[૧૭૮] ઝકાતના હકદારની છણાવટ

Chapter : ઝકાત

(Page : 215-216-217-218)

સવાલ :– અમારી સંસ્થા હયુમન વેલફેર ફાઉન્ડેશન–ભરૂચ, મુસ્લિમ સમાજમાં લોકહિત લોકોપયોગી કાર્યો જેવા કે ગરીબ ઝરૂરતમંદ બાળકોને ભણાવવા પુસ્તકો, નોટબુકો, યુનિફોર્મનું કાપડ આપવું, ગરીબ વિધવા ઝરૂરતમંદ બાઈઓને સિવવાના સંચા આપવા, ગરીબ ઝરૂરતમંદ છોકરીઓને શાદી પ્રસંગે વાસણો આપવા, તબીબી ક્ષેત્રે મેડીકલ કેમ્પનું આયોજન કરી સાર્વજનિક કેમ્પ ગોઠવવા (જેમાં હિન્દુ – મુસ્લિમ દરેક કોમના દર્દીઓ મફત નિદાન તથા દવા લેવાનો લાભ લઈ શકે છે) હોસ્પિટલમાં દાખલ થયેલ ગરીબ ઝરૂરતમંદ દર્દીઓને સહાય આપવી, ફેકચર વગેરે વખતે મદદ કરવી (લાકડાની ઘોડી આપવી), કુદરતી આપત્તિ, રેલ, ધરતીકંપ વગેરે વખતે મદદ કરવી, છાપરું બાંધી આપવું, નાની મોટી ઘરને ઉપયોગી સાધન સામગ્રી આપવી, હુલ્લડ, તોફાન વખતે મદદ પહોંચાડવી વગેરે સામાજિક ઉત્થાનની કાર્યપ્રવૃતિઓ કરે છે. સાથે સાથે કોમના બાળકોને શેક્ષણિક પ્રવૃતિમાં આગળ ધપાવવા, હોંસલા અફઝાઈ કરવા સ્કોલરશીપ તથા ઈનામ વિતરણ કરવી, શાળા તથા શાળા બહારની પરીક્ષાઓમાં બેસવા માટે પરીક્ષા ફી આપવી અને સારા માર્કસે પાસ થવા બાદ ઈનામ આપી એમની કદરદાની કરવી. આ પ્રમાણેની પ્રવૃતિઓ કરે છે, હવે આ બધા ખર્ચને પહોંચી વળવા માટે હમારી સંસ્થાના ૯૦ જેટલા મેમ્બરો પાસેથી સભ્ય ફી તરીકે રૂપિયા ર૦ માસિક લિલ્લાહ તરીકે ઉઘરાવવામાં આવે છે. પરંતુ એનાથી થતી આવક ખૂબ જ મર્યાદિત હોય ભંડોળ નાનું પડે છે, તેથી અમો રમઝાન માસ દરમિયાન તથા તે સિવાયના સમયમાં પણ દાન તરીકે ઝકાતની રકમ અને અમૂક અંશે વ્યાજની રકમ પણ મેળવીએ છીએ. તો આવી પ્રવૃતિઓ માટે ઝકાતની રકમ વાપરી શકાય કે નહિ? જો (હાં કે ના) ના વાપરી શકાતી હોય તો એ ઝકાતની રકમનો ઈસ્તિમાલ કરવા શું મસ્અલો છે ? અમારી પાસે દાન તરીકે આવેલ ઝકાતની રકમનો ઉપયોગ કેવી રીતે કરવો, એના માટે શું કાર્યવાહી કરવી પડે ? એનો ઉપાય શું છે ? એવી જ રીતે વ્યાજની રકમ માટે શું હુકમ છે ? સંસ્થા અગાઉના વર્ષોમાં હયુમન વેલફેર સેન્ટરના નામથી ચાલતી હતી, પાછળથી રજિસ્ટ્રેશન વખતે નામ બદલીને હયુમન વેલફેર ફાઉન્ડેશન કરવામાં આવેલ છે, આપ સાહેબ ઝકાત અને વ્યાજની રકમના ઉપયોગ તથા ઉઘરાવેલી રકમના ઉપાય બાબતે કુર્આન અને હદીષની રોશનીમાં ખુલાસારૂપી જવાબ આપવા મહેરબાની કરશો.

