[ર૯૯] ચાંદના એલાનનું હેંડબિલ મળ્યા પછી ગવાહી પ્રાપ્ત કરવી ઝરૂરી નથી

Chapter : રોઝહ

(Page : 362-364)

સવાલ :–  (૧) ચાલુ સાલે બકરી ઈદના ચાંદ વિષે જે હેંડબિલો દારૂલ ઉલૂમ કંથારીયાથી દરેક જગ્યાએ રવાના થયા હતા તેના જ આધારે જે લોકોએ ઈદ તેમજ કુરબાની કરી તેનો શરઈ હુકમ શું છે ? શું હેંડબિલો બહાર પાડવા  પછી પણ હેંડબિલમાં મઝકૂર ગવાહો પાસે જઈ ગવાહી લેવી ઝરૂરી હતી કે નહિ ?

જવાબઃ– (૧) જે ગામના લોકો દારૂલ ઉલૂમ કંથારીયાના દારૂલ ઈફતા તરફથી થતા ફેસલાને માન્ય રાખતા હોય અને પોતાના સ્થળ પર ચાંદ ન દેખાય ત્યારે મોટે ભાગે મઝકૂર દારૂલ ઉલૂમથી સંપર્ક કાયમ કરતા હોય તેવા ગામના લોકો મઝકૂર હેંડબિલના આધારે કે જેમાં  ફેસલાનું લખાણ લખનારની સહી અને દારૂલ ઈફતાના સિક્કા સાથે હોય છે, તો પોતાના ગામમાં રમઝાન ઈદ કરી શકે છે, જેમકે ફિકહની અરબી કિતાબોમાં શહેરની તોપોના અવાઝ અને મિનારાઓની રોશની જોઈ  જે તે શહેરના તાબાના ગામવાળાઓ માટે રોઝા અને ઈદ બાબત અમલને ઝરૂરી લખવામાં આવ્યો છે.

( શામી :ર/ ૯૧, હાશિયએ બહરઃ ર/ ર૭૦)

               એ જ પ્રમાણે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને ખુલફાએ રાશિદીન (રદિ.) ના મુબારક સમયમાં ઈસ્લામી હુકૂમતના જુદાજુદા વિભાગોમાં ગવર્નરો અને મુસ્લિમ કાઝીઓના નામે કાગળો લખી શરઈ હુકમોની ખબર આપવામાં આવતી હતી અને તે કાગળોની ખબર મુજબ અમલ ઝરૂરી સમજવામાં આવતો  હતો.

               માટે ચાંદ કમિટીના ઉપરની વ્યાખ્યા મુજબના એરિયાના ગામોના લોકો માટે બે શરતો સાથે મઝકૂર હેંડબિલના આધારે રમઝાન કે ઈદ મનાવવી દુરસ્ત છે અને  તે માટે હેંડબિલ પૂરતું છે, હેંડબિલના દર્શાવેલ ગવાહો પાસે જઈ ગવાહી લેવી ઝરૂરી નથી, કારણ કે એવા ગામો માટે મરકઝના ફેસલાની વિશ્વાસ પાત્ર ખબર કે એલાન કાફી છે. ગવાહીની ઝરૂરત રહેતી નથી.

પહેલી શર્ત :–  ગામના  મુખ્ય આલિમ અને દીનદાર આગેવાનો લખનારના લખાણને ઓળખી લે અને તેઓને એ વાતનો સંતોષ અને વિશ્વાસ પ્રાપ્ત થઈ જાય કે આ લખાણ નીચે  સહી કરનારનું જ છે.

બીજી શર્ત :–  કાગળ લખનાર વિશ્વાસપાત્ર અને શરઈ દ્રષ્ટિએ દીનદાર હોય.

                હા, જે ગામ ચાંદના ફેસલા બાબત મઝકૂર મરકઝ સાથે સંકળાયેલું નથી અને તે ગામમાં કોઈ એક એવા આલિમ છે કે લોકો તેમને દીની કઝિયાઓમાં હકમ અને ફેસલ માને છે તો આવા ગામમાં ફકત હેંડબિલના આધારે ઈદ મનાવવામાં ન આવે, કારણ કે હઝરત મુફતી મુહમ્મદ શફીઅ સાહબ(રહ.)ના લખવા મુજબ એહતિયાતની રૂએ એવા સ્થળે પણ ઈદ માટે ગવાહી ઝરૂરી છે અને જો એવા આલિમને શરઈ કાઝીના કાઈમ મકામ ન માનીએ તો પણ ઈદ માટે આ પ્રમાણેના ગામમાં બે મોઅતબર દીનદાર (આદિલ) વ્યકિતઓનું રૂબરૂ આવીને ખબર આપવું ઝરૂરી છે, ચાહે ગવાહીના શબ્દો અને ફેસલાની ઝરૂરત ન પણ માનવામાં આવે.

(રિસાલા કશ્ફુઝઝુનૂન / દુ. મુખ્તાર, શામી : ૯૧ ભા.ર)

                બાકી ચાલુ સાલે બીજા પ્રકારના ગામોમાં ( કે જે દારૂલ  ઉલૂમ સાથે ચાંદના ફેસલા બાબત સંકળાયેલા નથી) જે લોકોએ ફકત હેંડબિલના આધારે ઈદની નમાઝ અને કુરબાની કરી છે અને ત્યાં પાછળથી ઉપર મુજબ બે મોઅતબર વ્યકિતઓની ગવાહી અથવા ખબર આવી ગઈ છે તો ઈદની નમાજ અને કુરબાની અદા થયેલી ગણાશે, જેમકે અજાણે ફજરના વખતમાં તહજ્જુદની નમાઝ પઢવાથી સુન્નતે ફજર અદા થઈ જવાના મસ્અલાથી અને નીચેના હવાલાઓથી માલૂમ પડે છે. (શામી રપ૧ ભા. ૧ / આલમગીરી ર૯પ ભા. પ,  શામી ર૦૩ ભાગ. પ)

નોટ :– દારૂલ ઉલૂમ કંથારીઆના દારૂલ ઈફતા તરફથી રવાના કરવામાં આવતા હેંડબિલો બાબત એ વાત ખાસ યાદ રાખવી ઝરૂરી છે કે મઝકૂર મરકઝ સાથે ચાંદના ફેસલા બાબત સંપર્ક ધરાવતા ગામો માટે તો એની હેસિયત એલાનરૂપી જાણ કરવાની છે, અને અન્ય ગામો માટે ફકત એક વિશ્વાસપાત્ર ખબર આપવાની હોય છે કે જેથી અન્ય ગામોના લોકો પણ શરઈ સબૂત મેળવી પોતાને ત્યાં ફેસલો કરી શકે.(૧૭ મુહર્રમ ૧૪૦૩ હિ.સ.)

Log in or Register to save this content for later.