Chapter : ઝકાત
(Page : 325-330)
સવાલઃ – જયારે આપણા દેશના ભાગલા પડયા ન હતા તે વખતે આખો દેશ હિન્દુસ્તાન કહેવામાં આવતો હતો, પરંતુ ૧૯૪૮ માં ભાગલા પડયા એટલે અલગ દેશ ગણાયો અને આપણા દેશમાં કોઈ એવી ચાંદ કમિટી નથી કે જે દૂરબીન કે એર લઈને પણ ચાંદ જોઈ મોઅતબર ગવાહી આપી શકે કે જેથી ચાંદ અંગે જાહેરાત થાય, પરંતુ પાકિસ્તાન ઈસ્લામી દેશ છે અને ત્યાં શરીઅતની રૂએ ચાંદ કમિટી છે અને હેલીકોપ્ટર અને દૂરબીનથી બધા ઉલમાએ કિરામ જોવા જાય છે અને ત્યાર પછી ત્યાંની હિલાલ કમિટીના ચેરમેન સાહેબ બધા જ ઉલમાઓની ગવાહી લઈને ચાંદની જાહેરાત કરે છે. તે પ્રમાણે એમને ર૯મો ચાંદ શાબાન નકકી કરી રમઝાનના પૂરા ર૯ રોઝા રખાવી રમઝાનનો ચાંદ પણ ર૯ નકકી કરી ”ઈદ” જુમેઅરાતે મનાવી. જયારે આપણા દેશમાં પણ ર૯ મો ચાંદ શાબાનનો નકકી થયો અને રોઝા પૂરા ૩૦ કરાવ્યા અને કઝા રોઝો રાખવો એવું એલાન કરાવ્યું, તો શું ચાંદ વિષે ૧પ દિવસે જાહેરાત થઈ, હવે ભારતમાં કેટલીક જગ્યાએ રમઝાનનો ચાંદ જોયો અને કેટલીક જગ્યાએ પાકિસ્તાન જેવી જુમેરાતની ઈદ મનાવી અને સહારનપૂરની ખબર છે કે ત્યાં પણ જુમેરાતની ઈદ થઈ છે. તો શું તમારા ખુલાસાથી પૂરા ૩૦ રોઝા રાખવા? અને આમ તો ઈદના દિવસે આપણે રોઝો રાખ્યો એ હિસાબે અમારા રોઝા ર૯ થયા છે. તો હવે અમારે કયા હિસાબે કઝા રોઝો રાખવો તે શરીઅતની રૂએ જવાબ આપશો અને શરીઅતથી સાબિત છે કે ઈદના દિવસે રોઝો રાખવો હરામ છે તો અમારે શું કરવું તેનો ખુલાસો કરશો. ર૯ રોઝા સાચા છે કે ૩૦ રોઝા, વિગતવાર જવાબ આપશો.
