[૧ર૩] વિધવાને ઝકાત આપવી અને ફિકસમાં રકમ જમા કરાવવી

Chapter : ઝકાત

(Page : 164-165)

સવાલ :– એક મર્હૂમ પોતાની પાછળ વારસદારોમાં એક વિધવા અને ચાર છોકરીઓ છોડી ગયેલ છે અને દસ હજાર રૂપિયા છોડયા છે, જે મર્હૂમની ઓરત વગેરેએ છોકરીઓના નામે ફિકસમાં મૂકેલ છે, તો આ મર્હૂમની વિધવાને ઝકાત આપી શકાય કે કેમ ?

જવાબ :– મર્હૂમે છોડેલ રકમ અને અન્ય માલ મિલકતમાંથી જો વારસા વહેંચણી પહેલાના હકકો એટલે કે મર્હુમનો કફન દફન ખર્ચ, દેવું અને વસિય્યતમાંથી કોઈ હક અદા કરવાનો બાકી હોય તો તે અદા કર્યા પછી બાકી પડતી મૂડી–મિલ્કતના અને જો મઝકૂર હકકોમાંથી કોઈ હક અદા કરવાનો બાકી ન હોય તો પૂરી મૂડી મિલકતના કુલ ર૪ ભાગો કરવામાં આવશે અને તેમાંથી મર્હૂમની વિધવાને ૩ ભાગો અને ચાર દીકરીઓમાંથી દરેકને ૪ ભાગો આપવામાં આવશે અને બાકીના પાંચ ભાગો મર્હૂમના અસ્બહ રિશ્તેદારોને મળશે અને અસ્બહ વારસદાર શરીઅતે બતાવેલ તરીકા અને તરતીબથી નકકી કરવા પડશે.

                જો ઓરત પાસે રોકડ વારસા હક અને પોતાની પાસે જે કંઈ રોકડ રકમ, સોનું, ચાંદી, વેપારનો માલ અને ઝરૂરતથી વધારાનો માલ–સામાન મળી સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર હોય તો તે શરઈ દ્રષ્ટિએ માલદાર છે એટલે તેને ઝકાત ન આપી શકાય અને જો તેની માલિકીમાં મઝકૂર પ્રકારની વસ્તુઓમાંથી કોઈ એક અથવા અનેક વસ્તુઓ મળી સાડા બાવન તોલા ચાંદીની કિંમતના પ્રમાણમાં ન હોય તો તેણી શરઈ દ્રષ્ટિએ ગરીબ ગણાશે અને તેણીને ઝકાત આપી શકાય છે અને બેંકના ફિકસ–ખાતામાં રકમ મૂકવી નાજાઈઝ અને હરામ છે અને તે રકમ શકય તેટલી જલ્દી ફીકસમાંથી ઉપાડી લેવી ઝરૂરી છે.                          (સિરાજી / શામી ભાગ :ર)

Log in or Register to save this content for later.