Chapter : ઝકાત
(Page : 208-209)
સવાલ :– મારે એક મોમિન ભાઈ પાસેથી રૂપિયા ર૩૦૦૦/– લેવાના નિકળે છે, તે ભાઈની હાલત હમણાં ખરાબ હોવાથી તે ભાઈનું કહેવું છે કે તમો જે ઝકાત કાઢો તેમાંથી તેટલી રકમ મને આપી છે તેમ માની તેટલી ઝકાત ઓછી કાઢી મને પણ કર્ઝમાંથી છુટકારો આપો. હાલમાં મે પણ પ૦૦૦૦/– રૂપિયા કર્ઝ પેટે લીધા છે, મારી પાસે જે રકમ હતી તે મેં શેરમાં રોકી હોવાથી મારી પાસે કેશ રકમ નથી, તેથી મેં પચાસ હજાર રૂપિયા બીજા ભાઈ પાસેથી લીધેલા છે. શેરમાં રોકડ તેમજ દાગીનાની રકમ મળી કુલ ઝકાતની રકમ દસ હજાર રૂપિયા જેટલી થાય છે. હાલ શેર વેચવા જતા ખોટ થાય છે, માટે દસ હજાર રૂપિયા ઝકાત છે તે પેટે કેટલી રકમ તે મોમિન ભાઈને આપી શકાય.
જવાબ :– તમારા લખવા મુજબ તમારી ઉપર જે દસ હજાર રૂપિયા ઝકાત વાજિબ થાય છે તે રકમમાંથી તમારા દેવાદાર મોમિન ભાઈને જો તેઓ શરઈ દ્રષ્ટિએ ખરેખર ગરીબ હોય તો, અને લખવા મુજબ ર૩૦૦૦/– હજાર રૂપિયા દેવું પણ હોય તો તમો તેઓને પૂરા દસ હજાર રૂપિયા પણ ઝકાત પેટે આપી શકો છો. કારણ કે તેઓને દસ હજાર રૂપિયા આપવા છતાં તેઓ હાલ આ રકમથી માલદાર બનવાના નથી. અલબત્ત, એ વાત યાદ રાખવી ઝરૂરી છે કે તેઓની પાસે તમારા લ્હેણા દેવામાંથી કોઈ રકમ ઝકાત પેટે માફ કરવાથી ઝકાત અદા નહિ થાય બલ્કે તમારે ઝકાત પેટે પ્રથમ ઝકાતની નિય્યતથી રકમ આપવી પડશે અને તેઓના કબ્જામાં સોંપ્યા પછી તૂરત પોતાના કર્ઝ પેટે પરત લઈ શકાશે. આ સૂરતથી તમારી ઝકાત પણ અદા થઈ જશે અને તેટલા પ્રમાણમાં તમારૂ દેવું પણ વસૂલ થઈ જશે. (શામી – ર)
Log in or Register to save this content for later.