જવાબ :– પ્રથમ એક બુનિયાદી વાત સમજી લેવી જોઈએ કે આપણે જે સ્થળે રહેતા હોય ત્યાં ચાંદ ન જોવાય અને બીજા સ્થળે ચાંદ જોવાય, ચાહે તે બીજું સ્થળ આપણા દેશમાં હોય કે બીજા પાડોશી ઈસ્લામી દેશમાં, જેમકે પાકિસ્તાાન. તો બીજા સ્થળ પર મોઅતબર માણસોના ચાંદ જોવાથી રમઝાનની પહેલી તારીખ કે ઈદ પહેલા સ્થળે સાબિત થઈ શકે છે જયારે કે બન્નેવ સ્થળો દરમિયાન એટલું અંતર ન હોય કે બીજા સ્થળનો ચાંદ પહેલા સ્થળે મોઅતબર માનવાથી મહિનો અઠઠાવીસ (ર૮) કે એકત્રીસ (૩૧) દિવસનો થઈ જાય. (અલ બદાઈ ૮૩/ર)
બીજી વાત એ યાદ રાખવી જોઈએ કે એક સ્થળ પર ચાંદનું દેખાવું બીજા સ્થળવાળાઓ માટે ત્યારે માન્ય રાખવું જાઈઝ છે જયારે કે પહેલા સ્થળ પર ચાંદ થવાના ફેંસલાની જાણ બીજા સ્થળ પર તે પધ્ધતિ અને નિયમો મુજબ હોય જે ફિકહની કિતાબો અને પુસ્તિકાઓમાં લખવામાં આવી છે. (અલ્ બહરૂર્રાઈક–ર, દુર્રે મુખ્તાર શામી–ર/૯૬)
જયાં સુધી પહેલા સ્થળ પર ચાંદ થવાની જાણ બીજા સ્થળે શરીઅત માન્ય પધ્ધતિ અને કાયદાઓ મુજબ ન થાય ત્યાં સુધી પહેલા સ્થળની તારીખ અને ઈદનો એઅતેબાર બીજા સ્થળે કરવામાં નહિ આવે, બીજા સ્થળવાળાઓ માટે રમઝાન તથા ઈદ તેઓની સ્થાનિક તારીખ પ્રમાણે જ કરવામાં આવશે. હવે પાકિસ્તાન રેડિયોની જાહેરાતને જોઈએ કે તેને શરઈ પધ્ધતિ મુજબની જાણ ગણવામાં આવે છે કે નહિ? તો એ બાબત જાણવું જોઈએ કે પાકિસ્તાનના રેડિયોની ખબર હિંદુસ્તાની મુસલમાનો માટે જે શરતોથી રમઝાનના ચાંદ માટે માન્ય ગણી શકાય છે તે શરતોનો અભાવ હોવાથી આપણે માન્ય રાખી શકતા નથી. હા, પાકિસ્તાની ચાંદ કમિટીના ફેસલાની જાણ આપણે ત્યાં અન્ય સાધનો દ્વારા શરઈ પધ્ધતિસર હોય તો વિના શંકે આપણે માન્ય રાખી શકીએ. (રૂયતે હિલાલ – પ૧, હઝરત મુફતી મુ.શફીઅ સા. રહ.) (નિઝામુલ ફતાવા – ર૭) પરંતુ બીજી કોઈ શરઈ રીતથી પાકિસ્તાનની ચાંદ કમિટીના ફેંસલાની આપણને જાણ થતી નથી, અને ઈદના ચાંદમાં તો પાકિસ્તાન રેડિયોની જાહેરાતની જાણ શરઈ શરતો મુજબ આપણને થાય તો પણ અપૂરતી છે.
પાકિસ્તાનના આલિમો એર કે હેલીકોપ્ટર લઈ ચાંદ જોવા જાય છે એ ગલત વાત છે. ઐયુબ ખાન મર્હૂમના સમયમાં એવી ઘટનાઓ બની હતી, પણ તેમાં ગળબળ પૈદા થતા બંધ કરવામાં આવ્યું છે અને એ હવાઈ જહાઝ દ્વારા ચાંદ જોવાની કોઈ ફઝીલત પણ નથી, બલ્કે અમૂક સૂરતોમાં તો તેને માન્ય પણ નહિ ગણવામાં આવે.
(રૂયતે હિલાલ કે મસાઈલ– ૧૦પ મૌલાના મુહમ્મદમીયાં રહ.)
