Chapter : ઝકાત
(Page : 190-193)
સવાલ :– જયારે જયારે મદ્રસાઓ દ્રારા ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે ઝકાત આપનારના નામ અને રકમ સાથે તેને વાર્ષિક અહેવાલમાં પ્રગટ કરવામાં આવે છે. પરંતુ ખરેખર તો ગરીબોને ઝકાત આપવો એ શરીઅતી માલદારો માટે અલ્લાહનું લેણું છે, અલ્લાહ તઆલાએ જ આપેલ નેઅમતમાંથી તેણે અદા કરવાનું છે. એમાં આપનારે કંઈ ઉપકાર નથી કર્યું એવું મારું માનવું છે. આ માટે શરીઅતનું શું ફરમાન છે? વળી શરીઅતનું ફરમાન છે કે તમોએ જમણા હાથે આપ્યું હોય તો ડાબો હાથ ન જાણે, ત્યારે ઘણા ખરા મુસલમાનોએ પોતે ઝકાત આપેલ છે તેની જાણ થાય તેવા આશયથી જ ખરા હકદારોને ઝકાતથી વંચિત રાખી ધાર્મિક મદ્રસાઓમાં ઝકાત આપી વાર્ષિક અહેવાલોમાં પોતાના નામની શોધ કરે છે તો આવા કિસ્સામાં શરીઅતનું શું ફરમાન છે ?
જવાબ :– ખરેખર ઝકાત, લિલ્લાહ, સદકાની અદાયગીમાં રિયાકારી અને પોતાની નામના માટે લોક દેખાવો કરવો નાજાઈઝ અને હરામ છે. કુર્આન અને હદીષમાં રિયાકારીની સખત બુરાઈ બયાન કરવામાં આવી છે. કુર્આન શરીફમાં છે કે રિયાકારી મુનાફિકની ખસલત છે અને રિયાકારીથી સદકો બરબાદ થઈ જાય છે, હદીષ શરીફમાં છે કે રિયાકારીથી સદકો આપવો શિર્ક કરવા સમાન છે, પરંતુ જો રિયાકારી ની નિય્યત વગર જોગાનુંજોગ બીજાને જાણ થાય એ રીતે ઝકાત લિલ્લાહ વગેરે આપવામાં આવે તો એ પણ જાઈઝ છે. રિયાકારીની નિય્યત વગર કોઈ મસ્લિહતના કારણે અથવા વિના કારણે પોતાના સદકાને જાહેર કરવો જાઈઝ છે. એમાં કોઈ ગુનોહ નથી. બાકી અફઝલ અને બેહતર એ છે કે પોતાના સદકાને જાહેર ન કરવામાં આવે. બલ્કે કોઈને જાણ ન થાય એ રીતે અદા કરવામાં આવે, છુપી રીતે સદકો કરવાની કુર્આન હદીષથી ફઝીલત સાબિત છે.
