[૧૧૪] એડવાન્સ ઝકાત આપી શકાય અને વાજિબથી વધુ આપેલી ઝકાત બીજા વર્ષના હિસાબમાં લઈ શકાય

Chapter : ઝકાત

(Page : 151-152)

સવાલ :– ૧૯૯૧ની ઝકાત ૧૯૯૦માં અંદાજે કાઢી શકાય કે નહિ ? અગર કાઢી શકાતી હોય તો તે રકમ હિસાબ કરતી વખતે જમામાં લેવી કે ઉધારમાં ગણવી અને જો વાજિબ કરતાં વધુ પ્રમાણમાં ઝકાતની રકમ અદા કરી દેવામાં આવી હોય તો આવતા વર્ષની ઝકાતના હિસાબમાં તે વધારાની રકમ મજરે લઈ શકાય કે નહિ? અને ઝકાતની રકમ કોને કોને આપી શકાય તથા ઝકાતમાં કઈ કઈ વસ્તુ આપી શકાય, દા. ત. ટેપ રેકોર્ડર, કેસેટ જેવી ચીજો ઝકાતમાં આપી શકાય કે નહિ ?

જવાબ :– ૧૯૯૧ની ઝકાત (એટલે કે આવતા વર્ષની ઝકાત) ૧૯૯૦માં (એટલે કે ચાલુ વર્ષમાં) અદા કરી શકાય છે અને આવતા વર્ષના અંતમાં પોતાની ઝકાતપાત્ર મૂડીનો હિસાબ કરતી વખતે જેટલી રકમ અથવા જેટલો માલ સામાન અગાઉથી ઝકાતમાં આપી ચૂકયા છો તે ઉધારમાં ગણવામાં આવશે, જમામાં નહિ ગણાય અને અગાઉ ઝકાત અંદાજે કાઢવાથી હિસાબ કરતી વખતે માલૂમ પડે કે ઝકાત વાજિબ પ્રમાણથી વધારે અદા થઈ છે તો તે વધારાની રકમ આવતા વર્ષની ઝકાતના હિસાબમાં મજરે લઈ શકાય છે.           (શામી– ર/ર૭)

                જે મુસલમાન શરઈ દ્રષ્ટિએ ગરીબ હોય એટલે કે જેની પાસે પોતાની રહેવા, ખાવા–પીવા, ઓઢવા–પહેરવાની ઝરૂરતોના સામાન ઉપરાંત અને પોતાના શિરે બીજાઓના નીકળતા કર્ઝ ઉપરાંત વધારાનો બિન તિજારતી માલ – સામાન નિસાબની કિંમત બરાબર ન હોય અને સોનુ–ચાંદી નિસાબ ભર ન હોય અને ન તિજારતી સામાન નિસાબના પ્રમાણમાં હોય અને દેવા મુકત રોકડ રકમ પણ નિસાબના પ્રમાણમાં ન હોય અને તેની સાથે વિલાદતની સગાઈ એટલે કે બાપ, દાદા, નાના, માં, દાદી, નાની અથવા પોતાના પુત્ર–પુત્રી, પૌત્રા–પૌત્રી, નવાસા– નવાસી હોવાની સગાઈ ન હોય તેમજ પતિ – પત્ની હોવાની સગાઈ પણ ન હોય અને તે મુસલમાન સય્યિદ પણ ન હોય તેવા દરેક મુસ્લિમને ઝકાત આપી શકાય છે.             (શામી ૬૩ ભાગઃર)

                ઝકાતમાં દરેક કિંમતપાત્ર વસ્તુ આપી શકાય છે. અલબત્ત, એવી વસ્તુ ન આપવી જોઈએ કે જેનો ઉપયોગ મોટા ભાગે ગુનાહિત પ્રવૃતિઓમાં જ થતો હોય.                     (શામી : રર , ભાગ :ર)

Log in or Register to save this content for later.