[ર૩પ] સદકહ અને સદકએ જારિયહના મતલબમાં તફાવત

Chapter : ઝકાત

(Page : 277-278)

સવાલ :– કોઈ માણસ બિમાર હોય અને તેની શિફા માટે જાનવરના ગોસ્તના સદકાની મન્નત માનવામાં આવે તો આ સૂરતમાં અલ્લાહ તઆલાના નામ ઉપર જાનવર ઝબહ કરી ગરીબોને (સૈયદ સિવાય) તે ગોસ્ત આપવામાં આવે અને આવા સદકહની કોઈ રકમ મસ્જિદમાં ન વાપરી શકાય તો પછી અમુક લોકો સદકએ જારિયહના નામથી મસ્જિદમાં કોઈ રકમ આપે છે, તો તે રકમ મસ્જિદમાં કેવી રીતે વાપરી શકાય ? જયારે કે સદકો તો ફકત ગરીબોનો હકક છે.

જવાબ :– સદકાનો શબ્દ જયારે કોઈ વિશેષણ વગર એકલો બોલવામાં આવે તો ફિકહની પરીભાષામાં તે વસ્તુના હકદાર ફકત ગરીબો જ હોય છે. મસ્જિદ, મદ્રસા વગેરે કોઈ સંસ્થાના એવા કામમાં ન ઉપયોગ થઈ શકે કે જેમાં ગરીબોને માલિકી ધોરણે મફત ન આપવામાં આવે અને જયારે સદકાનો શબ્દ જારિયહ અથવા વકફના વિશેષણ સાથે બોલવામાં આવે તો તે મસ્જિદ, મદ્રસામાં પણ વાપરી શકાય છે. મતલબ કે ગરીબને આપવામાં આવતી મફત માલી મદદને ફકત સદકો કહેવામાં આવે છે, જયારે મસ્જિદ, મદ્રસા અથવા બીજી કોઈ દીની સંસ્થામાં આપવામાં આવતી માલી મદદને સદકએ જારિયહ અથવા સદકએ વકફ કહેવામાં આવે છે અને હદીષ શરીફમાં નાના મોટા દરેક નેક કામ માટે પણ સદકાનો શબ્દ વપરાયો છે. જેનો મતલબ એ છે કે સદકાની જેમ બીજા નેક કામોનો પણ સવાબ મળે છે.

(ઈ. મુફતી : ૪પ૩, મુસ્લિમ શર્હે નવવી સાથે : ૩ર૪ ભાગ : ૧)

Log in or Register to save this content for later.