Chapter : ઝકાત
(Page : 307-308)
સવાલ :– હમારે ત્યાં દાહોદ શહેરમાં ઉલમા તેમજ શહેરના આગળ પડતા આગેવાનો શહેરના ઝરૂરતમંદ ગરીબ, બીમારોની દવા – ઈલાજ વગેરે માટે એક ફંડ જમા કરવા વિચારી રહૃા છીએ અને એ ફંડમાં શહેરમાંથી ઝકાત, લિલ્લાહ, ફિતરા, વ્યાજ વગેરેની રકમ લોકો પાસેથી વસૂલ કરી એક ફંડ જમા કરી નક્કી કરેલ કમીટીના સભ્યો પાસે જમા રહે અને જયારે પણ શહેરમાં આપણા કોઈ પણ મુસ્લિમ ભાઈને સખ્ત ઝરૂરત પડે તો એ જમા થયેલ ફંડમાંથી મદદ કરી શકાય. ઝરૂરતના ટાઈમ પર તાત્કાલિક મદદ માટે ચંદો ના કરવો પડે, જમા થયેલ ફંડમાંથી ઝરૂરત પ્રમાણે જેટલી રકમની ઝરૂર હોય તાત્કાલિક મદદ કરી શકાય તો આ પ્રમાણે ઝકાત, ફિતરા, લિલ્લાહ, વ્યાજ વગેરેની રકમ જમા કરી ઝરૂરતના ટાઈમ પર ઝરૂરતમંદની મદદમાં વાપરવી જાઈઝ છે કે નહિ અને ઝરૂરતમંદ કયા પ્રકારના હોવા જોઈએ ?
જવાબ :– મઝકૂર હેતુ માટે અનેક પ્રકારની રકમોથી ફંડ ફાળો ભેગો કરવો જાઈઝ બલ્કે નેકીનું કાર્ય છે. ઈસ્લામના ખિલાફત યુગમાં બૈતુલમાલ દ્વારા આવી વ્યવસ્થા થતી હતી.
ઝકાત, ફિતરા અને વ્યાજની રકમ એવા ગરીબ મુસ્લિમોને માલિકી ધોરણે આપી શકાય છે જે શરઈ દ્રષ્ટિએ ગરીબ હોય – લિલ્લાહ રકમ ગરીબ – માલદાર બન્નેવ પ્રકારના મુસ્લિમોને સહાય રૂપે આપી શકાય છે.
જે તે વર્ષની ઝકાત આપનારની ઝકાત અને ફિતરાની રકમ લાંબી મુદ્દત સુધી જમા ન પડી રહે અને હકદાર સુધી વર્ષની અંદર – અંદર પહોંચી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ.
અલગ અલગ પ્રકારની રકમનો અલગ અલગ ઉપયોગ કરી અલગ હિસાબ રાખવો જોઈએ.
ઈસ્લામી દ્રષ્ટિએ ગરીબની વ્યાખ્યા ફોર્મ પર છપાવી જે તે સહાય ઈચ્છનારની ચકાસણી કરવી જોઈએ.
સંસ્થાના હેતુઓ અને કાર્યપધ્ધતિ પુસ્તિકા કે ફોલ્ડર રૂપે છાપી સહાય આપતા – લેતા લોકોને તેની જાણ કરવી જોઈએ.
Log in or Register to save this content for later.