[ર૪૧]ગરીબ માટે નફલ સદકહ લેવાનો હુકમ

Chapter : ઝકાત

(Page : 283-285)

સવાલ :– કોઈ માલદાર કોઈ ગરીબને નફલ સદકહ આપે તો તેની લેવડ દેવડના જાઈઝ હોવામાં તો કોઈ શંકા નથી, પરંતુ શું ગરીબ માણસે નફલ સદકહ લેવામાં કોઈ સંકોચ અનુભવવો અને સદકહ કબૂલ ન કરવો દુરૂસ્ત છે, અને ગરીબ માટે આવા સદકહમાં કોઈ નુકસાન અને ખરાબી છે?

જવાબ :– ગરીબ માણસ ગેરતમંદ હોય, પોતાની મહેનતથી કમાઈને પોતાનું ગુજરાન કરવાને પસંદ કરતો હોય તો આ ઘણી ખૂબીવાળી અને પ્રસંશનીય ખસલત કહેવાય. કુર્આન અને હદીષમાં આ પ્રમાણે ગુજરાન કરવાની તાકીદ અને તરગીબ આવેલી છે, પરંતુ જે માણસ ખરેખર ગરીબ અને હાજતમંદ હોય અને તેના સવાલ કર્યા વગર અને તેના તરફથી કોઈ પૂર્વ લાલચ અને આશા વગર અગર કોઈ માલદાર માણસ પોતાના હલાલ માલમાંથી તેને નફલ સદકહ આપે તો તેવો સદકહ કબૂલ કરવો અને લેવો તેના માટે વિના કરાહતે જાઈઝ છે અને એવા સદકહમાં કોઈ ખરાબી સમજીને અથવા પોતાની બેઈઝઝતી સમજીને રદ કરી દેવો અને તેનો અસ્વીકાર કરવો મુસ્તહબ પણ નથી અને તેના માટે આવા સદકહમાં કોઈ ખરાબી અને નુકસાન નથી અને તેના હલાલ હોવામાં કોઈ શંકા નથી અને તેને લેવામાં કોઈ સંકોચ અનુભવવાની ઝરૂરત નથી.

               હઝ. ઈમામ બુખારી (રહ.) એ પોતાની સહીહ બુખારીમાં એક મસ્અલો લખ્યો છે કે અલ્લાહ તઆલા જે માણસને તેના સવાલ વગર અને જીવની લાલચ વગર (કોઈ સૂરતથી) કોઈ વસ્તુ અતા ફરમાવે તો તેણે તે વસ્તુ કબૂલ કરી લેવી જોઈએ અને તેની દલીલ રૂપે આ હદીષ નકલ ફરમાવી છે કે  હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)એ હઝરત ઉમર (રદિ.)ને આમ કહેતાં સાંભળ્યા કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મને કોઈ દાન આપતા તો હું અરઝ કરતો કે આ દાનનો જે માણસ મારાથી વધારે મોહતાજ હોય તેને આપ અતા ફરમાવો, તો આપ ફરમાવતા જયારે તમોને આ માલમાંથી કોઈ વસ્તુ એવી હાલતમાં મળે કે ન તો તમોએ સવાલ કર્યો હોય અને ન પહેલેથી તમોને તેના મળવાની લાલચ હોય તો તમો તે વસ્તુ લઈ લો અને જે માલ એવી રીતે ન મળે તેની પાછળ પોતાનું દિલ ન લગાડશો.

(બુખારી શરીફ ભાગઃ ૧/૧૯૯)

               શૈખ હાફિઝ ઈબ્ને હજર અસ્કલાની (રહ.) લખે છે કે આ હદીષ ચાહે બૈતુલ માલના માલની વહેંચણી વિશે છે, પરંતુ ઈમામ બુખારી (રહ.)એ (મસ્અલામાં સદકહ, બક્ષિશ વગેરે) માલની ઉમૂમી લેવડ–દેવડનું વર્ણન કર્યું છે, કારણ કે જયારે આ બે વાતો (સવાલ અને મનની લાલચ) ન હોય તો ફકીર માટે સદકહ કબૂલ કરવાનો હુકમ પણ એવો જ છે જેવી રીતે માલદાર માટે બક્ષિશ કબૂલ કરવાનો હુકમ છે.    (ફત્હુલ બારી–૩/૩૩૭)

               અલ્લામહ બદરુદ્દીન ઐની (રહ.) લખે છે કે ઉકત હદીષથી સાબિત થાય છે કે સવાલ કર્યા વગર જયારે કોઈ હલાલ માલ મળતો હોય તો તેને છોડવા કરતાં તેનું લેવું બેહતર છે અને શૈખ નવવી (રહ.) કહે છે કે કોઈના તરફથી મળી રહેલા માલ વિશે સહીહ અને મશ્હૂર મંતવ્ય આ છે કે તેનું કબૂલ કરી લેવું મુસ્તહબ છે.  (ઉમ. કારી પ૬/૯)

               ઉપરોકત હદીષ અને તેના વિવરણથી માલૂમ પડે છે કે ગરીબને જયારે સવાલ કર્યા વગર આવો નફલ સદકહ મળતો હોય તો કોઈ પ્રકારના સંકોચ વગર તે કબૂલ કરી લેવો બેહતર છે.

Log in or Register to save this content for later.