Chapter : ઝકાત
(Page : 170-171)
સવાલ :– મારી પાસે વીસ હજાર રૂપિયા રોકડા જમા છે અને આ રકમ મેં મારા બચ્ચાઓને આપી દેવાનો ઈરાદો કર્યો છે અને આ સિવાય મારી પાસે કોઈ રોકડ નથી. તો હું આ રોકડ રકમ તેમને આપી દીધા પછી ઝકાત લઈ શકું કે નહિ ? અને હવે પછી પણ મારો ઈરાદો આ પ્રમાણે છે કે જેમ જેમ મારી પાસે રકમ આવે તે હું બચ્ચાઓને આપતો રહું તો શું આ સૂરતથી મારા માટે ઝકાત લેવી જાઈઝ છે? આ પ્રમાણે કરવાથી મારી નિય્યત હજ પઢવાની અથવા મકાન બનાવવાની છે.
જવાબ :– જયારે આપ પોતાની પાસે જમા રકમ વિશે એવું કહી આપો કે આટલી રકમ ફલાણાં બચ્ચાને અને આટલી રકમ ફલાણા બચ્ચાને બક્ષિશ કરી આપી તો એ બક્ષિશ સહીહ અને જાઈઝ થઈ ગઈ અને બચ્ચાઓ તે રકમના માલિક બની ગયા અને તમને ભવિષ્યમાં મળનાર રકમ પણ આ પ્રમાણે બચ્ચાઓને બક્ષિશ કરી આપશો તો તે બક્ષિશ પણ સહીહ ગણાશે અને તે રકમ પણ બક્ષિશ પછી બચ્ચાઓની માલિકીની થઈ જશે. (શામી : ભાગ–૪/પ૧ર)
મઝકૂર રકમ બચ્ચાઓને બક્ષિશ આપ્યા પછી જો તમારી પાસે કોઈ ઝકાતપાત્ર માલ મૂડી નિસાબના પ્રમાણમાં ન રહે અને પોતાની જીવન જરૂરિયાતથી વધારે કોઈ માલ મિલકત પણ નિસાબના પ્રમાણમાં તમારી પાસે ન હોય તો શરઈ દ્રષ્ટિએ ગરીબ હોવાથી તમારા માટે ઝકાતની રકમ લેવી જાઈઝ છે, પરંતુ પોતાના ઉપર ઝકાત ફર્ઝ થવાથી બચવું અને તે માટે આ પ્રમાણે હીલો કરવો મકરૂહ છે. (શામી ભાગ–ર /ર૧, આલમગીરી ભા–૬/૩૯૧)
જો તમારે હજ પઢવી હોય અથવા મકાન બનાવવું હોય તો કોઈ માણસ પાસેથી કર્ઝ લઈને હજ પઢી લો અને મકાન બનાવી લો અને પછી સાહિબે નિસાબ ન હોવાથી અને દેવાદાર હોવાથી ઝકાત સ્વીકારી શકો છો અને તેનાથી પોતાનું કર્ઝ ભરપાઈ કરી શકો છો. (શામી ભાગ–ર)
Log in or Register to save this content for later.