સહારનપૂર કે બીજા કોઈ ઠેકાણે ફલાણા દિવસે ઈદ થઈ છે એવી ખબરનો પણ કોઈ એઅતેબાર નથી. હવે રહી વાત એ કે બીજી જગ્યાઓએ તો જુમેરાતને ઈદનો દિવસ માનવામાં આવ્યો અને ઈદ મનાવવામાં આવી અને આપણે ત્યાં તો તે દિવસે રોઝો રાખવામાં આવ્યો તો આપણને ઈદના દિવસે રોઝો રાખવાનો ગુનોહ લાગુ પડશે કે નહિ? તો ઉપરની વિગતથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે જયારે આપણે ત્યાં શરઈ પધ્ધતિસર ઈદના ચાંદની જાણ ન થવાથી આપણી સ્થાનિક તારીખથી જ હિસાબ કરવામાં આવશે અને તે મુજબ જ રોઝા કે ઈદમાં અમલ કરવામાં આવશે, ચાહે ત્યાં જુમેરાતે ઈદનો દિવસ સાબિત થયો હોય, પણ આપણે ત્યાં આપણા માટે તે દિવસ ૩૦ રમઝાનનો જ ગણવામાં આવશે અને ઈદના દિવસે રોઝો રાખવાનો ગુનોહ લાગુ નહિ પડે અને ન એવી શંકા કરવાને સ્થાન છે કે આપણે તો ઈદના દિવસની બરકતો અને ફઝીલતોથી વંચિત રહી ગયા અને ઈદના દિવસે હરામ કામ કર્યું, બલ્કે શરીઅતના હુકમોને પાબંદ રહી જે દિવસે ઈદ મનાવીશું આપણને ઈદની બરકતો અલ્લાહ તઆલા તે જ દિવસે અતા ફરમાવશે અને ઈદના દિવસે રોઝો રાખવાનો ગુનોહ લાગુ નહિ પડે અને બધા જ મુસલમાનો માટે ઈદનો એક જ દિવસ અને સમય હોય તે ખગોળ શાસ્ત્રમાં બતાવેલ નિયમો અને આપણા વર્ષોના અનુભવ મુજબ વાસ્તવમાં શકય પણ નથી. સહાબાએ કિરામ (રદિ.)ના મુબારક અને સોનેરી યુગમાં પણ વિવિધ સ્થળો અને શહેરોમાં અલગ અલગ દિવસે રમઝાન શરૂ થવાના અને ઈદ મનાવવાના વાકિઆત હદીસની કિતાબોમાં મવજૂદ છે.
એક વખતે હઝ. કુરૈબ (રદિ.) મદીનાથી સફર કરી શામમાં હઝરત મુઆવિયહ (રદિ.) પાસે ગયા, ત્યાં તેઓએ જુમ્અહની સાંજે ચાંદ જોયો અને ત્યાંના બીજા લોકોએ પણ જોયો અને તે મુજબ શનિવારના પહેલો રોઝો રાખવામાં આવ્યો, જયારે રમઝાન માસના છેવટના દિવસોમાં મદીનહ પાછા ફર્યા તો ત્યાં શનિવારની સાંજના ચાંદ જોવાયો હતો. જુમ્અહના જોવાયો ન હતો. હઝ. અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)એ હઝ. કુરૈબ (રદિ.)થી ચાંદ બાબત પૂછપરછ પણ કરી, પરંતુ તેઓની ખબરને શરઈ પધ્ધતિ મુજબ ન હોવાના લઈ માન્ય ન રાખી અને પોતાના સ્થળની તારીખ જ રાબેતા મુજબ ચાલુ રાખી તેજ પ્રમાણે રમઝાન પૂરી કરવામાં આવી અને ઈદ મનાવવામાં આવી.
(મુસ્લિમ શરીફ – ૧/૩૪૮)(રૂયતે હિલાલ કે મસાઈલ–૮પ)
હઝ. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરમાવે છે કે ”અલ ફિતરુ યવ્મ તુફતિરૂન…… અર્થાતઃ ઈદુલ ફિત્ર તે દિવસે છે કે જે દિવસે તમો (શરઈ સુબૂત મુજબ ચાંદ થવાથી) ઈફતાર કરી (ઈદ મનાવો) અને ઈદુલ અદહા તે દિવસે થશે જે દિવસે તમો કુર્બાનીઓ કરો. (તિરમીઝી શરીફ)
ઉપરોકત હદીસથી સાબિત થયું કે આપણે તે દિવસે રોઝા રાખવાના અને ઈદ મનાવવાના પાબંદ છે જે દિવસે અમારે ત્યાં શરઈ સુબૂતથી ચાંદ થઈ જાય, બીજા સ્થળોના લોકોએ કયારે રોઝા રાખ્યા કે ઈદ મનાવી તેના આપણે પાબંદ નથી અને તે લોકોના આગળ પાછળ અદા કરવાથી આપણા રોઝા કે ઈદ પર કોઈ અસર કે નુકસાન થશે નહિ, હાં, શરીઅત માન્ય સાધનો દ્વારા આપણને જાણ થાય તે બાબત જુદી છે જેની વિગત ઉપર લખી આપી છે.
