે, આ ગામવાળાઓ તરફથી એક પણ પૈસાની આવક નથી. મદ્રસાની હાલત એ છે કે છોકરાઓ જે પઢવા આવે છે, તે એક ”અફઝલુલ કવાઈદ”નો એક રૂપિયો પણ લાવી શકતા નથી. લેવા માટે મોકલે છે તો આ છોકરાઓ પાછા પઢવા આવતા નથી, કેટલાક છોકરાઓ નિરાધાર છે કેટલાક છોકરાઓને કપડાં, સિપારાઓ દવા ગોળીઓ વગેરે મદ્રસાના ફંડમાંથી આપવામાં આવે છે, અહિંયા કોઈ પણ જાતની મુખાલફત નથી. ઘણા વખત પગારના પણ લોચા પડે છે એટલે ફંડ ન હોવાથી પગાર થતો નથી.
તો શું આ હાલાતમાં ઝકાતનો ફંડ ઉઘરાવીને ઈસ્તિઅમાલ કરી શકાય કે નહીં ? અગર ના વાપરી શકાય તો હીલો કરીને વાપરી શકાય કે નહિ ? કારણ કે નાના ગામડાઓમાં લિલ્લાહની રકમ ઓછી આપે છે અને ઝકાત વધારે મળે છે.
જવાબ :– શરઈ દ્રષ્ટિએ ગરીબ અને ઝકાતના હકદાર હોય એવા માણસોના ગરીબ નાબાલિગ બાળકોને ઝકાતની રકમ ઉઘરાવી તેમાંથી સિપારા, કપડાં, દવા વગેરે ઝરૂરતની વસ્તુઓ આપવી જાઈઝ છે. ઝકાતની રકમમાંથી મુદર્રિસોનો પગાર આપવો જાઈઝ નથી, પરંતુ મદ્રસા તરફથી બાળક દીઠ બધા વાલીઓ ઉપર માસિક અથવા વાર્ષિક એક ચોકકસ પ્રમાણમાં ફી નકકી કરવામાં આવે અને જે વાલીઓ ગરીબ, ઝકાતના હકદાર હોય તેઓને ફી ની રકમ ઝકાત ફંડમાંથી આપવામાં આવે અને તેઓ તે રકમ મદ્રસાની ફી તરીકે આપે તો જાઈઝ છે, મદ્રસાની ફી મુદર્રિસ વાલીઓ પાસેથી ઉઘરાવે અને ઝકાત ફંડમાંથી બીજા ઝિમ્મેદારો વાલીઓને વહેંચી દે, અથવા એથી ઉલટી ઝિમ્મેદારી રાખવામાં આવે કે મુદર્રિસ સાહેબ ફંડમાંથી વાલીઓને વહેંચી દે અને બીજા ઝિમ્મેદારો ફી ઉઘરાવે. માલદાર, શકિતશાળી માણસોના નાના બાળકોને ઝકાત ફંડમાંથી કોઈ વસ્તુ આપવી જાઈઝ નથી.
Log in or Register to save this content for later.