Chapter : ઝકાત
(Page : 206-207)
સવાલ :– રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે બૈતુલમાલ સંસ્થા ચાલે છે. તેના બંધારણ મુજબ ગરીબોને ઈમ્દાદ માટે કાર્ડ આપવામાં આવેલ છે, જેથી કાર્ડ ધારકને મદદ આપવામાં આવે છે. તેઓને લિલ્લાહ – ઝકાત રકમમાંથી ઈમ્દાદ અપાય છે, પરંતુ ટ્રસ્ટીઓ લિલ્લાહ – ઝકાતની રકમ ભેગી કરી મદદ આપે છે તો શું આવી રીતે મદદ આપવી જાઈઝ છે ?
જવાબ :– પ્રથમ એ મસ્અલો સમજી લેવો જોઈએ કે લિલ્લાહ અને ઝકાતની રકમ આપનાર મુસલમાનોની રજા વગર એક બીજાની રકમ ભેગી કરવી જાઈઝ નથી. બંને રકમો ભેગી કરવા માટે રકમ આપનાર વ્યકિતઓની રજા ઝરૂરી છે અને તેઓની રજા માટે એટલી વાત પૂરતી છે કે રકમ આપનાર ભાઈઓને એ વાતની જાણ હોય કે બૈતુલમાલના વહીવટકર્તા બધાની બધી રકમો ભેગી કરી આપે છે, અને તે છતાં તેઓ તે પ્રમાણે કરવાથી બૈતુલમાલના વહીવટકર્તાઓને રોકતા ન હોય.
જો ઉપર પ્રમાણે રકમો આપનાર ભાઈઓની રજાથી લિલ્લાહ અને ઝકાતની રકમો ભેગી કરવામાં આવતી હોય અથવા બૈતુલમાલના કાર્ડધારક ભાઈઓ શરઈ દ્રષ્ટિએ ગરીબ એવા મુસલમાનો હોય અને તેઓને ખબર હોય કે અમને મદદ પેટે આપવામાં આવતી રકમ ઝકાત અને લિલ્લાહની હોય છે, તો પણ તે રકમ ભેગી કરવી જાઈઝ છે, અને તે પછી આ ભેગી રકમ ગરીબ મુસ્લિમને આપવી જાઈઝ છે, પરંતુ ઝકાતની પૂરેપૂરી રકમ ગરીબ મુસ્લિમોને પહોંચવી ઝરૂરી છે. તેનો કોઈ ભાગ ઝકાતનો હકદાર ન હોય તેવા માણસને આપવી જાઈઝ નથી અને ઝકાતની અદાયગી માટે ઝકાત આપનાર માલિકની નિય્યત પૂરતી છે. બૈતુલમાલના વહીવટકર્તાએ નિય્યત કરવી ઝરૂરી નથી, અલબત્ત તેણે હકદારને રકમ પહોંચાડવી ઝરૂરી છે. બૈતુલમાલ દ્રારા ઝકાત અને લિલ્લાહની રકમ મુસ્લિમ ગરીબોને વહેંચવાની બેહતર અને શંકા મુકત સૂરત આ છે કે બન્ને પ્રકારની રકમો ભેગી કરવામાં ન આવે, બલ્કે બન્ને પ્રકારની રકમો અલગ અલગ રાખવામાં આવે અને દરેક રકમ જે તે રકમના ખરા હકદારને અલગ અલગ આપવામાં આવે. (શામી – ર/૧૧, ઈ.ફતાવા–ર/પર)
Log in or Register to save this content for later.