Chapter : ઝકાત
(Page : 263-267)
સવાલ :– (૪) ૧– ઈસવી સન ૧૯૪૭ની આઝાદી અને જમીનદારી નાબૂદી કાયદા બાદ હિન્દુસ્તાનની જમીનો શું હુકમ ધરાવે છે? અહીંની જમીનો ઉશ્રી છે કે ખિરાજી? અને જો અમુક જમીનો ઉશ્રી અને અમુક ખિરાજી હોય તો તેની વિગત શું છે? કયા આધારે જમીનોના ઉશ્રી અને ખિરાજી હોવાનો ફેસલો કરવામાં આવશે?
ર– જે જમીનોનું ઉશ્રી કે ખિરાજી હોવું નકકી ન થઈ શકે તો તેનો શું હુકમ છે?
૩– શું સરકારને આપવામાં આવતુ જમીન મહસુલ ખિરાજના હુકમમાં ગણવામાં આવશે?
૪– જો હિન્દુસ્તાનની અમુક જમીનો ખિરાજી છે તો અત્યારે હિન્દુસ્તાનના મુસલમાનો ખિરાજની અદાયગી કઈ વિગતથી અને કેવી રીતે કરશે? જેમ ઉશ્રની અદાયગી ઈબાદત છે શું મુસલમાનો પર લાગુ પડતા ખિરાજની અદાયગી પણ ઈબાદત ગણાશે?
પ– ઉશ્રના અહકામમાં પાણી પીવડાવવાના કારણે ઉશ્ર અડધો (વીસમો ભાગ) થઈ જાય છે, તો શું નવી ખેતી પધ્ધતિમાં થતા મોટા ખર્ચાઓ (જેમકે ખાતર, દવા વગેરે)ના કારણે ઉશ્રમાં કમી કરવામાં આવશે? કે પછી અસલ પેદાવારમાંથી તે ખર્ચાઓ બાદ કર્યા પછી ઉશ્ર લાગુ પડશે?
૬– જે જમીનોની ખેતી ભાગે અપાતી હોય તેમાં ઉશ્ર કોની ઉપર વાજિબ થશે? માલિક પર કે પછી ખેડૂત પર કે પછી બન્નેવ પર? માલિક અને ખેડૂતમાંથી એક મુસ્લિમ અને એક ગેર મુસ્લિમ હોય અથવા બન્ને મુસ્લિમ હોય તો બન્ને સૂરતોમાં ઉશ્ર કોની ઉપર વાજિબ થશે?
જવાબ :– (૪) ૧–ર : જમીનદારી નાબૂદીનો કાયદો જે અંગ્રેજોના યુગમાં ચાલુ કરવામાં આવ્યો હતો અને આઝાદી પછી પણ તેના ઉપર અમલ થતો રહયો. ત્યારબાદ હિન્દુસ્તાનની જમીનોના ઉશ્રી કે ખિરાજી હોવા બાબત મુફતિયાને કિરામ અને ઉલમાએ કિરામ વચ્ચે મતભેદો થયા. આ જમીનો સરકારી માલિકી હોવાના કારણે અમુક આલિમો તેને ન તો ઉશ્રી કહે છે ન તો ખિરાજી. મોટા ભાગના આલિમો તેના દારૂલ હર્બ હોવાના કારણે તેને ન તો ઉશ્રી કહે છે ન તો ખિરાજી. જયારે કે તહકીકકાર ઉલમાએ કિરામ આ કાયદો આવ્યા પછી અને દારૂલ હર્બ હોવા છતાં આ જમીનોને ઉશ્રી કે ખિરાજી ગણતા હતા. હઝરત મવલાના રશીદ અહમદ ગંગોહી (રહ.), હઝરત મવલાના અશરફ અલી થાનવી (રહ.), હઝરત મવલાના મુફતી કિફાયતુલ્લાહ (રહ.), હઝરત મવલાના મુફતી અઝીઝુર્રેહમાન (રહ.), હઝરત મવલાના મુફતી મુહંમદ શફીઅ સાહેબ (રહ.) વગેરેમાંથી અમુકે આ જમીનોને ઉશ્રી અને અમુકને ખિરાજી ગણાવી છે અથવા તેને એહતિયાતી મંતવ્ય કહયું છે. હઝરત મવલાના મુફતી મહમૂદુલ હસન ગંગોહી (રહ.)એ જમીનદારી નાબૂદીના કાયદા પછી પણ સચોટ દલીલો આધારિત જાહેર થતી હકીકત આ પ્રમાણે લખી છે કે જમીનોના માલિકોની માલિકી સાબિત છે, પણ આ કાયદાને લઈ સરકારે જે જમીનો જમીનદારોથી લઈ ખેડૂતોને આપી છે તે ખિરાજી ગણાશે. આ તમામ વાતો વિગતથી ”ઈસ્લામકા નિઝામે અરાઝી, ફતાવા મહમૂદિય્યહ–૧૩, અહસનુલ ફતાવા ભાગ–૪માં વર્ણવેલ છે.
