[રર૪] ગણોતે આપેલી જમીનની ઉપજની ઝકાત

Chapter : ઝકાત

(Page : 256-257)

સવાલ :–  આજકાલ જમીન વિહોણા ખેડૂતો અથવા તો ઓછી જમીન ધરાવતા ખેડૂતો બીજાઓની જમીન ગણોતે ખેડવા માટે રાખે છે. મસ્જિદ, મદ્રસામાં વકફ મળેલ જમીન પણ શ્રીમંત ખેડૂતોને ગણોતે ખેડવા માટે આપવામાં આવે છે, નકકી કરેલ મુદ્દત માટે જમીન ખેડવા માટે અમુક રકમ નકકી કરવામાં આવે છે જેને ગણોત કહેવામાં આવે છે. તો પ્રશ્ન એ છે કે નકકી કરેલી મુદ્દત માટે ગણોતે ખેડવા માટે લીધેલી જમીનમાં જે પાક તૈયાર થાય છે તેની ઝકાત (ઉશ્ર કે ખિરાજ) આપવી ફર્ઝ છે? જો ઝકાત આપવી હોય તો એ ઝકાત આપવાનો ઝિમ્મેદાર કોણ ગણાશે ? ઝમીન માલિક કે પછી ગણોતે ઝમીન ખેડનાર ખેડૂત ? જો ગણોતે ઝમીન ખેડનાર ખેડૂતે ઝકાત (ઉશ્ર કે ખિરાજ) કાઢવી ફર્ઝ થતી હોય તો તેણે ચૂકવેલ  ગણોતની રકમ ઝકાતની ચૂકવવાપાત્ર પેદાવારમાંથી બાદ થાય કે નહિ? આ બાબતોના ઉકેલ કિતાબોની રોશનીમાં જણાવવા નમ્ર વિનંતી. ગણોતે ખેડવા આપેલી અથવા લીધેલી જમીનની પાક ઉપજ  બાબતે વિશેષ જણાવવા યોગ્ય બાબતો હોય તો મસ્અલા રૂપે જણાવવા નમ્ર વિનંતી.

જવાબ :– મસ્જિદ, મદ્રસા કે કોઈ વ્યકિતની ગણોતે આપેલ જમીનની પેદાવારની ઝકાત જમીન ગણોતે લેનાર ખેડૂતે આપવાની રહેશે, ગણોતે આપનારની જવાબદારી નથી અને તે પૂરા ઉત્પાદનનો દસમો ભાગ આપવાનો રહેશે, તેમાંથી ગણોતની રકમ કે અન્ય કોઈ ખેતી ખર્ચ બાદ કરવામાં નહિ આવે.

               જો વરસાદના પાણીથી થતી ખેતી હોય તો દસમો ભાગ વાજિબ થશે અને જો વધુ પ્રમાણમાં બોરીંગનું પાણી આપવામાં આવતું હશે તો વીસમો ભાગ એટલે કુલ ઉત્પાદનના પાંચ ટકા ઝકાત આપવાની રહેશે.                         (શામી–ર, ઈસ્લામ કા નિઝામે અરાઝી)

Log in or Register to save this content for later.