[ર૦૭] સ્કૂલના શિક્ષણ માટે ઝકાતનો ચંદો

Chapter : ઝકાત

(Page : 244-245-246)

સવાલ  :–  (૧) અમારા  ગામમાં મુસ્લિમ એઝયુકેશન ટ્રસ્ટ નામની એક સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી કામ કરે છે, આ સંસ્થા વડે આછોદ ગામે ધોરણ – પ થી ૧૦ માં ભણતા તમામ બાળકો કે જેમાં ગરીબ – માલદાર અને હિન્દુ બાળકોને ટયુશન આપવામાં આવે છે, આ ટયુશન પેટે બાળકો પાસેથી કોઈ જ ફી લેવાતી નથી. આ ટયુશન માટે શિક્ષકોને પગાર આપીને રોકવામાં આવે છે.

               (ર) આ સંસ્થા વર્ષના અંતે ટયુશનની પરીક્ષા રાખે અને તેમાં પહેલા બીજા નંબર વાળાઓને ઈનામો આપે છે. જેમાં ગરીબ – માલદાર કે હિન્દુ કોઈ ભેદ હોતો નથી.

               (૩) વર્ષની શરૂઆતમાં ધોરણ પ થી ૧ર માં ભણતા ઝરૂરતમંદ બાળકોને નોટબુકોનું વિતરણ પણ કરે છે.

               ઉપરોકત સંસ્થા ચંદો કરી ઝકાતની રકમ ઉઘરાવે છે. તો શું ઉપરોકત કામોમાં ઝકાતની રકમ આપી શકાય ? શું સંસ્થા ઝકાત લઈ શકે?

જવાબ :–  ઝકાતના હકદાર મુસ્લિમ ગરીબ બાળકો જે નાબાલિગ હોય તેમના વાલીઓની સંમતિથી અને મુસ્લિમ ગરીબ બાલિગ બાળકોની સંમતિથી ટયુશનનો પગાર ઝકાતની રકમથી આપી શકાય છે, બેહતર સૂરત આ છે કે ગરીબ, માલદાર, મુસ્લિમ, ગેર મુસ્લિમ દરેક બાળક માટે ટયુશન ફીસ નકકી કરવામાં આવે અને ગરીબ મુસ્લિમ નાબાલિગના વાલી ત્થા ગરીબ મુસ્લિમ બાલિગ બાળકને ફીસ ભરવા ઝકાતની રકમ આપવામાં આવે, તાકે ઝકાતની અદાયગીમાં કોઈ શંકા ન રહે. મુસ્લિમ ગરીબ ઝકાતના હકદાર બાળકોને નં (ર)માં જણાવેલ ઈનામ તથા નં (૩)માં લખેલ નોટબુકો ઝકાતની રકમથી આપી શકાય છે.                                              (શામી–ર)

               માલદાર બાળકો અને ગેર મુસ્લિમ બાળકોને ટયુશન ફીસ માટે ઝકાતની રકમ આપવી અથવા તેમના વાલીઓ કે બાલિગ બાળકોની સંમતિથી ટયુશન શિક્ષકનો પગાર ઝકાતની રકમથી આપવો અથવા તેમને ઝકાતની રકમથી ઈનામો કે નોટબુકો આપવી બિલકુલ જાઈઝ નથી, જો તેમને ઝકાતની રકમથી મઝકૂર વસ્તુઓ આપવામાં આવશે તો ઝકાત આપનાર માલદારોની ઝકાત અદા નહિ થાય અને વ્યવસ્થાપકો ગુનેહગાર થશે.

               ઉપર મુજબ ગરીબ મુસ્લિમ બાળકો માટે ઝરૂરત મુજબ મઝકૂર સંસ્થા ઝકાતની રકમ લઈ શકે છે અને મુસ્લિમ માલદાર તથા ગેર મુસ્લિમ બાળકો માટે સંસ્થાએ ઝકાત લેવી અને વાપરવી જાઈઝ નથી.  (શામી–ર)

Log in or Register to save this content for later.