Chapter : ઝકાત
(Page : 291-292)
સવાલ :– લંડનવાળા ભાઈઓ પોતાની ઝકાત અથવા સદકએ ફિત્ર ઈન્ડિયામાં અદા કરવા માંગે અથવા પોતાના સગાઓ તેમની ઝકાત અથવા સદકએ ફિત્ર અહીં અદા કરે તો કયા પૈસાના હિસાબે કરે? વિગતવાર સમજાવશો.
જવાબ :– વિદેશમાં રેહતા ભાઈઓ પાસે જે ઝકાતપાત્ર માલ સોનું – ચાંદી – વેપારનો માલ પોતાની પાસે વિદેશમાં હોય તો તેવા ઝકાતપાત્ર માલની ઝકાતનું પ્રમાણ નકકી કરવા માટે તે માલ–સામાનની જે કિંમત ત્યાં વિદેશમાં ચાલતી હોય અને ત્યાં જે કરન્સી ચાલતી હોય તે કિંમત અને તે કરન્સીથી તે ઝકાતપાત્ર માલની ત્યાં કિંમત આંકી ત્યાંની જ કરન્સીમાં ઝકાતનું પ્રમાણ નકકી કરવામાં આવે. દા.ત, ત્યાં કોઈની પાસે સોનું – ચાંદી અને વેપારનો માલ છે અને ત્યાંની કિંમતના હિસાબે આ ત્રણેવ વસ્તુઓ ૧૦ હજાર પાઉન્ડની છે તો તેના ઉપર રપ૦ પાઉન્ડ ઝકાત વાજિબ થશે. હવે જો તે માણસે પોતાની આ ઝકાત ઈન્ડિયામાં પોતાના સગાઓને મોકલવી હોય તો પ્રથમ એ જોવામાં આવશે કે પાઉન્ડ એક જ કિંમતથી વેચાય છે તો તે કિંમતના હિસાબે રપ૦ પાઉન્ડના જેટલા હિન્દુસ્તાની રૂપિયા મળતા હોય તેટલા રૂા ઝકાતમાં આપવાથી તેની ઝકાત અદા થઈ જશે અને જો પાઉન્ડની બે કિંમતો ચાલતી હોય તો જે કિંમત વધારે પ્રચલિત હોય અને જે કિંમતમાં ઝકાતના હકદારોનો વધુ ફાયદો હોય તે કિંમતનો એઅતિબાર કરી રપ૦ પાઉન્ડના ઈન્ડીયન રૂપિયા નકકી કરી તેટલા રૂપિયા ઝકાતમાં આપવાથી ઝકાત અદા થશે. મતલબ કે વધારે કિંમતનો એઅતિબાર કરી હિન્દુસ્તાની રૂપિયાથી ઝકાત અદા કરવામાં આવશે.
જો વિદેશમાં સ્થાયી માણસ ઈન્ડીયામાં પોતાનો સદકએ ફિત્ર અદા કરવા ચાહે અને તે સદકએ ફિત્રમાં ઘઉં આપવા ચાહે તો ઈન્ડીયામાં પણ માણસ દીઠ લગભગ એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉં આપવાથી સદકએ ફિત્ર અદા થઈ જશે અને જો રોકડ રકમ સદકએ ફિત્રમાં આપવા ચાહે તો બેહતર અને એહતિયાતની વાત આ છે કે ત્યાં વિદેશમાં એટલા વજનના ઘઉંની જેટલા પાઉન્ડ કિંમત થતી હોય તેટલા પાઉન્ડના જેટલા હિન્દુસ્તાની રૂપિયા આવતા હોય તેટલા હિન્દુસ્તાની રૂપિયા એક સદકએ ફિત્ર માટે આપવા પડશે. મતલબ કે રોકડ રકમથી સદકએ ફિત્ર અદા કરવામાં આવે તો ત્યાં વિદેશમાં ચાલતી ઘઉંની કિંમતનો એઅતેબાર કરવામાં આવે, ઈન્ડિયાની કિંમતનો એઅતેબાર ન કરવામાં આવે. (શામી–ર)
Log in or Register to save this content for later.