હિન્દુસ્તાની બધી જમીનો ન તો ઉશ્રી છે ન તો ખિરાજી. હા, અમુક ઉશ્રી છે તો બીજી અમુક ખિરાજી પણ છે. અત્યારે જે જમીનો મુસલમાનોની માલિકીમાં છે અને તે જમીનો તેમને મુસલમાનોથી ખરીદીને કે વારસામાં મળેલ છે તે ઉશ્રી છે અને જેમાં કોઈ કાફિર વચમાં માલિક બન્યો હોય તે ખિરાજી છે ચાહે તે કાફિર પોતાની રીતે માલિક બન્યો હોય કે સરકારી વર્ચસ્વના રૂપમાં માલિક બન્યો હોય, અને જે જમીનોના ભૂતકાળના માલિકોની જાણ ન હોય તો એવી જમીનોને હાલના માલિકોની હાલત જોતાં ઉશ્રી ગણવામાં આવશે. (ઈસ્લામકા નિઝામે અરાઝી)
૩– સરકારી જમીનોનો ટેક્ષ ખિરાજમાં ગણવા ન ગણવામાં પણ ઉલમાએ કિરામનો મતભેદ છે. મુફતી મુહંમદ શફીઅ સાહબ તેમજ અલ્લામહ હુમાયૂની સીંધી (રહ.) વગેરે તેને ખિરાજી જમીનના ખિરાજમાં ગણતા નથી અને મવલાના ગનગોહી (રહ.) સરકારી ટેક્ષને (જમીન મહેસૂલને) ખિરાજી જમીનના ખિરાજમાં ગણે છે અને આ વાતની તસ્દીક આ વાતથી થાય છે કે સરકાર ઘણા બધા એવા ખર્ચાઓ પર મોટી રકમ ખર્ચ કરતી હોય છે કે જે ખિરાજના ખર્ચાઓ છે અને તેનો ફાયદો મુસલમાનોને પણ બરાબર મળતો રહે છે.
(ઈસ્લામકા નિઝામે અરાઝી, ફતાવા રશીદિય્યહ, અહસનુલ ફતાવા–૪)
૪– ખિરાજના બે પ્રકાર છે : (૧) ખિરાજે મુકાસમા કે જેમાં ખિરાજી જમીનોની પેદાવારનો ઓછામાં ઓછો પાંચમો ભાગ અદા કરવામાં આવે છે. (ર) ખિરાજે મુવઝ્ઝફ કે જેમાં અનાજ અને કપાસ જેવી સામાન્ય પેદાવારનો ખિરાજી જમીનોમાં વીગા દીઠ એક દિરહમ રોકડ એટલે કે ત્રણ ગ્રામ ૬૧૮ મી.ગ્રામ ચાંદી અથવા તેની કિંમત અને એક સાઅ એટલે કે ત્રણ કિલો બસો એંસી ગ્રામ ઘઉં અથવા જવ અથવા જે વસ્તુઓ પણ તેમાં વાવવામાં આવે અને શાકભાજી વાળી જમીનોમાં વીઘા દીઠ પાંચ દિરહમ અને દ્રાક્ષ કે ખજૂરના ભેગા વૃક્ષોવાળી વાડીમાં વીઘા દીઠ દસ દિરહમ ચાંદી આપવાની રહેશે.
