[૧૧૮] ચેકનો સર્વીસ ચાર્જ ઝકાતમાં નહિ ગણાય

Chapter : ઝકાત

(Page : 156 to 158)

સવાલ :– હું દર વર્ષે યતીમખાના, દારૂલ ઉલૂમો, મદ્રસાઓ વગેરે સંસ્થાઓને ઝકાતની રકમ બેંકના ચેકથી મોકલું છું. ચેકથી જે રકમ મોકલું છું તે રકમ જે તે સંસ્થાના બેંકના ખાતામાં જમા થાય છે અને  સંસ્થા તરફથી મને તેની પાકી પહોંચ મળી જાય છે. મારે પૂછવાનું એ છે કે જે રકમ હું ચેકથી મોકલું છું. દા.ત, પ૦૦ રૂપિયા મોકલું છું તે પ૦૦ રૂા. સંસ્થાના બેંકના ખાતામાં જમા થાય છે, આ સાથે બેંકવાળા મઝકૂર ચેકના સર્વીસ ચાર્જ પેટે ૧૦ રૂા સંસ્થાના ખાતામાં ઉધારે છે, આ રીતે સંસ્થાને પ૦૦ રૂા પૂરા મળતા નથી, પણ ૪૯૦ રૂા મળે છે, પરંતુ સંસ્થા તરફથી મને પૂરા પ૦૦ રૂપિયાની પહોંચ મળે છે. તો આ સૂરતમાં પૂરા પ૦૦ રૂા મારી ઝકાત અદા થયેલી ગણાશે કે ૪૯૦ રૂપિયા ઝકાત અદા થયેલી ગણાશે, શું પૂરા પ૦૦ રૂપિયા ઝકાત પેટે અદા કરવા માટે મારે સર્વીસ ચાર્ઝ પેટે કપાયેલા ૧૦ રૂપિયા આપવા જોઈએ કે નહિ ?

                ઉપરના કિસ્સામાં પ૦૦ રૂપિયાના ચેકમાંથી જો ૪૯૦ રૂપિયા જ ઝકાત પેટે અદા થતા હોય તો સંસ્થા મને પૂરા પ૦૦ રૂપિયાની પહોંચ શા માટે  આપે છે? ૪૯૦ રૂપિયાની પહોંચ કેમ આપતી નથી. શું મદ્રસા વગેરે સંસ્થા એમ માને છે કે પૂરા પ૦૦ રૂા ઝકાત પેટે અદા થઈ ગયા?

જવાબ :– પૂછેલી સૂરતમાં ૪૯૦ રૂપિયા ઝકાત પેટે અદા થયેલા ગણાશે, પૂરા પ૦૦ રૂપિયા ઝકાત પેટે અદા થયેલા નહિ ગણાય, કારણ કે જેટલી રકમ ઝકાતના હકદારોને માલિકી ધોરણે પહોં ચે અથવા ઝકાતના હકદારોને ઝકાત પહોંચાડવાની વ્યવસ્થા કરનાર સંસ્થાને જેટલી રકમ પહોંચે તેટલી જ રકમ ઝકાત પેટે અદા થયેલી ગણાશે. ઝકાતની રકમ પહોંચાડવામાં ઝકાત મોકલનારને જે ખર્ચ થાય છે અને ચેકથી ઝકાતની રકમ મોકલવામાં બેંક જેટલી રકમ સર્વીસ ચાર્જ પેટે ચેક મોકલનારની રકમમાંથી વસૂલ કરે છે, તેટલી રકમ ઝકાત મોકલનારે ઝકાત મોકલવા માટે ખર્ચ કરેલી ગણાશે, તે રકમ ઝકાત પેટે ઝકાતના હકદારને આપેલી નહિ ગણાય.

                ઝકાતની રકમનો ચેક સંસ્થાના ખાતામાં જમા કરનાર બેંક, ઝકાતના હકદારો વતી અને તેઓની નિયુકિતથી તેઓને ઝકાતની રકમ પહોંચાડવાનું કામ નથી કરતી, બલ્‌કે ચેક મોકલનાર તરફથી અને તેમના વતી સંસ્થાને રકમ પહોંચાડવાનું કામ કરે છે. માટે સર્વીસ ચાર્જના નામથી કપાયેલી રકમ રૂપિયા ૧૦ આમિલે ઝકાતનું મહેનતાણું ન ગણી શકાય અને સંસ્થાને ચેકની રકમમાંથી જેટલી રકમ મળતી હોય તેટલી જ રકમ ઝકાત આપનારે ઝકાત પેટે મોકલેલી અને અદા થયેલી ગણાય. માટે પૂછેલી સૂરતમાં ચેકથી ઝકાતની રકમ મોકલવાની સૂરતમાં પૂરા પ૦૦ રૂપિયા ઝકાત પેટે અદા કરવા માટે તમારે ૧૦ રૂપિયા કોઈ ઝકાતના હકદાર ગરીબને આપવા પડશે. જયાં સુધી ચેકની રકમ સંસ્થાના ખાતામાં જમા ન થાય ત્યાં સુધી ચેકની રકમ ચેક મોકલનારની જ માલિકી અને કબ્ઝામાં ગણાશે અને સંસ્થાના ખાતામાં  ચાહે ચેકમાં લખેલી પૂરી રકમ જમા થતી હોય, પરંતુ સર્વીસ ચાર્જ બાદ કરતાં ખરેખર જેટલી રકમ મળે તેટલી જ રકમ સંસ્થાને ઝકાત પેટે મળેલી ગણાશે.

                મસ્અલાની દ્રષ્ટિએ હકદારો માટે ઝકાતની રકમ સ્વીકારનાર સંસ્થાને ચેકની રકમમાંથી સર્વીસ ચાર્જ બાદ કર્યા પછી જેટલી રકમ બેંક તરફથી મળતી હોય તેટલી જ રકમની ઝકાતની રસીદ ચેકથી ઝકાત મોકલનારને આપવી જોઈએ, જો હિસાબી કાયદાના આધારે ચેકથી મોકલેલ પૂરી રકમની પહોંચ બનાવવી ઝરૂરી હોય તો ચેક મોકલનારને સર્વીસ ચાર્જની રકમની અને ખરેખર મળેલી અને અદા થયેલી ઝકાતની રકમની ચેક મોકલનારને અલગથી જાણ કરી આપવામાં આવે અથવા ચેકથી ઝકાત મોકલનાર ભાઈ સર્વીસ ચાર્ઝના પ્રમાણમાં વધારે રકમનો ચેક મોકલાવે, તાકે ઝકાત આપનાર ભાઈની ઝકાત અધૂરી ન રહી જાય.   (શામી : ર / ઈ. ફતાવા : ર૭ ભાગઃ ર)

Log in or Register to save this content for later.