[ર૭૦] સાર્વજનિક દવાખાનામાં આંખનું મફત ઓપરેશન

Chapter : ઝકાત

(Page : 314-315)

સવાલ :– વલસાડમાં આંખની હોસ્પિટલમાં મોતિયા તેમજ આંખને લગતા દરેક ઓપરેશન મફત કરી આપવામાં આવે છે જેનો ખર્ચ સંસ્થા ભોગવે છે અને આ સંસ્થા પરદેશમાં રહેતી કોઈ મોટી પાર્ટી દાનરૂપે ચલાવે છે અને જેનો લાભ ગરીબ તેમજ પૈસા પાત્ર દરેક વ્યકિતને કોમી ભેદભાવ વગર આપવામાં આવે છે. જેનો લાભ આપણી કોમના ગરીબ તેમજ સાહિબે નિસાબ મુસ્લિમ ભાઈઓ લે છે, કારણ કે મોતિયા કેમ્પમાં ઓપરેશનમાં લેન્સ મુકવાનો ખર્ચ પ્રાઈવેટ હોસ્પિટલમાં રૂપિયા ૮ થી ૧૦ હજાર સુધીનો થાય છે, જયારે કે અહિંયાં એક પણ પૈસો આપવો પડતો નથી, સાથે સાથે ખાવા,પીવા અને રહેવાની સગવડ પણ મળે છે.

               અહિંયાં એક દાનપેટી મૂકવામાં આવી છે જેને દાન કરવું હોય તે મરજી મુજબ દાન કરી શકે છે. એટલે ઘણા સાહિબે નિસાબ માણસો પ૦૦ કે ૧૦૦૦ રૂપિયા દાન કરી સંતોષ માને છે.

               તો શું સાહિબે નિસાબ માટે આવી હોસ્પિટલમાં મફત ઓપરેશન કરાવવું જાઈઝ છે કે નહિ ? અને પ૦૦ કે ૧૦૦૦ રૂપિયા દાન કરવાથી ઓપરેશન જાઈઝ થશે ?

જવાબ :– જો મઝકૂર સંસ્થાની નાણાંકીય મદદ કરનાર પાર્ટી તેમાં ઝકાત, વાજિબ સદકહ અને વ્યાજની રકમ પણ આપતી હોય તો ઝકાત, સદકાત અને વ્યાજ લેવાનો હકદાર ન હોય તેવા માલદાર માણસે મઝકૂર હોસ્પિટલમાં મફત ઓપરેશન કરાવવું જાઈઝ નથી, કારણ કે તેના ઓપરેશન વગેરેનો ખર્ચ પણ એવી રકમોમાંથી કરવામાં આવે છે જે તેના માટે લેવી જાઈઝ નથી. એ વાતની પાકી સંભાવના છે અનેે જો માલદાર અને ગરીબ માટે અલગ અલગ રકમની વ્યવસ્થા હોય તો ત્યાં ઓપરેશન કરાવી શકાય છે.                   (શામી – ર)

Log in or Register to save this content for later.