[૧૬૪] શૈક્ષણિક મકાન માટે ઝકાત જાઈઝ નથી

Chapter : ઝકાત

(Page : 202-203)

સવાલ :– ગામમાં ટેકનિકલ સ્કૂલ અથવા દુન્યવી એઝયુકેશનના મકાન બાંધકામ માટે ઝકાતના પૈસા આપી શકાય કે કેમ? તે બાબત તેમજ પાછલા વર્ષોમાં ઝકાત આપી હોય તો શું કરવું ?

જવાબ :–શૈક્ષણિક કે ગેર શૈક્ષણિક,  દુન્યવી કે દીની કોઈ પણ સંસ્થાના મકાનના બાંધકામમાં ઝકાતની રકમ વાપરવી જાઈઝ નથી. ઝકાતની રકમ ઝકાતના હકદાર વ્યકિતઓને માલિકી ધોરણે આપવી ઝરૂરી છે અને ઝકાતની સહીહ અદાયગી માટે એજ એક સૂરત છે. અહિંયા સુધી કે જો કોઈ એવી વ્યકિતની ઝરૂરતમાં ખર્ચ કરવામાં આવે કે જે વ્યકિત માલિક બનવાને લાયક નથી તો પણ ઝકાત અદા નહિ થાય જેમકે કોઈ ગરીબ મય્યિતના કફન દફનમાં કોઈ માણસે ઝકાતની રકમ ખર્ચ કરી તો ખર્ચ કરનારની ઝકાત અદા નહિ થાય, કારણ કે મૃત વ્યકિત કોઈ માલના માલિક બનવાને પાત્ર નથી. બલ્કે જે માલ તેની માલિકીમાં હોય છે તે પણ તેની માલિકીમાંથી નિકળીને હયાત વારિસોની માલિકીમાં ચાલ્યો જાય છે.

               ઝકાતની અદાયગીની જગ્યા અને તેના હકદારો કુર્આન શરીફમાં સ્પષ્ટ શબ્દોમાં બયાન કરવામાં આવ્યા છે અને તેના આધારે ફુકહાએ કિરામ (રહ.) એ ઝકાતની વ્યાખ્યા જ આ પ્રમાણે કરી છે કે કોઈ સાહિબે નિસાબ માલદાર આદમી પોતાના માલમાંથી શરીઅતે નકકી કરેલા પ્રમાણમાં જે માલનો ઝકાતના હકદારોમાંથી કોઈ હકદારને માલિક બનાવી આપે તેને ઝકાત કહેવામાં આવે છે. માટે પૂછેલી સૂરતમાં કોઈ સંસ્થાના મકાનના બાંધકામમાં ઝકાતની રકમ આપવાથી ઝકાત આપનારની ઝકાત અદા નહિ થાય અને પાછલા વર્ષોમાં જેટલી રકમ બાંધકામમાં આપવામાં આવી હોય તેટલી રકમ ફરીથી ઝકાત પેટે ઝકાતના હકદારોને આપવી ઝરૂરી છે. (શામી – ર)

Log in or Register to save this content for later.