કુર્આન શરીફની સૂરએ બકરહમાં આયત નંબર – ૧૭૧ માં ઈન તુબદૂસ્સદકાતિ……… માં અલ્લાહ તઆલા ફરમાવે છે કે ”જો તમો સદકાતને જાહેર કરીને આપો તો પણ સારી વાત છે અને જો તમો સદકાતને છુપાવો અને છુપાવીને ગરીબોને આપો તો છુપાવવું તમારા માટે વધુ બેહતર છે”
હદીષ શરીફમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે છુપો સદકો રબ તઆલાના ગુસ્સાને બુજાવે છે. (તબરાની)
આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે સાત માણસોને અલ્લાહ તઆલા કયામતના દિવસે જયારે કે અલ્લાહ તઆલાના અર્પણ કરેલા છાંયડા સિવાય કોઈ છાંયડો નહિ હોય પોતાના છાંયડામાં જગ્યા અતા ફરમાવશે અને તે સાત માણસો પૈકી એક તે માણસ કે જે સદકો આપે અને પોતાના સદકાને એટલો છુપાવે કે ડાબા હાથને પણ ખબર ન પડે કે જમણો હાથ શું આપી રહયો છે. (બુખારી, મુસ્લિમ)
આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે ત્રણ માણસોથી અલ્લાહ તઆલા મુહબ્બત કરે છે, એક તે માણસ જે રાત્રે ઉઠીને કિતાબુલ્લાહની તિલાવત કરે અને બીજો તે માણસ જે જમણા હાથથી એ પ્રમાણે સદકો આપે કે ડાબા હાથથી પણ છુપાવે અને ત્રીજો તે માણસ જે કોઈ લશ્કરમાં હોય અને તેના સાથીઓ હાર ખાય જાય પરંતુ એ માણસ દુશ્મનનો સામનો કરે. (તિરમિઝી)
હઝરત અબૂબક્ર (રદિ.)એ પોતાનો બધો માલ છુપાવીને અલ્લાહની રાહમાં આપ્યો હતો અને હઝ. ઉમરે (રદિ.) પોતાનો અડધો માલ જાહેરમાં અલ્લાહની રાહમાં પેશ ફરમાવ્યો હતો. (તફસીરે મઝહરી–૧)
જો ઝકાત ન આપવાના આક્ષેપથી બચવા માટે અથવા પોતાને જોઈ બીજાઓને ઝકાત અદા કરવાની પ્રેરણા મળે એ હેતુથી ઝકાત જાહેરમાં આપવી પણ જાઈઝ છે, બલ્કે આવી સૂરતમાં જાહેર કરવી અફઝલ અને બેહતર છે. (મ.કુર્આન –૧/૬૪ર)
રહી વાત મદ્રસાઓના વાર્ષિક રિપોર્ટમાં ઝકાત આપનારના નામ સાથે રકમને પ્રગટ કરવાની તો એ વિષે એ હકીકત પણ ધ્યાનમાં રાખવી યોગ્ય છે કે મઝકૂર નામ અને રકમ મોટા ભાગે ઝકાત આપનાર ભાઈની સૂચના અને કહેવાથી નથી પ્રગટ કરવામાં આવતું, બલ્કે મદ્રસાઓના વ્યવસ્થાપકો હિસાબી વ્યવસ્થાની સફાઈ અને સરળતાના હેતુથી ઝકાત આપનાર ભાઈઓના કહયા વગર પ્રગટ કરે છે, તાકે ઝકાત આપનાર ભાઈ જો ચાહે તો રિપોર્ટનો અભ્યાસ કરી એ વાતની તહકીક કરી સંતોષ મેળવી શકે કે પોતાના સ્થળ ઉપર રહી કોઈ વ્યકિત દ્રારા મોકલાવેલી અથવા રૂબરૂ આપેલી રકમ મદ્રસાના હિસાબ કિતાબમાં શામિલ કરવામાં આવી છે અને તે યોગ્ય જગ્યાએ ખર્ચ કરવામાં આવી છે, માટે પોતાની ઝકાતની અદાયગીમાં અથવા અન્ય મદદની રકમમાં કોઈ ભૂલચૂક થઈ નથી, વળી દરેક વાચકભાઈ રિપોર્ટની પૂરી નામાવલીને વાંચે અને દરેક નામવાળી વ્યકિતને તે ઓળખે એ પણ ઝરૂરી નથી.
ખુલાસો એ કે વાર્ષિક રિપોર્ટમાં ઝકાત આપનાર ભાઈનું નામ અને રકમ પ્રગટ થવાથી એમ માની લેવું યોગ્ય અને દુરૂસ્ત નથી કે આ ઝકાતની અદાયગી રિયાકારી અને લોક દેખાવા માટે કરવામાં આવી છે અને ઝકાતના ખરા હકદારોને વંચિત રાખવામાં આવ્યા છે.
Log in or Register to save this content for later.