[ર૪૦] માલદાર માટે નફલ સદકહ જાઈઝ છે?

Chapter : ઝકાત

(Page : 281-283)

સવાલ :– નફલ પ્રકારનો સદકહ માલદારને આપી શકાય કે નહિ? અને માલદાર માટે તેને આપવામાં આવતો નફલ સદકો લેવો જાઈઝ છે કે નહિ?

જવાબ :–  પ્રથમ એક વાત સમજી લેવી જોઈએ કે નફલ સદકહનો  મકસદ સવાબ પ્રાપ્ત કરવાનો હોય છે અને હિબા–બક્ષીશનો મકસદ સામે વાળાના દિલને ખુશ કરવાનો હોય છે, અને માલદારને આપવામાં આવતા નફલ સદકા બાબત ફિકહની કિતાબોમાં બે મંતવ્યો છે.

               એક મંતવ્ય આ પ્રમાણે છે કે માલદારને આપવામાં આવતો નફલ સદકહ સદકહ નથી ગણાતો, બલ્કે તે હિબા અને બક્ષીશ ગણાય છે અને આ મંતવ્ય મુજબ માલદારને નફલ સદકહ આપવો જાઈઝ છે અને માલદાર માણસે તે નફલ સદકહ લેવામાં કોઈ વાંધો નથી, કારણ કે તે ભેટ અને બક્ષીશ છે, નફલ સદકહ માલદાર માટે ગરીબને આપવામાં આવતા સદકહની જેમ સદકહ નહિ ગણાય.                 (શામી : ૪/પ૧૪ , બદાઈઅ–ર/૧પ૭)

               અલબત્ત, નફલ સદકહ આપનારનો મકસદ જો સદકહ રૂપે માલી મદદ કરી સવાબ પ્રાપ્ત કરવાનો હોય તો તે નફલ સદકહ ગરીબને આપવો જોઈએ અને જે માલદારને નફલ સદકહ આપવામાં આવે તેને સદકહ હોવાની ખબર પડે તો તેણે પણ આપનારથી મઅઝિરત કરી કોઈ ગરીબને આપવાની સલાહ આપે, તાકે સદકહ આપનારનો હેતુ પૂરો થાય.

               હઝ. મવ.મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.)એ આ મંતવ્ય અપનાવ્યું છે, માટે તેઓ એક જવાબમાં લખે છે કે

ગની માલિકે નિસાબ કો અગર સદકએ નાફિલહ દિયા જાએ તો વો સદકહ નહીં રેહતા, હિબા યા હદિયા હો જાતા હૈ, યાની દેનેવાલે કો સદકહકા સવાબ નહીં મિલેગા ઓર ગની અગર (નફલ સદકહ) ખા લેગા તો સદકહ ખાનેવાલા ન હોગા, બલ્કે હદિયા ખાનેવાલા કરાર દિયા જાએગા.                               (કિ.મુફતી : ૩૦ર/૪)

               બીજુ મંતવ્ય આ પ્રમાણે છે ક માલદારને આપવામાં આવતો નફલ સદકહ સદકહ તરીકે જ બાકી રહે છે અને સદકહ આપનારના મકસદ મુજબ તેમાં પણ તેને સદકહ આપવાનો સવાબ મળે છે.           (શામી : પરર, ભાગ :૪)

               બીજા મંતવ્ય મુજબ પણ માલદારને નફલ સદકહ આપવો જાઈઝ છે, અને માલદારે નફલ સદકહ લેવો જાઈઝ પણ છે, પરંતુ સદકહમાં સામેવાળાને લિલ્લાહ મદદ કરી સવાબ કરવાનો હેતુ હોય છે અને ગરીબ માણસ માલદાર કરતા મદદનો વધુ હકદાર છે એટલે ગરીબને સદકહ આપવામાં વધુ સવાબ છે, માટે આ બીજા મંતવ્ય મુજબ પણ સદકહ આપનાર માટે બેહતર આ છે કે તે નફલ સદકહ પણ ગરીબને આપે અને નફલ સદકહ લેનાર માટે બેહતર આ છે કે તે નફલ સદકહ લેવાથી મઅઝિરત રજૂ કરી ગરીબને આપવાની રગબત આપે.

      હકીમુલ ઉમ્મત હઝરત મવલાના થાનવી (રહ.) લખે છે કે :

ઈન (ફિકહી) રિવાયાત સે માલૂમ હુવા કે નફલ સદકહ ગની (માલદાર) કે લિયે ભી જાઈઝ હૈ …… લેકિન ઝયાદહ સવાબ ફુકરાઅ્‌ (ગરીબો) હીં કો ખિલાને મેં હે ઔર ગની કો (કબૂલ કરને સે) ઉઝર કર દેના અવ્લા (બેહતર) હૈ.          (ઈ. ફતાવા : ર/૮પ )

Log in or Register to save this content for later.