[રપપ] અનેક પ્રકારની રકમોના હકદારો અને બૈતુલમાલ

Chapter : ઝકાત

(Page : 300-302)

સવાલ :– હમારા ગામમાં બેતુલમાલ નામની સંસ્થા છે, જેની આવક કુરબાનીના ચામડાનો માલિક બનાવી તેને વેચવાથી જે રકમ આવે તે અને બે મસ્જિદો છે તેમાં દરેક જુમ્આના ખુત્બા પહેલાં રૂમાલ ફેરવવામાં આવે છે તેની આવક અને સાથે સાથે સાહિબે ખૈર તરફથી (લિલ્લાહ – સદકહ– ખૈરાત – ઝકાત) મળે તે પૈસા ગરીબ – મજબૂર દર્દીઓની દવા – દારૂના બિલ પેટે ખર્ચ કરવામાં આવે છે તો સવાલ એ છે કે એના અસલ હકદારો કોણ છે અને ઈસ્લામમાં એનું મહત્વ શું છે? બૈયતુલ માલ વિશે હુઝૂર (સ.અ.વ.) અને સહાબા તથા બુઝુર્ગોના શું અકવાલ છે? તાકીદે જણાવવા ભલામણ છે.

જવાબઃ – સદકહ – ઝકાત અને કુરબાનીની ખાલોની રકમના હકદાર તે ગરીબ મુસ્લિમો છે જે શરઈ દ્રષ્ટિએ ગરીબ છે. એટલે કે જેઓની પાસે સોના – ચાંદી – રોકડ – વેપારનો માલ મળી નિસાબના પ્રમાણમાં નથી અને ઝરૂરતથી વધારે કપડાં – વાસણ – ઘર – ફર્નિચર વિ. પણ નિસાબના પ્રમાણમાં નથી. આ રકમોથી ગરીબ દર્દીઓનું દવાદારૂનું બીલ તેઓની જાણમાં લાવીને અને તેઓની રજા લઈને ભરપાઈ કરી શકાય છે અને બેહતર એ છે કે બીલ ભરપાઈ કરવા તેઓને જ રકમ આપવામાં આવે.

               લિલ્લાહ અને મસ્જિદમાં રૂમાલ ફેરવી થયેલા ચંદાની રકમ જે નામથી અને હેતુથી ચંદો કર્યો હોય અથવા આપનાર ભાઈઓએ જે હેતુથી આપી હોય તે હેતુમાં ખર્ચ કરવી ઝરૂરી છે. બીજા હેતુમાં ન વાપરી શકાય.

               ઈસ્લામી હુકૂમત હોય તો મુસ્લિમ અમીરે (વડાએ) ગરીબોની ઝરૂરતોમાં  મદદ કરવા માટે બૈતુલમાલ કાયમ કરવો વાજિબ છે. અને ઈસ્લામી હુકૂમત ન હોય તો મઝકૂર બૈતુલમાલના જે હેતુઓ છે તે હેતુઓ પૂરા કરવાની મુસ્લિમ સમાજની જવાબદારી છે. (વ્યકિતગત રીતે અથવા સામુહિક રીતે ) બૈતુલમાલ દ્વારા જે કામો કરવામાં આવે છે કે ગરીબો બેરોજગારીમાં પોતાનું ભરણપોષણ કરી શકે. કપડાં, લત્તા, રહેઠાણની વ્યવસ્થા કરી શકે, ગરીબ દર્દીઓ દાવા – દારૂ કરી શકે, કોઈ બેકસૂર ગરીબ ફોજદારી ગુનાહમાં સપડાયો હોય તો કાનૂની સહાય મેળવી શકે. આ બધા કામોની હદીસ શરીફમાં ખૂબખૂબ ફઝીલત આવેલી છે. જેનો ખુલાસો એ છે કે બૈતુલમાલ કાયમ કરી મઝકૂર કામો કરવા એ અલ્લાહ તઆલાની નેઅમતોની કદરદાનીનો સુબૂત છે. અલ્લાહ તઆલાએ આપેલી નેઅમતોનો શુક્ર છે. અલ્લાહ તઆલાની નજદીકી અને ખુશનુદી પ્રાપ્ત કરવાનો ઉત્તમ માર્ગ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મજકુર હેતુઓ માટે ખુબ મદદ ફરમાવતા હતા, અને તેની ફઝીલત બયાન ફરમાવતા હતા – જોકે આ માટે બૈતુલમાલ  નામની કોઈ ઈમારત અથવા ફંડ જમા રાખવામાં ન આવતુ હતું. પ્રાપ્ત થતું ભંડોળ તુરત જ વહેંચી દેવાતું હતું. હઝરત અબૂ બક્ર (રદિ.) એ બૈતુલમાલના નામથી મઝકૂર હેતુઓ માટે એક મકાન નક્કી કર્યું  હતું, પણ તેમાં ભંડોળ જમા ન રાખવાથી તે હંમેશા બંધ રહેતુ હતું. હઝરત ઉમર (રદિ.)એ બૈતુલમાલ વિભાગને ખુબ વેગ આપ્યો અને (મુસ્લિમોની ભવિષ્યની ઝરૂરતોને ધ્યાનમાં લઈને) તેના માટે ભંડોળ પણ જમા રાખતા હતા.  (અલ ફારૂક – બુખારી શરીફ – ર )

Log in or Register to save this content for later.