[ર૭૭] એક કમિટીનો ફેસલો બીજી કમિટી માટે

Chapter : ઝકાત

(Page : 336-338)

સવાલ :– એક ચાંદ કમિટીનો ફેસલો બીજી કમિટી માટે કઈ કઈ શર્તો સાથે માન્ય રાખી શકાય અને બીજી કમિટીએ તેનું એલાન કયા શબ્દોમાં કરવું ?

જવાબઃ– એક સૂરત એ છે કે પહેલી ચાંદ કમિટીની ગવાહી લેવાની અને તેની સામે ગવાહોની ગવાહી રજુ કરવાની અને કમિટીનો ફેસલો કરવાની કાર્યવાહી વખતે જે વ્યકિતઓ ત્યાં હાજર હતી તે બધી કાર્યવાહી સાંભળનાર માણસોમાંથી કમ થી કમ બે દીનદાર (આદિલ) પુરૂષ વ્યકિતઓ બીજી ચાંદ કમિટી સામે આવીને ગવાહી આપે કે ફલાણી ચાંદ કમિટી જેના સભ્યો ફલાણા ………………. છે તેઓની સામે ફલાણા સમયે અમારી મવજૂદગીમાં ચાંદ જોનાર ગવાહોની ગવાહી રજુ થઈ અને તે ચાંદ કમિટીના પ્રમુખે અમારી મવજૂદગીમાં ચાંદ ઓગણત્રીસા થવાનો ફેસલો કર્યો અને ફલાણા મહિનાની પહેલી તારીખ ફલાણા દિવસે હોવાની જાહેરાત કરી, તો આ સૂરતમા જેને શહાદત અલલ્‌ કઝા કહેવાય છે. બીજી ચાંદ કમિટીને ફેસલાના ગવાહોની ગવાહી મોઅતબર લાગે તો પોતાને  ત્યાં પણ ફેસલો કરવો જોઈએ.                                        (દુર્રે મુખ્તાર શામીઃર/ ૯૪)

               આ સૂરતમાં બીજી ચાંદ કમિટી ફકત મોઅતબર ગવાહીના મુખ્તસર શબ્દો લખી કે સંભળાવી અને ચાહે તો શહાદત અલલ્‌ કઝાની વિગત દર્શાવી પોતાના ફેસલાની જાહેરાત જવાબ નં–૩ મુજબ કરી શકે છે.

               બીજી સૂરત એ છે કે પહેલી ચાંદ કમિટીના પ્રમુખ બીજી ચાંદ કમિટીના પ્રમુખનું પુરું નામ લખી તેઓને સંબોધીને કાગળ લખે અને તે કાગળમાં પોતાની સામે રજુ થયેલી ગવાહી વિગત સાથે (એટલે કે ગવાહોના પૂરા નામ તેઓનું દીનદાર, વિશ્વાસ પાત્ર હોવું અને તેમણે આપેલી ગવાહી તારીખ, વાર, સમય અને ગવાહીના પ્રકાર સાથે કે શહાદત અલર્રૂયત / શહાદત અલશ્શહાદત / શહાદત અલલ્‌ કઝા) લખી આપે અને તે લખાણ બીજી જગ્યાએથી લખાણ લેવા આવેલા અથવા સ્થળ પરથી જનાર કમથી કમ બે દીનદાર વિશ્વાસપાત્ર પુરૂષો સમક્ષ લખી, તેઓને વાંચી સંભળાવી દેવામાં આવે અને નીચે પ્રમુખ સાહેબ પોતાનું પૂરું નામ લખી આપે પછી એક પરબિડયામાં મૂકી બંધ કરી દે, તેના ઉપર કમિટીનો કે પોતાનો સિકકો લગાવી તેઓને હવાલે કરે. તે પરબિડયુ લઈ જનાર વ્યકિતઓ બીજી ચાંદ કમિટી કે ચાંદના ફેસલાના ઝિમ્મેદાર આલિમ કે મુફતી સમક્ષ આ પ્રમાણે ગવાહી આપી પરબિડયુ રજુ કરે કે આ પરબિડયામાંનો કાગળ ફલાણી ચાંદ કમિટીના પ્રમુખ ફલાણા સા. (પ્રમુખનું પુરું નામ) નો છે તેઓએ આ કાગળ અમારી સામે લખીને અમોને વાંચી સંભળાવ્યો છે (બની શકે તો મઝમૂને મકતૂબ પણ બયાન કરે) કે તેમાં આ (ગવાહીની વિગતનું લખાણ નકલ કરી કહે કે) વાત લખી છે અને સિકકો લગાડી અમોને આપ્યો છે. બીજી ચાંદ કમિટી તે પત્ર ખોલીને વાંચે અને ફેસલા લાયક માલમ પડે તો ફેસલો કરે.

               ત્રીજી સૂરત એ છે કે ઉપર બીજી સૂરત મુજબ ગવાહી લખી પોતાનો ફેંસલો પણ લખે કે આ મોઅતબર ગવાહીના આધારે મેં ફલાણી તારીખે, ફલાણા દિવસે પહેલો ચાંદ હોવાનો ફેસલો કર્યો છે. બાકી લખાણની વિગત અને કાગળ બીજી ચાંદ કમિટી સમક્ષ રજુ કરવાની વિગત ઉપર મુજબ જ રહેશે અને આ સૂરતમાં બીજી ચાંદ કમિટીએ આ કાગળના હવાલાથી ફેસલો કરી જાહેરાત કરી આપવી જોઈએ.  (હિદાયહ આખિરૈન / દુઃ મુખ્તાર શામી ભા.૪ બદાઈઅ ભા.૭)

નોટઃ–

               (૧) બન્નેવ ચાંદ કમિટીઓ વચ્ચે એટલું અંતર ન હોય કે મતલઅના ઈખ્તિલાફને કારણે તારીખનો ફરક પડી જાય એ વાતનો ખ્યાલ રાખવો  શર્ત છે.

               (ર) મતલઅના સાફ હોવા ન હોવા બાબત જે આબાદીના લોકોએ ચાંદ જોયો છે, ત્યાંના મતલઅનો એઅતિબાર કરવામાં આવશે અને  ઉપરની ત્રણેય સૂરતોમાં એ વિષેની તહકીક પહેલી ચાંદ કમિટીએ કરવાની રહેશે અને રમઝાન તથા ઈદૈનમાં મતલઅના સાફ હોવા ન હોવાની સૂરતમાં જે પ્રમાણેની ખબર કે ગવાહીની ઝરૂરત છે તે પ્રમાણેની ગવાહી હશે તો જ પહેલી ચાંદ કમિટીનો ફેસલો દુરસ્ત ગણાશે.

               (૩) જે આબાદીમાં ચાંદ જોવાયો ત્યાં મતલઅ સાફ ન હોય તો રમઝાનના ચાંદના ફેસલા માટે ચાંદ કમિટી સામે ગવાહી આપવી ઝરૂરી નથી, બલ્કે તે આબાદીની કોઈ એક શરઈ દ્રષ્ટિએ દીનદાર વિશ્વાસપાત્ર વ્યકિતની પોતે આવી ચાંદ જોવાની ખબર આપવી કે ખબરના બીજા શરીઅત માન્ય સાધનો દ્વારા શર્તો મુજબની ખબર આપવી પણ પૂરતી છે.

Log in or Register to save this content for later.