Chapter : ઝકાત
(Page : 194-195)
સવાલ :– અમે ધાનેરામાં નવજવાનોએ સાથે મળીને એક કમીટી બનાવેલ છે. ૬૦ની આસપાસ સભ્યો છે. જેની અંદર માલદાર સાથીઓ પણ છે. મધ્યમવર્ગના સાથીઓ પણ છે. તેમાં દરેક સાથીઓ પાસેથી રોજરોજના બે થી પાંચ – દસ રૂપિયા લઈએ છીએ. જેમાંથી જરૂરિયાતવાળા સાથીઓને લોન પેટે રૂપિયા પણ આપીએ છીએ અને પછી પાછા પણ લઈએ છીએ, એમાં અમારો મકસદ એક જ છે કે આપણો ભાઈ સુખી થઈ જાય તો એ બાબત મસ્અલો જાણવા માંગીએ છીએ કે ઝકાતના રૂપિયા ઉઘરાવી અને એ રૂપિયાના મકાનો બનાવીને ગરીબ સાથીઓને આપીએ અને એમના પાસેથી માસિક ભાડું લઈએ અને એ ભાડાની રકમ ફરી ગરીબને મદદ થાય તે રીતે ઝકાતના રૂપિયા વારંવાર ગરીબોમાં ફેરવી શકાય કે નહિ? તે જાઈઝ છે કે નહિ જાઈઝ ન હોય તો એના માટે શું કરવું ?
જવાબ :– ઝકાતની રકમથી નવયુવક કમીટી ટ્રસ્ટના મકાનો બનાવવા જાઈઝ નથી. ચાહે તે ગરીબોને ભાડે આપવાના હેતુથી હોય અને ભાડાની આવકથી ગરીબોની સહાય કરવાનો હેતુ હોય તો પણ જાઈઝ નથી. ઝકાતની રકમ મુસ્લિમ ગરીબોને માલિકી ધોરણે આપી દેવી ઝરૂરી છે. ભાડાની આવક માટે મકાનો બનાવવા લિલ્લાહ ચંદો કરવો જોઈએ અથવા અમુક માલદારો પાસેથી કર્ઝે લઈ મકાનો બનાવવા જોઈએ અને ભાડાની આવકમાંથી પ્રથમ કર્ઝ અદા કરવામાં આવે. (શામી – ર)
Log in or Register to save this content for later.