Chapter : ઝકાત
(Page : 298-300)
સવાલ :– ફિત્રો એટલે શું, તેને કયારે કાઢવો, કોને આપવો, કેટલો આપવો અને વર્ષમાં કેટલી વાર કાઢવો ? માણસ દીઠ કેટલો ? નાબાલિગ દીઠ કેટલો ? વિગતવાર જણાવશો.
જવાબ :– કોઈ માલ અલ્લાહની ખૂશનૂદી અને આખિરતનો સવાબ હાસિલ કરવાના મકસદથી આપવાને સદકો કહેવાય છે, ફર્ઝ સદકો ઝકાત છે જે ઝકાત પાત્ર માલ મૂડીનો ચાળિસમો ભાગ વાજિબ થાય છે. અને તે ગરીબ મુસ્લિમોને આપવાની હોય છે, તે માથાદીઠ વાજિબ નથી, પરંતુ માલદાર બાલિગ મુસલમાનના ઝકાત પાત્ર માલ મૂડીના પ્રમાણમાં વાજિબ થાય છે, જેમકે ફિત્રનો સદકો અથવા મન્નતનો સદકો માથાદીઠ વાજિબ થાય છે, સદકએ ફિત્ર માલદાર મુસલમાન ઉપર ઈદુલ ફિત્રના દિવસે વાજિબ થાય છે, પરંતુ તેથી પહેલાં રમઝાનમાં પણ અદા કરી શકાય છે. માલદાર મુસલમાન મર્દ પર તેની તરફથી અને તેની નાબાલિગ અવલાદ તરફથી આ સદકો વાજિબ થાય છે. માથા દીઠ સદકએ ફિત્રમાં એક કિલો છસો ચાળીસ (૧ – ૬૪૦) ગ્રામ ઘઉં અથવા તેની રોકડ કિંમત આપવી વાજિબ થાય છે અને તે વર્ષમાં એક જ વાર ઈદુલ ફિત્રના દિવસે માલદાર મુસલમાન મર્દ તથા ઓરત ઉપર વાજિબ થાય છે. ઓરત ઉપર ફકત પોતાની જાતનો સદકએ ફિત્ર વાજિબ થાય છે, પોતાની અવલાદ (ના બાલિગ) તરફથી તેના ઉપર વાજિબ નથી. સદકએ ફિત્રના હકદાર ગરીબ મુસલમાનો છે માટે તેઓને આપવો જોઈએ. (શામી :– ર)
મન્નતનો વાજિબ સદકો માણસ મન્નત માને તો વાજિબ થાય છે અને જે પ્રમાણે મન્નત માને તે પ્રમાણે તેનું અદા કરવું વાજિબ થાય છે. તેનું વાજિબ થવું, તેનુ પ્રમાણ અને તેની સમય મર્યાદા શરીઅત તરફથી નક્કી નથી. મન્નત માનનાર ઉપર આધાર રાખે છે. મન્નતના સદકાના હકદાર પણ સદકહે ફિત્રના હકદારોની જેમ ફકત મુસલમાન ગરીબો જ છે. (શામી : ભાગ : ૩)
સદકાનો એક પ્રકાર નફલ સદકો છે. આ સદકો ઈખ્તિયારી અને સ્વેચ્છિક છે. શરીઅત તરફથી તેનુ કોઈ પ્રમાણ અને સમય મર્યાદા નક્કી નથી.
Log in or Register to save this content for later.