જવાબ :– હયુમન વેલફેર ફાઉન્ડેશને ઝકાત સદકએ ફિત્ર, સદકએ મન્નત અને વ્યાજની રકમ ભેગી કરી તેને વાપરવા માટે આ નિયમનું પાલન કરવું ઝરૂરી છે કે મઝકૂર પ્રકારની રકમો અથવા તે રકમોથી ખરીદેલી ચીઝ વસ્તુઓ પુખ્તવયના (બાલિગ) ગરીબ મુસલમાન સ્ત્રી પુરૂષને અથવા ગરીબ મુસમલાન પુરૂષની નાબાલિગ ગરીબ અવલાદને (છોકરા – છોકરીને) વ્યકિતગત રીતે માલિકી ધોરણે આપવી ઝરૂરી છે. આ પ્રમાણે મુસલમાન ગરીબને માલિક બનાવી આપવામાં આવશે તો જ ઝકાત, સદકએ ફિત્ર અને સદકએ મન્નત અદા થશે અને વ્યાજની રકમ યોગ્ય જગ્યાએ વાપરેલી ગણાશે. ગૈર મુસ્લિમને આ પ્રકારની રકમો અથવા તેનાથી ખરીદેલી ચીઝ વસ્તુઓ આપવાથી ઝકાત આપનારની ઝકાત, સદકએ ફિત્ર વગેરે અદા નહિ થાય અને સૈયદ સ્ત્રી–પુરૂષ અને બાળકને આ પ્રકારની રકમો અને વસ્તુઓ આપવી જાઇઝ નથી. એવી જ રીતે માલદાર મુસલમાન સ્ત્રી પુરૂષને અને માલદાર પુરૂષની નાબાલિગ અવલાદને આ પ્રકારની રકમો અને વસ્તુઓ આપવી જાઈઝ નથી.

               રહી વાત આ કે ગરીબ કોને કહેવાય? તો જે મુસલમાન પાસે કમથી કમ સાડા સાત તૌલા સોનું હોય અથવા કમથીકમ સાડા બાવન તૌલા ચાંદી હોય અથવા કમથીકમ બન્ને થોડુ થોડુ મેળીને સાડા બાવન તૌલા ચાંદીની કિંમત બરાબર હોય અથવા કમથીકમ સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર વેપારનો માલ હોય, અથવા સોનું, ચાંદી અને વેપારનો માલ મળીને સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર હોય અથવા તેમાંથી કોઈ બે વસ્તુ મળીને સાડા બાવન તોલા ચાંદીની કિંમત બરાબર હોય અથવા ઝરૂરતથી વધારે કોઈ પણ ચીઝ વસ્તુ – માલ મિલ્કત સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર હોય, અને ઉકત સૂરતોમાંથી દરેક સૂરતમાં તે મુસલમાનના શિરે એટલું કર્ઝ ન હોય કે તે બાદ કરતાં ઉપર પ્રમાણે આર્થિક સ્થિતી બાકી ન રહે તો તે મુસલમાન માલદાર ગણાશે અને જો તેની આર્થિક સ્થિતિ ઉપર મુજબ માલદારીની સૂરતોમાંથી કોઈપણ સૂરત મુજબ ન હોય તો તે મુસલમાન શરઈ દ્રષ્ટિએ ગરીબ ગણાશે અને તેવા ગરીબ માણસને તમો ઉપર લખેલી રકમો અને વસ્તુઓ આપી શકો છો. હવે તમો એ રિપોર્ટમાં ફાઉન્ડેશનમાં જમા થયેલી વાજિબ સદકાઓની રકમ વાપરવાની જે વિગત લખી છે  તેના ઉપર વિગતથી જણાવેલા ઝકાત અદા કરવાના નિયમ મુજબ ચકાસી લેશો તો જણાશે કે આવી રકમો કયાં ખર્ચ કરવી જાઈઝ અને યોગ્ય છે અને કયાં ખર્ચ કરવી યોગ્ય નથી.         (શામી–ર)

Log in or Register to save this content for later.