અને આ પ્રમાણે પણ શંકા ન કરવામાં આવે કે ચાંદ તો બીજાઓની રૂયત મુજબ આસમાન ઉપર ઉગેલો જ હતો તો રમઝાન કે ઈદ હકીકતમાં તે જ દિવસે હોવા જોઈએ જે દિવસે કે આસમાન પર ચાંદ ઉગેલો હતો ચાહે અમો વાદળ હોવાના લઈને ચાંદ ન જોઈ શકયા અને ન શરીઅતના નિયમો મુજબ અમોને જાણ થઈ, કારણ કે હઝ. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની હદીસોથી એ વાત સ્પષ્ટ છે કે રમઝાનનો કે ઈદનો સુબૂત ચાંદના આસમાન પર હોવાથી કે ઉગવાથી નથી થતો, બલ્કે તેને જોવાથી અથવા શરઈ પધ્ધતિ મુજબ જાણ થવાથી થાય છે. બુખારી શરીફ અને મુસ્લીમ શરીફની હદીસમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરમાવે છે કે જયાં સુધી ચાંદ ન જુવો ત્યાં સુધી રોઝો (રમઝાનનો) ન રાખો અને જયાં સુધી ચાંદ ન જુવો ત્યાં સુધી ઈદ માટે રોઝો ઈફતાર ન કરો અને જો ચાંદ (શાબાન અને રમઝાનની ઓગણત્રીસની સાંજે) તમારા પર (વાદળ વગેરે)માં છુપાયેલો રહે, (વાદળ વગેરેના લઈ ન જોવાય) તો હિસાબ કરી લો એટલે કે હિસાબથી ત્રીસ દિવસ પૂરા કરી લો). (મિશ્કાત ૧૭૪) આ હદીષથી જાણવા મળ્યુ કે ચાંદનું આસમાન પર અસ્તિત્વ હોય પણ છુપાયેલો રહે તો રમઝાન કે ઈદ સાબિત થશે નહિ.
હા, હદીસ શરીફથી એ પણ સાબિત છે કે શરઈ પધ્ધતિ મુજબ બીજી જગ્યાએ ચાંદ જોયાની જાણ થાય તો પણ રમઝાન કે ઈદ સાબિત થઈ જાય છે. (જુઓ ઈબ્ને અબ્બાસ રદિ.ની હદીસ અબૂ દાવૂદ શરીફ, તિર્મિઝી શરીફ વગેરેથી, મિશ્કાત – ૧૭૪ ઉપર) હવે ચાલૂ સાલની રમઝાન અને ઈદનો હુકમ એ છે કે આપણે ત્યાં પહેલી રમઝાનનો ચાંદ ઓગણત્રીસા જોવાયાની જાણ શરઈ પધ્ધતિ મુજબ થવાથી પહેલી રમઝાન બુધવારની કઝા કરવી ઝરૂરી છે અને ઈદનો ચાંદ ઓગણત્રીસ જોવાયાની જાણ શરઈ પધ્ધતિ મુજબ આપણને થઈ નથી અને ન ચાંદ મોઅતબર વ્યકિતઓએ આપણા સ્થળ પર જોયો છે એટલે ત્રીસમો રોઝો રાખવો પણ ઝરૂરી હતો. ખુલાસો એ કે આપણા માટે ૧૪૦ર હિજરીની રમઝાનના પૂરા ૩૦ રોઝા રાખવા ઝરૂરી હતા.
Log in or Register to save this content for later.