રહી વાત એ કે કઈ જમીનોમાં ખિરાજે મુકાસમા લાગુ પડશે અને કઈ જમીનોમાં ખિરાજે મુવઝઝફ. તો આ બાબત હઝરત મવલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.)ની છણાવટ અને ઐતિહાસિક વિગતોથી જાણવા મળે છે કે ગુજરાત અને રાજપૂતોના ઈલાકાની ખિરાજી જમીનમાં ખિરાજે મુકાસમા અદા કરવાનો રહેશે અને અન્ય રાજયોમાં ખિરાજે મુવઝઝફ અદા કરવાનો રહેશે.
અને હિન્દુસ્તાની મુસલમાનો સરકારી કરવેરાને ખિરાજમાંથી બાદ કર્યા પછી બાકી પડતા ખિરાજને તેના મસરફ દીની મદારિસની તઅમીર, મુદર્રિસોના પગારો, મસ્જિદોના ઈમામો, મુઅઝ્ઝિનોના પગારમાં તેમજ મસ્જિદ કે મુસાફિરખાનાની તઅમીર અને ઈસ્લામી અદાલતોના ખર્ચાઓમાં આપી શકાય છે. (શામી–૩, ઈસ્લામકા નિઝામે અરાઝી)
મુસલમાનો પર લાગુ પડતો ખિરાજ જમીનને લગતો ખર્ચ અને ટેક્ષ જ કહેવાશે અને તેને ઈબાદતમાં શામિલ કરવામાં નહિ આવે, ફુકહાએ કિરામના લખાણોથી એવું જ માલૂમ પડે છે.
પ– ખેતીની આધુનિક રીતોના જંગી ખર્ચાઓ જેમકે ખાતર, દવા વગેરેના કારણે ઉશ્રની મિકદારમાં કમી કરવી અથવા ઉશ્રની અદાયગી પહેલા સંપુર્ણ પેદાવારમાંથી તે ખર્ચાઓને બાદ કરવા દુરૂસ્ત નથી. કારણકે ઉશ્ર અને નિસ્ફ ઉશ્રનો ફર્ક પાણી પર મોકૂફ છે. તેમજ આ ખર્ચાઓથી પેદાશમાં થતા વધારાથી તે ખર્ચાઓની તલાફી પણ થઈ જાય છે.
૬– જો માલિક અને ખેતી કરનાર બન્નેવ મુસલમાન હોય અને ખેતી ભાગે ખેડવા આપવાનો મામલો સહીહ હોય તો બન્નેવમાંથી દરેક પર તેમના નકકી ભાગો પ્રમાણે ઉશ્ર લાગુ પડશે અને ગેર મુસ્લિમો પર ઉશ્ર લાગુ નહિ પડે. (ફતાવા રશીદિય્યહ)
આરિયત આપનાર મુસ્લિમ અને આરિયત લેનાર ઝિમ્મીના મસ્અલહથી આ જ વસ્તુ માલૂમ પડે છે.
فإن کا ن ذمیا فھو علی رب الأرض بالاتفاق (فتح :۲؍۱۹۴) وفی الرد (۲؍۵۵) ’’لکونہ لیس أھلا للعشر وفی التحریر المختار (عن السندی منقولا عن السراج)، لأن إیجاب العشر علی الذمّی غیر ممکن‘‘ (التحریر المختار)
Log in or Register to save this content for later.