[રર૬] ઉશ્રી અને ખિરાજી જમીનની હકીકત

Chapter : ઝકાત

(Page : 259-261)

સવાલ :– (૧) ઈસ્લામ કઈ જમીનોને ઉશ્રી અને કઈ જમીનોને ખિરાજી ગણે છે ? ઉશ્રી અને ખિરાજી જમીનો વચ્ચે બુનિયાદી ફર્ક શું છે? આ બાબતે કુર્આન – હદીષ, હઝ. સહાબા (રદિ.) અને તાબિઈન (રહ.)ના યુગનો અમલ તેમજ ફુકહાએ કિરામ (રહ.)ના ઈજતિહાદાતથી આપણને શું જાણવા મળે છે?

જવાબ :– (૧) હઝરત મવ. મુફતી શફીઅ સાહેબ (રહ.) ઉશ્રી અને ખિરાજી જમીનની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે :

ખિરાજી  જમીન :  ”જો કોઈ દેશ સુલહ વડે મેળવવામાં આવ્યો હોય તો તેની જમીનોના તમામ લેવડ દેવડ તે શરતો પ્રમાણે થશે જે શરતો પર સુલહ કરવામાં આવી છે, જો સુલહનામામાં શરત કરવામાં આવી હોય કે તે લોકો પોતાના ધર્મ પર રહેશે અને જમીન તે લોકોની માલિકીની જ રહેશે જેની માલિકીમાં અત્યાર સુધી હતી તો આ સૂરતમાં આવી જમીનો પર ખિરાજ લગાવી દેવામાં આવશે અને આ જમીન કાયમ માટે ખિરાજી થઈ જશે, કારણ કે તેના માલિકો ગેર મુસ્લિમ છે તેમની જમીનો માટે ખિરાજનો હુકમ નકકી છે, એવી જ રીતે જો કોઈ દેશ ચઢાઈ કરી હાસિલ કરવામાં આવ્યો હોય, પરંતુ વિજય પછી મુસલમાનોના ઈમામે તેની જમીનોને મુજાહિદોમાં વહેંચી ન દીધી  હોય, પોતાની મરજીથી પાછલા માલિકોની માલિકીમાં બાકી રાખી હોય તો આ બધી જમીનો પણ ખિરાજી ગણાશે. અને એવી જમીનો કે જે વિજય વખતે કોઈની માલિકીની ન હતી અને ન તો તે ખેતીને લાયક હતી. સમય જતાં મુસમલાન અમીરની ઈજાઝતથી કોઈ ગેર મુસ્લિમે તેને ખેતી લાયક બનાવી અથવા તેણે કોઈ મકાનને વાડી કે ખેતીમાં ફેરવી દીધી હોય તો આ જમીન પણ ખિરાજી ગણાશે. એવી જ રીતે ઉપરોકત જમીનોને ઈમામ અબૂ યૂસુફ (રહ.)ના મંતવ્ય પ્રમાણે કોઈ એક મુસલમાને ખિરાજી જમીનની આજુ બાજુની આવી જમીનોને ખેતી લાયક જમીન બનાવી દીધી અને ઈમામ મુહમ્મદ (રહ.)ના મંતવ્ય મુજબ જો આવી જમીનોને ખિરાજી પાણીથી ખેતી લાયક બનાવી હોય તો તે પણ ખિરાજી જમીન છે. અલ્લામહ શામી (રહ.)એ ઈમામ અબૂ યૂસુફ (રહ.)ના મંતવ્યને મુઅતબર ઠેરવ્યું છે.” (ઈસ્લામ કા નિઝામે અરાઝી)

ઉશ્રી  જમીનઃ  ”કોઈ રાષ્ટ્ર પર સુલહ વડે વિજય પ્રાપ્ત થતાં ત્યાંની જમીનના માલિકો મુસલમાન થઈ ગયા હોય તો તે જમીનો કાયદા મુજબ પાછલા માલિકોની માલિકીની રહેશે અને તે ઉશ્રી ગણાશે અને તેની ઉપર ઉશ્ર વાજિબ થશે અને જો કોઈ દેશ ઉપર લડાઈ વડે વિજય પ્રાપ્ત થયો અને તે જમીનોનો પાંચમો ભાગ કાઢી બાકીની જમીન મુજાહિદોને ગનીમત તરીકે વહેંચી દેવામાં આવી હોય તો તે પણ ઉશ્રી ગણાશે અને તેની ઉપર ઉશ્ર વાજિબ થશે, એવી જ રીતે સુલહ કે ચઢાઈ વડે કોઈ દેશ પર વિજય મેળવતી વખતે બિનમાલિકી જમીનો જે ખેતીને લાયક ન હતી અને તે ઉશ્રી જમીનોની આજુબાજુમાં હતી અને કોઈ મુસલમાન અમીરની ઈજાઝતથી ખેતી લાયક બનાવી હોય તો તે પણ ઉશ્રી જમીન છે.”

               ઉપરોકત વ્યાખ્યાઓથી જાણવા મળે છે કે ઉશ્રી અને ખિરાજી જમીનોમાં બુનિયાદી ફર્ક આ છે કે ઉશ્રી જમીન મુસલમાનોની માલિકીની હોય છે અને ખિરાજી જમીન અમુક સૂરતોને બાદ કરતાં ગેર મુસ્લિીમોની માલિકીની હોય છે.

Log in or Register to save this content for later.