Chapter : ઝકાત
(Page : 166)
સવાલ :– હું હઝરત ઉષ્માન (રદિ.)ની નસલ અને ખાનદાનથી સબંધ ધરાવું છું. મારા નાના ભાઈની આર્થિક હાલત બરાબર નથી. ભાડાના મકાનમાં રહે છે. તો હું તેને પોતાની ઝકાતની રકમ આપી શકું છું ? ચાહે તે ભાઈ મઝકૂર રકમ મકાન ખરીદવામાં ઉપયોગ કરે અથવા પોતાની બીજી કોઈ ઝરૂરતમાં ખર્ચ કરે. શું અમો સય્યિદની ગણત્રીમાં આવીએ છીએ ? શું ભાઈને ઝકાતની નિય્યતથી આપવામાં આવતી રકમની ઝકાત હોવાની જાણ કરવી ઝરૂરી છે?
જવાબ :– જો આપના નાનાભાઈ આર્થિક દ્રષ્ટિએ એવા ગરીબ છે કે શરીઅતની રૂએ તેમના માટે ઝકાત લેવી જાઈઝ છે, તો તમે પોતાની ઝકાત તેમને આપી શકો છો. નસબ અને ખાનદાનની દ્રષ્ટિએ જે લોકોને ઝકાત આપવી જાઈઝ નથી તેમાં ઉષ્માની લોકો શામેલ નથી અને ઉષ્માની ખાનદાનના સભ્યની સય્યિદમાં ગણત્રી નહિ થાય. જે લોકો હાશિમ બિન અબ્દે મનાફની નસલ અને અવલાદમાંથી હોય અને હાશિમી કહેવાતા હોય તેમના માટે ઝકાત જાઈઝ નથી. હઝરત ઉસ્માન (રદિ.) અબ્દે શમ્સ બિન અબ્દે મનાફની અવલાદમાંથી છે, માટે ઉસ્માની લોકો શરઈ દ્રષ્ટિએ ગરીબ હોય તો તેમણે ઝકાત લેવી જાઈઝ છે અને ઝકાતનો હકદાર ગરીબ ઉસ્માની માણસ ઝકાત લઈને પોતાના ગમે તે જાઈઝ કામમાં ઉપયોગ કરી શકે છે અને ઝકાતની અદાયગી માટે ગરીબને ઝકાતની રકમ હોવાનું જણાવવું ઝરૂરી નથી.
(શામી ભા– ર/૬૬ , તારીખુલ ખુલફાઅ–૧૬૩)
Log in or Register to save this content for later.